ઝોનલ વિભાજનની દૃષ્ટિએ મધ્ય-પૂર્વ ગુજરાતની ગણાતી છોટાઉદેપુર બેઠક ચૂંટણી પંચ દ્વારા 137 બેઠક ક્રમાંક ધરાવે છે. ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો એ પછી પહેલી ચૂંટણીમાં ઓપન કેટેગરીની રહેલી આ બેઠક એ પછી તરત અનુસુચિત જનજાતિ માટે અનામત બેઠકનો દરજ્જો ભોગવતી રહી છે. છોટાઉદેપુર ઉપરાંત પાવી જેતપુરના 91 ગામો સમાવતી આ બેઠકમાં કુલ 2,65,7260 મતદારો છે.
Advertisement
Advertisement
મિજાજ
અનુસુચિત જનજાતિ માટે અનામત રહેલી આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે. વિધાનસભાની છેલ્લી 11 ચૂંટણીઓ પૈકી 9 વખત અહીં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. ગુજરાત ભાજપનો ગઢ હોવા છતાં આ બેઠક પર ભાજપ હજુ ય પોતાનું સંગઠન મજબૂત કરી શકતું નથી. અહીં રાઠવા પરિવારના ત્રણ દિગ્ગજોની મજબૂત પકડ છે. તેમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી નારણ રાઠવા, વર્તમાન ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને હાલ વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા સામેલ છે. રસપ્રદ બાબત એ છે કે ત્રણેય નેતાઓ પરસ્પર વેવાઈ પણ છે પરંતુ રાજનીતિમાં ક્યારેક સામસામે પણ આવી જાય છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પક્ષ | સરસાઇ |
1998 | સુખરામ રાઠવા | કોંગ્રેસ | 7403 |
2002 | શંકરભાઇ રાઠવા | ભાજપ | 29023 |
2007 | ગુલસિંગ રાઠવા | ભાજપ | 6118 |
2012 | મોહનસિંહ રાઠવા | કોંંગ્રેસ | 2305 |
2017 | મોહનસિંહ રાઠવા | કોંગ્રેસ | 1093 |
કાસ્ટ ફેબ્રિક
અનુસુચિત જનજાતિની મોટી સંખ્યા ધરાવતી આ બેઠકમાં રાઠવા, ગાવિત, ગામિત અને નિનામા આદિવાસીઓ પ્રભાવક છે. સાગમટે મતદાન કરવા ટેવાયેલા હોવાથી તેમના મતો નિર્ણાયક બને છે. એ ઉપરાંત મુસ્લિમ, દલિત સમાજ પણ સારી એવી સંખ્યામાં છે.
આ પણ વાંચો: #ઝીણી નજરે: કોળી સમાજ ગુજરાતની સૌથી મોટી વોટબેન્ક, છતાં મુખ્યમંત્રીપદ કેમ નથી મળતું?
સમસ્યા
ખનીજસંપત્તિથી પ્રચૂર હોવા છતાં આ વિસ્તાર આર્થિક રીતે પછાત જ રહ્યો છે. હજુ પણ અહીં શિક્ષણ, આરોગ્ય અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ સામે વ્યાપક ફરિયાદો છે. સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઓછી હોવાથી યુવાઓ મોટી સંખ્યામાં વડોદરા તરફ સ્થળાંતર કરી રહ્યા છે. છેલ્લાં કેટલાંક સમયથી યોગ્ય યોજનાઓના અભાવે પીવાના પાણીની સમસ્યા પણ વકરેલી છે. ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો દ્વારા રોજગારી વધારવાના દાવાઓ સામે વાસ્તવિકતા એ છે કે મોટા ઉદ્યોગો નથી આવ્યા અને સ્પેશિયલ ઈકોનોમી ઝોનની જાહેરાતો પણ ફક્ત કાગળ પર જ રહી છે.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટ કાર્ડ
મોહનસિંહ રાઠવા આ વિસ્તારના દિગ્ગજ રાજકારણી છે. સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ ધરાવે છે. પરંતુ ગત ચૂંટણીમાં તેઓ ભાજપના જશુ રાઠવા સામે માત્ર 1093 મતની પાતળી સરસાઈથી જીત્યા હતા. 78 વર્ષના થવા આવેલા મોહનસિંહનો જનસંપર્ક ઓછો થતો જાય છે. જોકે તેમણે પોતે જ હવે ચૂંટણી લડવાની અનિચ્છા જાહેર કરી દીધી છે. આમ છતાં આ વિસ્તારમાં હજુ પણ તેમનું નામ મત ખેંચવામાં નિર્ણાયક ગણાય છે.
હરીફ કોણ છે?
કોંગ્રેસમાં જ આ વખતે બે મુખ્ય દાવેદારો છે. મોહનસિંહ ચૂંટણી ન લડે તો તેમની જગ્યાએ તેમના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાનું નામ મોખરે ગણાય. પરંતુ છોટાઉદેપુર પાલિકાના પ્રમુખ સંગ્રામસિંહ પણ દાવેદારીમાં આગળ છે. તેઓ પૂર્વ કેન્દ્રિય મંત્રી નારણ રાઠવાના પુત્ર છે. બંને દિગ્ગજો પરસ્પર વેવાઈ છે. તેમની વચ્ચે સમાધાન સધાય તો આ બેઠક માટે કોંગ્રેસ નિશ્ચિંત રહી શકે છે. સામે ભાજપમાંથી ફરીથી જશુ રાઠવાને આગળ કરવામાં આવે તેવી શક્યતા છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ભાજપે કોંગ્રેસને ભારે પછડાટ આપેલી છે અને ગત વિધાનસભા બેઠક નજીવા મતે ભાજપે ગુમાવી હતી. એટલે આ વખતે ભાજપ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા આશાવાદી છે.
ત્રીજું પરિબળ
આમ આદમી પાર્ટીએ અહીં પગપેસારો તો કર્યો છે પરંતુ સંગઠન અને નેતૃત્વનો અભાવ તેને હજુ ય નડે છે. એ જોતાં ચૂંટણી આવતાં સુધીમાં આમઆદમી ખાસ કોઈ નોંધપાત્ર પરિબળ બને તેવું જણાતું નથી. ભારતીય ટ્રાઈબલ પાર્ટીના છોટુભાઈ વસાવા પણ અહીં ઉમેદવાર ઊભો રાખી શકે છે પરંતુ આદિવાસી વિસ્તાર હોવા છતાં અહીં છોટુભાઈ વસાવાનો ખાસ કશો પ્રભાવ નથી. એટલે છેવટે તો અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જંગ થશે એ નિશ્ચિત છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ રાવપુરાઃ પાયાનો સવાલ એક જ છે, રાજેન્દ્ર આ વખતે ય ભાજપના ‘રાવ’બનશે?
Advertisement