આલેખન-માવજી મહેશ્વરી
માઈલો સુધી રણ વિસ્તરીને પડ્યું હોય, સુમસામ રાત્રી હોય, નિશાચરોના આછાં સંચાર અંધકારને ડરામણું બનાવતા હોય. એવા સમયે અચાનક જ આગના ભડકા ઊઠે, નીલા અને કેશરી રંગના આગના ગોળા આગળ પાછળ ઘુમવા માંડે અને અચાનક અદશ્ય થઈ જાય ત્યારે જોનારની હાલત શું થાય? બરાબર એવું જ કચ્છના ઘાસિયા વિસ્તાર બન્નીમાં થતું હોવાની વાત સદીઓથી લોક્મુખે ચર્ચાતી રહે છે. સરહદે પેટ્રોલીંગ કરતા આર્મીના જવાનો પણ આ વાતને પુષ્ટી આપે ત્યારે માનવું પડે કે ‘કશુંક તો છે જ’ કચ્છના બહુ ચર્ચિત રણ વિસ્તારના બન્નીમાં, ખાસ કરીને ભાદરવો અને આસો મહિનામાં એક રહસ્યમય પ્રકાશ દેખાય છે. ત્યાંના સ્થાનિક લોકો તેને ‘છિરબત્તી’ કહે છે. કચ્છીભાષામાં ‘છિર’નો અર્થ ભૂત થાય છે.”
જગત અજાયબીઓથી ભર્યું પડ્યું છે. આમ તો આ આ જગતનું સર્જન પણ એક અજાયબી જ છે. તેમ છતાં માનવીનો બૌધ્ધિક વિકાસ થયા પછી તેને ન સમજાતા રહસ્યો ઉકેલવામાં અનેક પેઢીઓના આયખાં ખર્ચાઈ ગયાં છે. અવકાશી પદાર્થોની ઘટનાઓ અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો ભેદ ઉકેલાયા પછી ઘણું બધું સ્પષ્ટ થઈ શક્યું છે. તેમ છતાં હજુય રસાયણોનો ખેલ પૂરેપુરો ઉકેલાયો નથી. આપણી આખીય પૃથ્વી, તેના ઉપર સુક્ષ્મ જીવાણુઓથી માંડીને મહાકાય જીવો સહિત તમામ વનસ્પતિનું હોવું અને નાશ થવો એ રાસાયણિક ખેલ છે. વિજ્ઞાન એને અમુક હદે અચલ માને છે, તેમ છતાં ક્યારેક વૈજ્ઞાનિકોને છક્કડ ખવડાવે તેવા બનાવો બનતા રહ્યા છે અને બનતા રહેશે. બર્મ્યુડા ત્રિકોણ અજુય અચંબિત કરે છે. ત્યારે એવી જ અચંબામાં નાખી દેતી ઘટના કચ્છના રણમા આવેલા બન્ની વિસ્તારમાં બનતી હોવાનું ત્યાંના સ્થાનિક રહેવાસીઓ કહે છે. બન્નીના લોકો તેને ચમત્કાર માને છે. બન્ની વિસ્તારમાં ચોમાસાના પાછલા દિવસોમાં એક રહસ્યમય પ્રકાશ દેખા દે છે. એ પ્રકાશ હેરત પમાડે તેવો છે.
એ પ્રકાશ સામાન્ય રીતે લાગતી આગની જ્વાળા જેવો નથી. એ નીલા અને કેશરી અને વાદળી રંગના ગોળા જેવો છે. એ ગોળા એક કે વધુ સંખ્યામાં હોય છે. કેટલીક્વાર એ ગોળા કતારમાં ગોઠવાઈને નૃત્ય કરતા હોય એવું જણાય છે. તો ક્યારેક જોનારની સામે ધસી આવે છે. બન્નીના રહેવાસીઓએ અનેકવાર આ પ્રકાશ જોયો હોવાનું કહે છે. તેઓ આ પ્રકાશને ભૂતિયો પ્રકાશ કહે છે, તો કેટલાક પૂર્વજોના આશીર્વાદ પણ માને છે. સામાન્ય રીતે તેઓ આ પ્રકાશને ‘છિરબત્તી’ કહે છે. ‘છિર’નો અર્થ ભૂત એવો થાય છે. બન્નીમાં દેખાતા અજાણ્યા પ્રકાશને સમજવામાં દેશની સુરક્ષા એજન્સીઓને પણ રસ પડ્યો છે. કેમ કે બન્ની વિસ્તાર આંતરરાષ્ટ્રીય સહદને સ્પર્શે છે. ત્યાં આવી ઘટનાઓ ઘટવી તે સુરક્ષાની દષ્ટિએ ગંભીર ગણાય છે. જોકે બન્નીના આ પ્રકાશની ઘટનાના વૈજ્ઞાનિક સત્યો બહાર નથી આવ્યા, માત્ર તર્કને આધારે એ પ્રકાશનું કારણ આપી દેવામાં આવ્યું છે. તેમ છતાં ત્યાંના સ્થાનિક રહેવાસીઓ એ સત્યોને માનતા નથી. જોકે આ ઘટનાનો અભ્યાસ કરવા મહિનાઓ સુધી બન્નીમાં રહેવું પડે. તેમ છતાં એ પ્રકાશ ન દેખાય એવું પણ બને. એટલે જ્યાં સુધી તેનું વિડીઓ રેકોર્ડીંગ ન થાય અને તેનો શાસ્ત્રીય અભ્યાસ ન થાય ત્યાં સુધી વિજ્ઞાન પણ સાચું છે અને રહેવાસીઓ પણ સાચા છે એમ માનવું પડે. કચ્છના બન્ની વિસ્તારમાં દેખાતો પ્રકાશ અનેકવાર ચર્ચામાં આવ્યા પછી પણ હજુ કોઈ ચોક્કસ નિર્ણય પર આવી શકાયું નથી કે એ પ્રકાશ ખરેખર શું છે. કચ્છ વિશેની આવી ઘટનાઓ જ પ્રવાસીઓ અને અભ્યાસુઓને કચ્છમાં ખેંચી લાવે છે.
‘છિરબત્તી’ પણ કોઈ માનવીય પ્રવૃત્તિ હશે એવું પહેલે તબક્કે માનવામાં આવ્યું હતું. પરંતુ બન્નીમાં દેખાતો પ્રકાશ સામાન્ય માણસ દ્વારા ઉત્પન કરવો શક્ય નથી. એ એક ભેદી ઘટના છે. જોકે એ કોઈ ચમત્કાર કે ભૂત-પ્રેતની માયા તો નથી જ. તેમ છતાં જ્યાં સુધી વિજ્ઞાન છાતી ઠોકીને ન કહે, ત્યાં સુધી દંતકથાઓ ચાલતી રહેવાની. અહીં આ ઘટનાને સમજવા માટે સૌ પહેલા તેનો સમયગાળો સમજવો પડે અને તે કયા વિસ્તારમાં વધારે દેખાય છે એ પણ જાણવું પડે. કચ્છનો રણ વિસ્તાર બે જાતની જમીન ધરાવે છે. એક જમીન જ્યાં ચોમાસામાં પાણી ભરાઈ રહે છે અને એ પાણી સુકાઈ જતાં મીઠા(નમક)ના થર પથરાઈ રહે છે. બીજી જમીન, જ્યાં ઘાસ અને વૃક્ષો પણ થાય છે. જ્યાં માનવ વસવાટ છે. એ વિસ્તારમાં ઊંચા કદનું ઘાસ પણ થાય છે. વિશ્વ ભૂગોળમાં એ વિસ્તારને grass land કહેવાય છે. બન્નીમાં દેખાતો ભૂતિયો પ્રકાશ રણના મીઠાવાળા વિસ્તારમાં કે ખુલ્લી જમીન ઉપર દેખાતો નથી. તે માનવ વસ્તીવાળા કે ડુંગરાળ વિસ્તારમાં પણ દેખાતો નથી. તે માત્ર ઘાસિયા વિસ્તારમાં દેખાય છે. વળી આ પ્રકાશ માત્ર ચોમાસાના પાછલા દિવસોમાં જ દેખાય છે. તે સિવાયના સમયમાં દેખાતો હોવાનો કોઈ કહેતું નથી.
આના ઉપરથી એવું કહી શકાય કે આ પ્રકાશને બન્નીના ઘાસિયા વિસ્તાર અને ચોમાસાની ઋતુ સાથે કોઈ વૈજ્ઞાનિક સંબંધ છે. જો એવું ન હોત તો એ પ્રકાશ નમકવાળા વિસ્તાર (સફેદ રણ)માં પણ દેખાતો હોત અથવા શિયાળા કે ઉનાળામાં પણ દેખાતો હોત. વિજ્ઞાનના એક તર્ક અનુસાર મિથેન, ફોસ્ફાઈન, અને ડાયફોસ્ફેટના મિશ્રણના કારણે આવો પ્રકાશ ઉદ્ભવે છે.
કચ્છના પેટાળમાં વિવિધ પ્રકારના કુદરતી વાયુનો ભંડાર હોવાની વાત પ્રસ્થાપિત થઈ ચૂકી છે. તેથી આ તર્ક બન્નીના પ્રકાશ માટે સુસંગત છે. ડાયફોસ્ફેટ અને ફોસ્ફાઈનનું મિશ્રણ હવાના ઓક્સીજન સાથે પ્રક્રિયા કરીને સ્વયંભૂ સળગે છે. આ ચીનગારી મિથેન સાથે ભળીને આગનો ગોળો બનાવે છે. હવામાં રહેલો મિથેન બળી જાય એટલે આગનો ગોળો નાશ પામે છે. થોડા સમય માટે જ તેનું અસ્તિત્વ હોય છે. ઉપરાંત ફોસ્ફાઈન એક ઉપપેદાશ તરીકે ફોસ્ફોરસ પેન્ટોક્સાઈડ ઉત્પન્ન કરે છે. જે પાણીની વરાળ સાથે સંપર્કમાં આવતાં ફોસ્ફોટિક એસિડ ઉત્પન્ન કરે છે અને એટલે જ ચોમાસામાં રહસ્યમય રંગીન પ્રકાશ દેખાય છે. અમેરિકાના કેલિફોર્નિયા અને ઈન્ડોનેશિયાના જકાર્તા જેવા રણ કે સપાટ પ્રદેશોમાં આવો જ ગેબી પ્રકાશ દેખાય છે. ત્યાં પણ લોકો એ પ્રકાશને વિશે જુદી જુદી માન્યતાઓને જોડે છે. અમેરિકાના મારફા વિસ્તારના કચ્છના રણ જેવા જ પ્રદેશમાં પણ ગેબી પ્રકાશ દેખાતા હોવાના કિસ્સા બન્યા છે. મારફા વિસ્તારમાં દેખાતા આ પ્રકાશને અમેરિકામાં મારફા લાઈટ નામ અપાયું છે. અમેરિકામાં એના વિશે સચોટ સંશોધન થયાં છે. પરંતુ કચ્છના બન્નીમાં દેખાતા રહસ્યમય પ્રકાશ વિશે હજુ સુધી કોઈ ખાસ સંશોધન થયા નથી. ગુજરાત સરકારનું સંબંધિત ખાતું આ પ્રકાશ વિશે આધારભૂત સંશોધન કરે તો સત્યો બહાર આવશે.
Advertisement