વન-ડે વર્લ્ડ કપનું શેડ્યૂલ નક્કી થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ તેની આનાકાની શરૂ કરી દીધી છે. પીસીબીએ મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે તેને પાકિસ્તાન સરકાર તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NoC)મળ્યું નથી. તેથી વર્લ્ડ કપ માટે ભારત જવા અંગે તેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. ICCએ આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે પીસીબીએ કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને તેનું પાલન કરશે તેવી અપેક્ષા છે.
Advertisement
Advertisement
પાકિસ્તાનની સ્થિતિ પર ICCએ શું કહ્યું?
ICCએ એક નિવેદન જાહેર કર્યું છે. તેમાં પાકિસ્તાનની સ્થિતિ અંગે કહેવાયું છે, ‘પાકિસ્તાને વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અમે આશા રાખીએ છીએ કે તે આ કરારમાંથી પીછેહઠ કરશે નહીં અને ભારત આવશે. વિશ્વ કપમાં ભાગ લઈ રહેલી તમામ ટીમો તેમના દેશના નિયમો અને કાયદાથી બંધાયેલી છે અને અમે તેનું સન્માન પણ કરીએ છીએ. જો કે અમને પૂરો વિશ્વાસ છે કે વર્લ્ડ કપ રમવા માટે પાકિસ્તાન ચોક્કસપણે ભારત આવશે. આઈસીસીના વર્તમાન પ્રમુખ જ્યોર્જ બાર્કલે છે.
ICC અને BCCIએ અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામેની પાકિસ્તાનની મેચનું સ્થળ બદલવાની PCBની માંગને ફગાવી દીધી હતી. આ સાથે મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ ખુલાસો થયો છે કે પાકિસ્તાન, ભારત સાથે અમદાવાદમાં મેચ રમવા માગતું ન હતું. ડ્રાફ્ટ શેડ્યૂલ જાહેર થયા બાદ પીસીબીએ આઈસીસી અને બીસીસીઆઈને અફઘાનિસ્તાન સામેની મેચ બેંગાલુરુ અને ઓસ્ટ્રેલિયા સામેની મેચ ચેન્નાઈમાં શિફ્ટ કરવા વિનંતી કરી હતી. જો કે, શિડ્યુલ આવ્યા બાદ, પાકિસ્તાન – અફઘાનિસ્તાન મેચ ચેન્નાઈમાં અને પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયાની મેચ બેંગાલુરુમાં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે સાથે પાકિસ્તાને 15 ઓક્ટોબરે ભારત સામે અમદાવાદમાં જ મેચ રમવાની છે.
પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટને ડર છે કે અફઘાનિસ્તાન ચેપોકમાં સ્પિન-ફ્રેન્ડલી ટ્રેકનો ફાયદો ઉઠાવી શકે છે. તે જ સમયે, ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ બેટ્સમેનોને મદદરૂપ છે અને અહીં ઘણાં રન નોંધાય છે. ચિન્નાસ્વામીમાં કોઈપણ સ્કોરનો સરળતાથી પીછો કરી શકાય છે. આ ઉપરાંત પાકિસ્તાનને અમદાવાદમાં એક લાખ 30 હજાર દર્શકોની સમક્ષ ભારત સામે રમવાના દબાણનો પણ સામનો કરવો પડી શકે છે. આ તમામ કારણોસર PCB પોતાની ટીમને ભારત મોકલવામાં ખચકાટ અનુભવી રહ્યું છે. જોકે, આઈસીસીએ પીસીબીની તમામ માંગણીઓ ફગાવી દીધી હતી. હવે પાકિસ્તાને ફરી ભારત નહીં આવવાની પોકળ ચીમકી આપી છે, જ્યારે ICCએ તેની ઉપલબ્ધતા પૂછ્યા પછી જ શેડ્યૂલ જાહેર કર્યું છે.
વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર થયા બાદ પીસીબીના એક સત્તાવાર સૂત્રે કહ્યું હતું કે શેડ્યૂલ સરકારને મંજૂરી માટે મોકલવામાં આવશે. “વર્લ્ડ કપમાં અમારી સહભાગિતા, 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત સામેની મેચ કે અમે સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈએ તો મુંબઈમાં રમવું આ બધું સરકારની મંજૂરી પર આધારિત રહેશે. અત્યાર સુધી સરકારે PCBને ભારતના પ્રવાસ માટે NOC જારી કર્યું નથી અને આ એક સંવેદનશીલ મુદ્દો છે તેથી બોર્ડ પોતાની સરકારનો સ્પષ્ટ નિર્દેશ મળ્યા પછી જ આગળ વધી શકશે. અમે ICCને પહેલેથી જ જાણ કરી દીધી છે કે ટૂર્નામેન્ટમાં અમારી ભાગીદારી અથવા આયોજન સ્થળનો કોઈપણ મુદ્દો સૌપ્રથમ પીસીબીને ભારત પ્રવાસ માટે સરકારની મંજૂરી મળવા સાથે સંકળાયેલો છે.
કેટલાંક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાન સરકારે સુરક્ષા કારણોસર હજુ સુધી PCBને વર્લ્ડ કપ રમવાની મંજૂરી આપી નથી. પાકિસ્તાન સરકારે સુરક્ષા વ્યવસ્થા અંગે તપાસ શરૂ કરી છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાન સરકાર તેમની ટીમ ODI વર્લ્ડ કપ રમવા ભારત જશે કે નહીં તે અંગે જુલાઈના પ્રથમ સપ્તાહમાં નિર્ણય લેશે.
Advertisement