મનુષ્યને જીવિત રહેવા માટે ઓક્સિજનની જરૂર છે. તે વાતાવરણમાં રહેલી હવામાંથી મળે છે. ઑક્સિજન તમામ જીવોને પ્રાણ આપતો હોવાથી તેને પ્રાણવાયુ કહેવામાં આવે છે. આપણા સ્વાસ્થ્ય માટે સ્વચ્છ હવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ, હાલના દિવસોમાં વધી રહેલા વાયુ પ્રદૂષણના કારણે વિશ્વના મોટાભાગના દેશોએ વધુ સારી શહેરી આયોજન નીતિઓ અપનાવવી પડશે. ગંદા ઉત્સર્જનને નિયંત્રિત કરવું પડશે. વધુ પ્રદૂષણ ધરાવતા વાહનો પર પ્રતિબંધ મૂકવો પડશે. તો જ આ સમસ્યા હળવી થશે અને લોકો સ્વસ્થ જીવન જીવી શકશે.
Advertisement
Advertisement
આજના લોકોને શ્વાસ લેવા માટે સ્વચ્છ હવા મળી રહી નથી. તમને જાણીને નવાઈ લાગશે કે, વિશ્વની મોટાભાગની વસ્તી ઝેરી હવા શ્વાસમાં લઈ રહી છે અને હવે માણસના શ્વાસ પર સંકટ તોળાઈ રહ્યું છે. વાયુ પ્રદુષણને કારણે હવામાં ઝેરી તત્વો મળી આવ્યા છે. જે શરીરમાં પહોંચ્યા બાદ મૃત્યુનું કારણ બની રહ્યા છે. પ્રદૂષિત હવાના કારણે છેલ્લા કેટલાક અઠવાડિયામાં થાઈલેન્ડમાં લાખો લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. હાલ સ્થિતિ એવી છે કે, લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ કરવામાં આવી છે. પ્રદૂષણની સ્થિતિ સતત ગંભીર બની રહી છે.
ત્યારે તાજેતરમાં જ બહાર આવેલા અહેવાલે ભારતના લોકોની પણ ઊંઘ હરામ કરી દીધી છે. ભારત વિશ્વના સૌથી પ્રદૂષિત દેશોની યાદીમાં સામેલ હોવાનો દાવો કરવામાં આવે છે. ઘણા મોટા શહેરોની હવા અત્યંત ઝેરી છે. રાજધાની દિલ્હીની આબોહવા છેલ્લા ઘણા વર્ષોથી ઝેરી બની ગઈ છે અને મોટા ભાગના વર્ષોમાં અહીં પ્રદૂષણનું સ્તર ઘણું ઊંચું રહે છે. પ્રદૂષણના કારણે લોકો શ્વાસ સંબંધી રોગ, ફેફસાના કેન્સર, સ્ટ્રોક અને હૃદય રોગનો સામનો કરી રહ્યા છે. લાંબા સમય સુધી પ્રદૂષિત હવાના સંપર્કમાં રહેવાથી રોગપ્રતિકારક શક્તિ, ન્યુરોલોજીકલ, પ્રજનન અને શ્વસન તંત્રને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં આ સમસ્યાના નિવારણની તમામ પદ્ધતિઓ અપનાવવી ખૂબ આવશ્યક બની ગઈ છે.
જીવલેણ બન્યું પ્રદૂષણ
- WHOના રિપોર્ટ અનુસાર, વિશ્વમાં લગભગ 99 ટકા લોકો પ્રદૂષિત હવામાં શ્વાસ લઈ રહ્યા છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
- દર વર્ષે વિશ્વમાં હવાના પ્રદૂષણને કારણે 67 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે, જેમાંથી 32 લાખ લોકો ઇન્ડોર પ્રદૂષણને કારણે જીવ ગુમાવે છે.
- વાયુ પ્રદૂષણને કારણે લગભગ 91 ટકા મૃત્યુ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં થાય છે. સૌથી વધુ રોગચાળો દક્ષિણ-પૂર્વ એશિયામાં જોવા મળે છે.
- પ્રદૂષણનું ખૂબ જ નાનું તત્વ PM 2.5 શરીરના તમામ કવચને પાર કરીને અંદર પહોંચી જાય છે. તેનાથી ફેફસાં, હૃદય અને મગજને ગંભીર નુકસાન થાય છે.
- વાયુ પ્રદૂષણથી બાળકો ખૂબ પ્રભાવિત થાય છે. ઝેરી હવાથી બાળકોમાં શ્વસન સંબંધી રોગો, કેન્સર અને કોગ્નીટિવ ડીક્લાઈન જેવી સમસ્યાઓ થઈ શકે છે.
- ઘરેલું વાયુ પ્રદૂષણ સૌથી મોટો પડકાર છે. વિશ્વમાં 3 અબજ લોકો પાસે રસોઈ માટે સ્વચ્છ ઇંધણ નથી. મહિલાઓને આની સૌથી વધુ અસર થાય છે.
- વાયુ પ્રદૂષણ વાતાવરણમાં પરિવર્તનનું કારણ બની રહ્યું છે, જેના કારણે આપણા ગ્રહને ઘણું નુકસાન થઈ રહ્યું છે. આ આપણા ગ્રહના જીવનને અસર કરી રહ્યું છે.
- નાઈટ્રોજન ડાયોક્સાઇડ, ઓઝોન અને સલ્ફર ડાયોક્સાઇડ, કોલસા જેવા અશ્મિભૂત ઇંધણને બાળવાથી ઉત્પન્ન થતા અદ્રશ્ય વાયુઓ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે.
- રસોઈ, ગરમી અને પ્રકાશ જેવી પ્રવૃત્તિઓ માટે ક્લીનર બર્નિંગ તકનીકો અને ઇંધણનો ઉપયોગ કરવો પડશે. પ્રદૂષણને નિયંત્રણમાં રાખવું પડશે.
- તમામ દેશોએ વધુ સારી શહેરી આયોજન નીતિઓ અપનાવવી પડશે. ગંદા ઉત્સર્જનને નિયંત્રિત કરવું પડશે. વધુ પ્રદૂષણ ધરાવતા વાહનો પર પ્રતિબંધ મૂકવો પડશે.
Advertisement