ચૂંટણીપંચ દ્વારા 175મો ક્રમ ધરાવતી નવસારી વિધાનસભા બેઠક અંતર્ગત નવસારી તાલુકાના 35 અને ગણદેવી તાલુકાના 27 ગામો સમાવિષ્ટ થાય છે. કુલ 2,49,992 મતદારો ધરાવતી આ બેઠકમાં નવસારી શહેરના મતદારોની સંખ્યા આશરે સવા લાખ જેટલી હોવાથી આ બેઠકને મુખ્યત્વે શહેરી બેઠક જ ગણવામાં આવે છે. 1980 પછી આ બેઠક અનુસુચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવતી હતી. 2017માં નવા સીમાંકન પછી ફરીથી આ બેઠક જનરલ કેટેગરી માટે થઈ છે. નવસારી સુરતની ભાગોળ ગણાતું શહેર હોવાથી અહીં સુરતના રાજકીય મિજાજની સીધી અસર રહે છે. દેશના દસથી વધુ પ્રાંતના લોકો અહીં વસતાં હોવાથી નવસારીને મિની ભારત પણ કહેવામાં આવે છે.
Advertisement
Advertisement
મિજાજઃ
નવસારી બેઠક પર શહેરી મતદારોની સંખ્યા અડધોઅડધ જેટલી છે. પરિણામે ગુજરાતના અન્ય શહેરી વિસ્તારોની માફક નવસારી પણ છેલ્લાં પાંત્રીશ વર્ષથી ભાજપનો અડીખમ ગઢ મનાય છે. સુરતના જરી અને એમ્બ્રોઈડરી તેમજ બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા પરપ્રાંતિયો નવસારી અને આસપાસના વિસ્તારોમાં રહેતાં હોવાથી તેમની સંખ્યા ખાસ્સી એવી છે. જેને લીધે આ બેઠક મિની ભારત પણ કહેવાય છે. નવસારી જે વલણ દર્શાવે તેને સમગ્ર ભારતના વલણનું પ્રતિબિંબ માનવામાં આવે છે. એ દૃષ્ટિએ પણ નવસારી બેઠક વિશિષ્ટ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાંસદ તરીકે નવસારી લોકસભા બેઠક પર સાડા પાંચ લાખ જેટલાં જંગી મતોની સરસાઈથી જીત્યા છે. તાલુકા પંચાયત, નગરપાલિકામાં પણ ભાજપનો દબદબો છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | મંગુભાઈ પટેલ | ભાજપ | 14112 |
2002 | મંગુભાઈ પટેલ | ભાજપ | 3838 |
2007 | મંગુભાઈ પટેલ | ભાજપ | 12083 |
2012 | પિયુષભાઈ દેસાઈ | ભાજપ | 15981 |
2017 | પિયુષભાઈ દેસાઈ | ભાજપ | 46095 |
કાસ્ટ ફેબ્રિક
પચરંગી વસ્તી ધરાવતી નવસારી બેઠકમાં મરાઠી, રાજસ્થાની, ઉડિયા અને બિહારી મૂળ ધરાવતા પરપ્રાંતિયોની વસ્તી લગભગ 40% જેટલી છે. ગુજરાતી મતદારોમાં કોળી સમાજ સૌથી પ્રભાવશાળી છે. એ પછીના ક્રમે અનાવિલ, મુસ્લિમ અને આદિવાસી સમાજ પણ નોંધપાત્ર વસ્તી ધરાવે છે. પરપ્રાંતિય મતદારો બહુધા ભાજપના સમર્થક હોવાથી આ બેઠક પર કાયમ ભાજપની જીત રહી છે. 1985 પછી અહીં એકપણ વાર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો નથી. આદિવાસી અનામત બેઠક હતી ત્યારે ભાજપના દિગ્ગજ નેતા અને હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ દેસાઈ આ બેઠક પરથી પાંચ વખત જીતી ચૂક્યા હતા. પરપ્રાંતિયો ઉપરાંત અનાવિલો પણ ભાજપના સમર્થક મનાય છે. જ્યારે આદિવાસીઓ અને કોળી સમાજનું વલણ ઉમેદવાર મુજબ બદલાતું રહે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ છોટાઉદેપુરઃ કોંગ્રેસી વેવાઈઓના ઝગડામાં ગઢ તોડવા ભાજપ આશાવાદી
સમસ્યાઓઃ
ભાજપનો ગઢ હોવા છતાં નવસારીમાં રસ્તા, ગટર અને ખાસ તો શહેરી નગરઆયોજનની ખામીની વ્યાપક ફરિયાદો છે. નાનું શહેર હોવા છતાં ટ્રાફિકનો પ્રશ્ન ખૂબ વકરેલો છે. રેલવે આ વિસ્તારના વિકાસ માટે મહત્વનું પરિબળ છે ત્યારે વિવિધ ટ્રેઈનના સ્ટોપેજ અંગેની માગણીઓ કાયમ ઊભેલી હોય છે. નવસારી-બિલિમોરા-ગણદેવી ટ્રેઈનની માંગણી પંદર વર્ષથી સંતોષાઈ નથી. સ્થાનિક સ્તરે રોજગારીની તકોનું સર્જન થયું ન હોવાથી નવસારી ધંધા રોજગાર માટે હજુ પણ સુરતનું ઓશિયાળું બની રહે છે. રેલવે અન્ડરપાસ કે ફ્લાયઓવર ન બનવાના કારણે શહેરના બે મુખ્ય રસ્તા પર ટ્રાફિકજામ કાયમી સમસ્યા છે.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટ કાર્ડ
પિયુષભાઈ દેસાઈ બે ટર્મથી આ બેઠક પરથી જીતે છે. સ્થાનિક સ્તરે તેમનાં સંપર્કો મજબૂત છે તેમજ સંગઠન પર સી.આર.પાટીલના પ્રભાવનો તેમને સીધો ફાયદો મળે છે. ગત ચૂંટણીમાં તેઓ આશરે 46 હજાર મતોની સરસાઈથી જીત્યા હતા, જે નવસારી બેઠકના ઈતિહાસની સૌથી મોટી જીત હતી. ભુપેન્દ્ર પટેલના વર્તમાન પ્રધાનમંડળમાં પણ પિયુષ દેસાઈને સ્થાન મળવાની અપેક્ષા ગણાતી હતી. તેમના પિતા દિનકર દેસાઈ પણ આ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે. નિર્વિવાદી અને સરળ વ્યક્તિત્વ ધરાવતા પિયુષભાઈ જોકે તેઓ રેલવે ફ્લાયઓવરની મંજૂરી મેળવી શક્યા નથી તેમજ નવસારીને આત્મનિર્ભર બનાવવાના વાયદા પૂરા કરવામાં પણ ઉણા ઉતર્યા હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ રાવપુરાઃ પાયાનો સવાલ એક જ છે, રાજેન્દ્ર આ વખતે ય ભાજપના ‘રાવ’બનશે?
હરીફ કોણ છે?
ભાજપમાં જો નો રિપિટ થિયરી લાગુ ન થાય તો પિયુષ દેસાઈની દાવેદારી નિશ્ચિત માનવામાં આવે છે. ગત ચૂંટણીમાં તેમણે મેળવેલો નોંધપાત્ર માર્જિન પણ તેમની દાવેદારીને મજબૂત બનાવે છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પાટીલ સામે કોળી ઉમેદવારને તક આપી હતી. ત્યારથી કોળી મતદારો કોંગ્રેસ પ્રત્યે ઝુકેલા મનાય છે. એટલે કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર ધર્મેશ પટેલને ફરીથી તક આપે એવી શક્યતા છે. લોકસભાની ચૂંટણીમાં હાર્યા પછી પણ ધર્મેશે પટેલે સ્થાનિક સ્તરે જનસંપર્ક જાળવી રાખ્યો છે. કોંગ્રેસના પ્રદેશ મહિલા અધ્યક્ષ જેનીબહેન ઠુમ્મરે અહીં સતત પ્રવાસો કરીને આ બેઠક પર કોંગ્રેસતરફી વાતાવરણ ઊભું કરવા પ્રયાસ કર્યો છે. પરંતુ કોંગ્રેસને તળિયાઝાટક સંગઠન તેમજ પરપ્રાંતિય નેતૃત્વની કમી આ વખતે પણ નડશે.
ત્રીજું પરિબળઃ
શહેરી વિસ્તાર હોવાથી આમઆદમી પાર્ટી અહીં પણ પ્રભાવ વધારી રહી છે. સુરતના આપના આગેવાનોના વારંવારના પ્રવાસોને લીધે આમઆદમી પાર્ટી અહીં હવામાન ઊભું કરવામાં તો સફળ રહી છે પરંતુ જમીની સ્તરના સંગઠનના અભાવે ભાજપના નેગેટિવ મતોને પોતાની તરફેણમાં વાળી શકે એ મુશ્કેલ છે. છતાં આમઆદમી પાર્ટી જો કોઈ જાણીતા અને અણધાર્યા ચહેરાને મેદાનમાં ઉતારે તો ભાજપ માટે પડકારરૂપ બની શકે છે.
આ પણ વાંચો: #ઝીણી નજરે: કોળી સમાજ ગુજરાતની સૌથી મોટી વોટબેન્ક, છતાં મુખ્યમંત્રીપદ કેમ નથી મળતું?
Advertisement