સુપ્રીમ કોર્ટે બુધવારે એલોપેથી અને આયુર્વેદ ડોક્ટરના પગારના મુદ્દા પર મોટી ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આયુર્વેદિક ડોક્ટરોને એલોપેથિક ડોક્ટરો જેટલો જ પગાર અને સુવિધાઓનો હકદાર ગણી શકાય નહીં.
આ ટિપ્પણી સાથે સુપ્રીમ કોર્ટે 2012માં ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણય સામે રાજ્ય સરકારની અપીલ સ્વીકારી લેવાઈ છે. હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા નિયુકત કરાયેલા આયુર્વેદિક ડોક્ટરોને પણ સરકારી એલોપેથી ડોક્ટરો જેટલો જ પગાર અને અન્ય સુવિધાઓનો હકદાર ગણાવ્યા હતા. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે જણાવ્યું કે અમે એવું બિલકુલ નથી કહી રહ્યા કે આયુર્વેદિક ડોક્ટરોનું કામ ઓછું મહત્વનું છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ડોક્ટરોની બન્ને શ્રેણી ચોક્કસપણે સમાન વેતનના હકદાર બનવા માટે સમાન કામ કરી રહી નથી. અદાલતે કહ્યું કે જે રીતે એલોપેથીના ડોક્ટરો ઈમરજન્સી ડ્યુટી અને ટ્રોમા કેરમાં કુશળ છે તે કામ આયુર્વેદના ડોક્ટરો કરી શકતા નથી.
ખંડપીઠે કહ્યું કે આયુર્વેદ ડોક્ટરો માટે જટિલ સર્જરીમાં મદદ કરવી શક્ય નથી પરંતુ MBBS ડોક્ટરો આ કાર્ય કરી શકે છે.
અદાલતે વધુમાં કહ્યું કે, પોસ્ટમોર્ટમમાં આયુર્વેદ ડોક્ટરોની જરુર રહેતી નતી. શહેરો અને નગરોની જનરલ હોસ્પિટલોની OPDમાં MBBS ડોક્ટરો સેંકડો દર્દીઓ જુએ છે આ બાબતમાં આયુર્વેદ ડોક્ટરોમાં એવું હોતું નથી.
ગુજરાતના સરકારી આયુર્વેદિક ડોક્ટરોએ માંગ કરી હતી કે 1990માં કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલા ટીકુ કમિશનની ભલામણો તેમના પર પણ લાગુ કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટે 2012માં તેમનો મુદ્દો માન્ય રાખ્યો હતો. તેની સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયને રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં વારંવાર પુનરોચ્ચાર કર્યા છે કે આયુર્વેદ ડોક્ટરની પ્રેક્ટિસ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેનો ભવ્ય ઈતિહાસ છે.
Advertisement