એશિયા કપ 2023 ટુર્નામેન્ટમાં ગઈકાલે ભારત અને નેપાળ વચ્ચે શ્રીલંકાના પાલેકલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે નેપાળને 10 વિકેટે હરાવીને ટુર્નામેન્ટના સુપર 4માં સ્થાન મેળવ્યું છે. વરસાદને લીધે મેચની ઓવર ઘટાડીને ડકવર્થ લુઈસ નિયમ મુજબ ભારતને આ મેચ જીતવા માટે 23 ઓવરમાં 145 રનનું લક્ષ્ય અપાયું હતું. ભારતે આ લક્ષ્ય 20.1 ઓવરમાં મેળવી લીધું હતું. રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા.
Advertisement
Advertisement
ભારતે નેપાળને 10 વિકેટે હરાવ્યું
એશિયા કપ 2023ની બીજી મેચમાં ભારતે નેપાળને 10 વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકાના પાલેકલ સ્ટેડિયમમાં વારેઘડીએ વરસાદના વિક્ષેપ વચ્ચે આ મેચ રમાઈ હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા નેપાળની ટીમ 48.2 ઓવરમાં 230 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ વરસાદના કારણે લાંબા સમય સુધી રમત બંધ રહી હતી. ભારત તરફથી રવિન્દ્ જાડેજા અને મોહમ્મદ સિરાઝે 3 – 3, શમી, હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરે નેપાળની એક – એક વિકેટ ઝડપી હતી.
તેને લીધે મેચની ઓવર ઘટાડીને ટીમ ઈન્ડિયાને ડકવર્થ લુઈસ પદ્ધતિ હેઠળ 23 ઓવરમાં 145 રનનું વિજયલક્ષ્ય મળ્યું હતું. ભારતે 20.1 ઓવરમાં વિના વિકેટે 147 રન નોંધાવીને આ મેચ 10 વિકેટે જીતી લીધી હતી. કેપ્ટન રોહિત શર્મા 74 રન અને શુભમન ગિલ 67 રન નોંધાવીને અણનમ રહ્યા હતા. આ જીત સાથે ટીમ ઈન્ડિયા સુપર ફોરમાં પહોંચી ગઈ છે.
ગ્રુપ Aમાંથી, પાકિસ્તાન પ્રથમ સ્થાને રહ્યું અને ભારત બીજા સ્થાને રહીને સુપર ફોર માટે ક્વોલિફાય થયું છે. ગ્રુપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન માટે સુપર ફોરમાં પહોંચવાનો માર્ગ હજુ ખુલ્લો છે. સુપર ફોર રાઉન્ડ 6 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારત અને પાકિસ્તાન ફરી એકવખત 10 સપ્ટેમ્બરે એકબીજા સાથે ટકરાશે. આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ મેચમાં ભારતની ફિલ્ડિંગ નબળી રહી હતી. ભારતના ટોચના ખેલાડીઓએ 21 બોલમાં ત્રણ કેચ ગુમાવ્યા અને નેપાળને સારી શરૂઆત અપાવી. શ્રેયસ અય્યરે કેચ છોડવાનો સિલસિલો શરૂ કર્યો. તે પછી વિશ્વના સર્વશ્રેષ્ઠ ફિલ્ડર ગણાતા વિરાટ કોહલીએ કેચ છોડ્યો. એટલું જ નહીં, વિકેટકીપર ઈશાન કિશને પણ એક સહેલો કેચ છોડ્યો અને ચોગ્ગો પણ જવા દીધો હતો.
Advertisement