મુઘલ બાદશાહ જહાંગીર અને ચીનના પ્રમુખ શી જીનપિંગ વચ્ચે સામ્ય શું એવો સવાલ કરવામાં આવે તો વિવિધ તર્કોના ઝૂલે ઝૂલવાને બદલે સંખેડાના ઝૂલાનું નામ આપી દેજો. બીજો રસપ્રદ યોગાનુયોગ એ છે કે બંનેને ઝૂલે ઝુલાવવામાં ગુજરાતી નિમિત્ત હતા. બાદશાહ જહાંગીરને સંખેડાનો ઝૂલો ભેટ મોકલનાર અમદાવાદના શ્રેષ્ઠી શાંતિદાસ ઝવેરી હતા અને જિનપિંગને ઝૂલે ઝુલાવનારા વડાપ્રધાન મોદી હતા. વજનમાં હળવા પરંતુ ટકાઉપણાંમાં બહુ જ મજબૂત લાકડા પર નાજૂક મીનાકારી કરીને તેનાં પર વનસ્પતિના રંગો અને લાખના મિશ્રણથી નયનરમ્ય કલાકારી કરવાની આ વિસ્તારના આદિવાસીઓની આવડત દેશાવરમાં પહોંચાડનારો હતો સત્તરમી સદીનો અંગ્રેજ અધિકારી જેમ્સ ફોર્બ્સ. તે કેટલુંક ફર્નિચર બ્રિટન લઈ ગયો હતો અને ત્યાં તેણે કોઈ અખબારમાં લેખ પણ લખ્યો. એ પછી દુનિયાએ પણ સંખેડાની આ કારીગરીને બિરદાવી હતી. છોટા ઉદેપુર તાલુકામાં આવેલી આ બેઠક 139 નંબરનો ક્રમ ધરાવે છે. અનુસુચિત જનજાતિ માટે અનામત છે બેઠક અંતર્ગત સંખેડા, બોડેલી, નસવાડી શહેર-તાલુકાના કુલ 2,72,855 મતદારો નોંધાયેલાં છે. ફર્નિચરની કારીગરી, કલાકારી માટે જગવિખ્યાત આ વિસ્તાર પછાતની શ્રેણીમાં આવે એ અહીંની કમનસીબી ગણવી પડશે.
Advertisement
Advertisement
મિજાજઃ
ગુજરાત રાજ્યના આરંભકાળથી પચરંગી મિજાજ ધરાવતી આ બેઠક પર ચીમનભાઈ પટેલના પ્રાદેશિક પક્ષ કિમલોપને અને થોડાં સમય માટે ચર્ચામાં આવીને ખોવાઈ ગયેલાં પક્ષ જનતાદળ સહિત કોંગ્રેસ, ભાજપ સૌને સરખી તક મળતી રહી છે. સત્તાની નજીક હોય એ પક્ષના ઉમેદવાર તરફ આ વિસ્તારના મતદારોનો ઝોક રહેતો હોય છે. સામાન્ય બેઠક હતી ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ પણ અહીંથી જીતીને કેબિનેટ મંત્રી બન્યા હતા. છેલ્લાં પંદર વર્ષથી અહીં ભાજપના ઉમેદવારો પણ સફળતા મેળવી રહ્યાં છે. સંખેડા, બોડેલી અને નસવાડી એ ત્રણેય તાલુકા પંચાયતમાં પણ ભાજપનું વર્ચસ્વ છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | બાબરભાઈ તડવી | કોંગ્રેસ | 3,973 |
2002 | કાંતિભાઈ તડવી | ભાજપ | 35,619 |
2007 | અભેસિંહ તડવી | ભાજપ | 9,564 |
2012 | ધીરુભાઈ ભીલ | કોંગ્રેસ | 1,452 |
2017 | અભેસિંહ તડવી | ભાજપ | 12,849 |
આ પણ વાંચો: # બેઠકપુરાણ ઠાસરાઃ ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજાના પક્ષમાંથી આવેલાં પરમાર પર નિર્ભર
કાસ્ટ ફેબ્રિક
આશરે 65% આદિવાસી મતદાર ધરાવતા આ મતવિસ્તારમાં તડવી, ભીલ પેટાજાતિ મુખ્ય છે. એ સિવાય વસાવા, નિનામા અને ગામિત પેટાજાતિ પણ છે. દરેક સમુદાય આદિવાસી હોવા છતાં પરસ્પર અલગ પ્રકારના સમીકરણો ધરાવતો હોય છે. આ મતવિસ્તારની લગભગ 92% વસ્તી ગામડાંઓમાં અને નાનકડાં કસ્બાઓમાં વસે છે. અહીં શહેરીજીવનનો ઓછાયો દૂર સુધી ક્યાંય જોવા નથી મળતો. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો આદિવાસી પેટાજાતિઓના સમીકરણો મુજબ ઉમેદવારો પસંદ કરતાં હોય છે.
આ પણ વાંચો: # બેઠકપુરાણ આંકલાવઃ કોંગ્રેસના અમિત સામે જ્યાં ભાજપના અમિત પણ ટૂંકા પડે છે
સમસ્યાઓઃ
સૌથી મોટી વિડંબના એ છે કે અહીં જમીનનો માલિક હોય એ આદિવાસી ખેડૂત સૌરાષ્ટ્રમાં ખેતમજૂર કે ભાગિયા તરીકે કામ કરતો હોય છે. કારણ કે અહીં સિંચાઈની કોઈ વ્યવસ્થા જ ન હોવાથી ખેતીલાયક જમીન બિનફળાઉ થતી જાય છે. ઔદ્યોગિક વિકાસની અઢળક વાતો છતાં અહીં હજુ સુધી GIDCની સ્થાપના પણ થઈ નથી. લઘુઉદ્યોગોને પ્રોત્સાહક નીતિ અને જમીન ફાળવણીની વિચારણા સરકારી સેમિનાર અને એસી હોલની બહાર નીકળી નથી. પીવાલાયક પાણી, આરોગ્ય માટે આવશ્યક પ્રાથમિક સુવિધાઓનો અભાવ પણ આ મત વિસ્તારની કમનસીબી છે.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવી સ્થાનિક સ્તરે પ્રભાવશાળી મનાય છે પરંતુ કેટલાંક વિવાદોમાં સપડાયા પછી સ્થાનિક સ્તરે તેમનો સંપર્ક ઘટી ગયો હોવાનું કહેવાય છે. ભાજપની સરકાર હોવા છતાં ચૂંટણી ટાણે આપેલાં વચનો પૈકી મોટાભાગના વચનો પૂરા થયા ન હોવાથી તેમની કામગીરી સામે કચવાટ પણ વ્યાપક છે. કોરોનાના કપરા કાળમાં તેમની ગેરહાજરી પણ ભારે ચર્ચાસ્પદ બની હતી. છતાં નવા ચહેરાના અભાવમાં ભાજપ મોટાભાગે અભેસિંહને જ રિપિટ કરે એવી શક્યતા પ્રબળ છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ હાલોલઃ જયદ્રથનો રથ રોકવાનો પડકાર ઝીલવો આસાન નહિ હોય
હરીફ કોણ છે?
કોંગ્રેસના જૂના જોગી ધીરુભાઈ ભીલ ફરીથી ચૂંટણી લડવાનું રણશિંગું ક્યારના ફૂંકી ચૂક્યા છે. ભાજપના શાસનમાં ન થયેલાં કામોની યાદી ખાસ્સી મોટી હોવાથી આ વખતે કોંગ્રેસ માટે તક તો છે, પરંતુ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસને જાકારો મળ્યો હતો એ જોતાં તેનાં ઉમેદવારે ડુંગરાળ વિસ્તારોના ગામડાં ખૂંદવા અનિવાર્ય બની જશે.
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીની હાજરી અહીં નહિવત્ત છે. એટલે તેનાં ઉમેદવાર હોય તો પણ મુખ્ય જંગ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ લડાશે એ નિશ્ચિત છે
Advertisement