આજની ભાગદોડની જિંદગીમાં માનસિક ભાગદોડ વિશેષ અને શારીરિક ભાગદોડ ઘટી રહી છે. જ્યારે આપણે ‘ભાગદોડ’ શબ્દ વાપરીએ છીએ ત્યારે માનસિક ભાગદોડ વધારે છે. સતત વિચારો કરવા અને મોબાઈલ સ્ક્રિનની સામે નિષ્ક્રિયતાથી બેસી રહેનારા અસંખ્ય લોકોના જીવનમાં ત્રણ મુખ્ય રોગોનું સતત જોખમ રહ્યા કરે છે.
Advertisement
Advertisement
એક ડાયાબિટિસ, બે બ્લડપ્રેશર અને ત્રણ ઓબેસિટી.
જે લોકો સતત બેસી રહેવા ટેવાયેલા છે તેમના માટે તો આ ત્રણેય રોગોનું જોખમ બમણું છે. પરંતુ જે લોકો પોતાના રુટિનમાં પણ બે કલાકથી વધુ સમય બેસી રહે છે તેવા લોકોને પણ આ રોગોનું જોખમ રહે છે.
સતત બેસી રહેવાથી સ્ટ્રેસ હોર્મોનમાં વધારો થાય છે અને મનને પ્રફુલ્લિત રાખતા એન્ડોર્ફિનમાં ઘટાડો થાય છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે જ્યારે શરીર નિષ્ક્રિય થાય છે ત્યારે મન પણ આપોઆપ નિષ્ક્રિયતા તરફ ચાલતું જાય છે. પરિણામે ભૂખ વધારે લાગે છે અને હોજરી મોટી થાય છે. હોજરી મોટી થવાથી શરીરમાં ચરબીનો જમાવડો વિશેષ થાય છે. આમ આખા શરીરનું માસ ઈન્ડેક્સ વધે છે. આખા શરીરના માસ ઈન્ડેક્સને મેઈન્ટેઈન કરવા શરીર વધુ ખોરાકની માંગણી કરે છે.
વગર ભૂખે પણ ભૂખ લાગ્યા કરે છે. જેની સીધી અસર શરીરમાં સ્ત્રવતા ઈન્સ્યૂલિન પર થાય છે. પેનક્રિયાઝની સ્થિતિસ્થાપક્તા ઘટવા લાગે છે અને તેના કારણે આપણાં શરીરની ચયાપચયની ક્રિયા પર , ઊંઘ પર અને તણાવ પર સીધી અસર થાય છે.
જો આવું ના થવા દેવું હોય તો સતત બે કલાકથી વધુ સમય બેસી ના રહો. કંઈકને કંઈક શારીરિક પ્રવૃત્તિ કે કામ કરતાં રહો. સવારે એક કલાકની એક્સરસાઈઝ સાથે પણ દિવસના સમયમાં હલનચલનવાળા કામ પસંદ કરો. નજીકમાં કંઈક ખરીદવા જાઓ તો સ્કૂટર લઈને નહીં પણ ચાલીને જાઓ. એક કે બે માળના ચઢાણમાં લિફ્ટનો ઉપયોગ ટાળો. બને તો વાહનને થોડું દૂર પાર્ક કરીને ચાલીને ઓફિસે જાઓ. નાના બાળકો સાથે રમવાની આદત કેળવો. ગમતી પ્રવૃત્તિમાં શારીરિક શ્રમ પડે તેવા કામ કરો.
Advertisement