કેસર કેરી, કેસરી સિંહ અને ગીરના જંગલની ભાતીગળ સંસ્કૃતિ માટે તાલાળા જાણીતું છે. જૂનાગઢમાંથી અલગ પડેલાં ગીર સોમનાથી જિલ્લાની જનરલ કેટેગરીની તાલાળા બેઠક 91મા ક્રમાંકની ગણાય છે. જિલ્લો ગીર સોમનાથ પોતે લોકસભા બેઠક અંતર્ગત જૂનાગઢમાં સમાવાયેલો છે. તાલાળા બેઠકમાં તાલાળા શહેર, તાલુકો ઉપરાંત સૂત્રાપાડા અને મેંદરડા તાલુકાનું એક ગામ સમાવિષ્ટ છે. આ બેઠક પર કુલ 2,31,585 મતદારો નોંધાયેલા છે. તાલાળામાં હવામાન બદલાય તેની બહુ જ ગંભીર અસર કેસર કેરીના ઉત્પાદન પર થાય છે. તૌકતે વાવાઝોડાંમાં અહીં આંબાઓને ભારે નુકસાન થયું હતું એથી આ વરસે સમગ્ર ગુજરાતને કેરી ઓછી મળી અથવા તો બહુ મોંઘી મળી. એ જ રીતે તાલાળાનું રાજકીય હવામાન પણ બહુ મહત્વપૂર્ણ ગણાય છે.
Advertisement
Advertisement
મિજાજઃ
ગીરની કેસર કેરી માટે ગુજરાત કે ભારત જ નહિ, દરિયાપાર પણ અનેરી ખ્યાતિ ધરાવતા તાલાળાની વિશેષતા એ છે કે અહીંની જમીન જેટલી ફળદ્રુપ છે એટલો જ અનોખો અહીંનો રાજકીય મિજાજ પણ છે. અહીં મતદારોએ કાયમ માટે નો રિપિટ થિયરી લાગુ કરેલી છે. પક્ષ કદાચ એનો એ જ રહે તો પણ સ્થાનિક મતદારો દર ચૂંટણીમાં નવા ઉમેદવારને તક આપતાં રહ્યાં છે. પરિણામે કોઈ એક પક્ષ કે કોઈ એક ઉમેદવારનો ગઢ અહીં કદી નથી બન્યો. મોટાભાગે કોંગ્રેસની ફાવટવાળી આ બેઠક પર ભાજપ પણ પૂરતું આક્રમક છે. વળી, પાતળી સરસાઈથી ઉમેદવારને જીતાડવા એ પણ અહીંની વિશેષતા છે. અપવાદોને બાદ કરતાં અહીં વિજેતા ઉમેદવારની સરસાઈ ખાસ નથી હોતી. જોકે ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે 31,730 મતની ભારે ઊંચી સરસાઈ મેળવીને આશ્ચર્ય જન્માવ્યું હતું.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | જશુભાઈ બારડ | કોંગ્રેસ | 19362 |
2002 | ગોવિંદભાઈ પરમાર | ભાજપ | 626 |
2007 | ભગવાનભાઈ બારડ | કોંગ્રેસ | 5632 |
2012 | જશુભાઈ બારડ | કોંગ્રેસ | 1478 |
2017 | ભગાભાઈ બારડ | કોંગ્રેસ | 31730 |
કાસ્ટ ફેબ્રિક
તાલાળા ગીર વિસ્તાર છે અને અહીં આહિર તેમજ કારડિયા સમુદાયનું ભારે વર્ચસ્વ છે. બંને સમાજ છેલ્લાં કેટલાંક સમયથી રાજકીય બાબતોમાં ભારે જાગૃત બની ચૂક્યા હોવાથી તાલાળા માત્ર રાજકીય જ નહિ, સામાજિક અને ધાર્મિક ગતિવિધિનું કેન્દ્ર પણ બનતું રહ્યું છે. એ સિવાય પાટીદાર, દલિત, કોળી સમુદાય પણ નોંધપાત્ર સંખ્યા ધરાવે છે. આહિર અને કારડિયા સમાજના ઉમેદવારે જીતવા માટે આ સમીકરણો પણ સંતુલિત કરવા પડે છે. 1975 પછી ફક્ત બે ચૂંટણીને બાદ કરતાં આહિર અથવા કારડિયા સમાજના ઉમેદવારો જ અહીં વિજયી બનતાં રહે છે. જ્ઞાતિ પ્રભુત્વનો આ દબદબો પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં પણ જોવા મળે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ જંબુસરઃ કોંગ્રેસની હાલકડોલક ‘સંજયદૃષ્ટિ’ સામે ભાજપને નવા-જૂના ચહેરાની મથામણ
સમસ્યાઓઃ
સમગ્ર સૌરાષ્ટ્રની માફક તાલાળાને પીવાલાયક પાણીની અને ખેતી માટે સિંચાઈની સમસ્યા સૌથી વધુ પજવનારી છે. તૌકતે વાવાઝોડામાં આ પંથકમાં થયેલાં ભારે નુકસાની માટે રાજ્ય સરકારે જાહેર કરેલી રાહતો અપૂરતી હોવાની ફરિયાદો વ્યાપક છે. ખેતી સિવાયની રોજગારીનો સદંતર અભાવ છે. GHCL જેવી મોટી કંપનીને બાદ કરતાં સ્થાનિક સ્તરે કોઈ મોટા ઉદ્યોગો આવ્યા નથી.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
આહિર જ્ઞાતિના ભગવાનભાઈ બારડ ગત ચૂંટણીમાં આ બેઠક પરથી રેકોર્ડબ્રેક માર્જિનથી વિજયી થયા હતા. તાલાળા પંથકની ખાસિયતથી વિપરિત તેમણે આશરે 59%મત મેળવીને સપાટો બોલાવ્યો હતો. તેમની ચૂંટણી રદ કરવામાં આવી એ પછી ખાસ્સી કાનૂની લડાઈ લડીને તેઓ પેટાચૂંટણી ટાળવામાં સફળ રહ્યા હતા. તેમનાં સમર્થનમાં યોજાયેલ આહિર સમાજના સંમેલનોએ પણ તેમની તરફેણમાં સહાનુભૂતિનો જુવાળ ઊભો કર્યો હતો. આગામી ચૂંટણીમાં ભગાભાઈને તેનો ફાયદો થાય એવી પૂરી શક્યતા છે. આ વિસ્તાર પર પકડ ધરાવતા પૂર્વ ધારાસભ્ય જશુભાઈ બારડના તેઓ નાનાભાઈ છે એ બાબત પણ તેમના ફાયદામાં રહે છે. જોકે તાલાળા અને સૂત્રાપાડા પાલિકા તેમજ પંચાયતોની ચૂંટણીમાં ભાજપનું વાવાઝોડું એવું ફરી વળ્યું કે કોંગ્રેસના મોટાભાગના આંબા તેમાં જમીનદોસ્ત થઈ ચૂક્યા છે. વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસ આ પડી ગયેલા આંબાઓ ફરી બેઠાં કરી શકે તો જ તેનાં ઉમેદવાર જીતી શકશે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ નવસારીઃ ભાજપનો ગઢ, કોંગ્રેસની સાખ, AAPનો પડકાર… કોણ ફાવશે?
હરીફ કોણ છે?
ભાજપ તરફથી ઉમેદવારી કરવા માટે આ બેઠક પર દાવેદારોમાં અનેક નામો એક એકથી ચડિયાતા છે. તેમાં પૂર્વ સાંસદ અને વિવાદાસ્પદ નેતા દિનુ બોઘાથી માંડીને ગત ચૂંટણીમાં હારી ગયેલા ગોવિંદભાઈ પરમાર પણ સામેલ છે. એ સિવાય ભાજપ જો તદ્દન નવા નામો પર વિચાર કરે તો કોળી સમાજના અગ્રણી રાજાભાઈ ચારિયાનું નામ પણ મોખરે ગણાય. જોકે સ્થાનિક જ્ઞાતિ સમીકરણો જોતાં ભાજપ આહિર કે કારડિયામાંથી જ પસંદગી કરે એ શક્યતા વધુ ઉજળી છે. ભાજપ માટે આ બેઠક પર બળવાખોરીનો ભય પણ નકારી શકાય તેમ નથી.
ત્રીજું પરિબળઃ
અહીં એકપણ પ્રકારના ત્રીજા પરિબળનો અણસાર નથી. એ જોતાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધો જંગ નિશ્ચિત છે. જોકે બંને મુખ્ય પક્ષોને બળવાખોરીનો ભય સવિશેષ રહેવાનો છે. કોંગ્રેસના ભગવાનભાઈ બારડ જો પોતાની તરફેણમાં મક્કમ હવામાન બનાવી શકે તો તેઓ હરીફોને સાથે લઈ શકશે પરંતુ ભાજપમાં બળવાખોરી થવાનો ભય ટાળી શકાય તેમ નથી. સિવાય કે ભાજપ કોઈ એવું નામ અહીં મૂકે જે દરેકને સાથે લાવી શકે. એવું નામ હાલ તો દિનુ બોઘા સોલંકીનું જ જણાય છે. પરંતુ તેમનો વિવાદાસ્પદ ભુતકાળ જોતાં ભાજપ ફરીથી તેમને મેદાનમાં ઉતારશે કે કેમ એ પ્રશ્નાર્થ છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ડભોઈઃ ભાજપ ફરી જાયન્ટ કિલર બનશે કે જાયન્ટ મેદાનમાં જ નહિ આવે?
Advertisement