ટેસ્ટ શ્રેણી 2-1થી કબજે કર્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વન-ડે સીરિઝમાં પોતાની તાકાત બતાવશે. શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારે મુંબઈમાં રમાશે. આ મેચ વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 1.30 વાગ્યાથી રમાશે.
Advertisement
Advertisement
નિયમિત કેપ્ટન રોહિત શર્મા પારિવારિક કારણોસર આ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. તેની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા ટીમનું નેતૃત્વ કરશે. પંડ્યાની કેપ્ટનશીપમાં ગુજરાત જાયન્ટ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની તેમની પ્રથમ સીઝનમાં ટાઇટલ જીત્યું હતું.
ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચની બોર્ડર-ગવાસ્કર સીરિઝમાં જીત સાથે ટીમ ઈન્ડિયાએ જૂનમાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. જે બાદ ભારતીય ટીમ હવે વન-ડે વર્લ્ડ કપ માટે પોતાની તૈયારીમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ODI વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાશે.
અમદાવાદમાં ટેસ્ટમાં 186 રનની ઈનિંગ રમનાર કોહલીએ પહેલાથી જ મર્યાદિત ઓવરોમાં પોતાના ખરાબ ફોર્મને પાછળ છોડી દીધું છે. તેણે આ વર્ષે 67.60ની પ્રભાવશાળી એવરેજથી 338 રન બનાવ્યા છે અને તેની નજર મનપસંદ હરીફ ઓસ્ટ્રેલિયા સામે 75 આંતરરાષ્ટ્રીય સદીઓ પર રહેશે. દરમિયાન કોહલી ઓસ્ટ્રેલિયાના લેગ-સ્પિનર એડમ ઝમ્પાનો કેવી રીતે સામનો કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
ઓસ્ટ્રેલિયાની ટીમ નિયમિત કેપ્ટન વિના મેદાનમાં ઉતરશે
ઓસ્ટ્રેલિયાની ટીમ નિયમિત કેપ્ટન પેટ કમિન્સની ગેરહાજરી છતાં કોઈપણ સંજોગોમાં મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે. 5 વખત વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમ પણ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર વર્લ્ડ કપની તૈયારીઓને આખરી ઓપ આપવા માંગે છે. કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ કરશે. ટીમે છેલ્લી બે ટેસ્ટ મેચમાં તેની કેપ્ટનશીપમાં સારો દેખાવ કર્યો હતો.
કમિન્સ અને જોશ હેઝલવુડ આ ODI શ્રેણી માટે ઉપલબ્ધ નથી, પરંતુ અનુભવી બેટ્સમેન ડેવિડ વોર્નર અને ઓલરાઉન્ડર એશ્ટન અગર રાષ્ટ્રીય ટીમ સાથે જોડાયા છે. આ બંને ખેલાડીઓ ટેસ્ટ શ્રેણી દરમિયાન સ્વદેશ પરત ફર્યા હતા.
Advertisement