ગુજરાત વિધાનસભામાં બેઠકક્રમાંક 119 ધરાવતો ખેડા જિલ્લાનો ઠાસરા મત વિસ્તાર જનરલ કેટેગરીમાં આવે છે. ઠાસરા, ડાકોર ઉપરાંત ગળતેશ્વર તાલુકાને સમાવતી આ બેઠકમાં કુલ 2,69,340 મતદારો નોંધાયેલાં છે. મુખ્યત્વે ફળદ્રુપ ખેતી અને પશુપાલન માટે વિખ્યાત આ વિસ્તાર મગ, અડદ, મઠ, ચણા જેવા કઠોળના મબલખ પાક માટે જાણીતો છે. પશુપાલન અને દૂધ ઉત્પાદનમાં પણ અવ્વલ ગણાય છે. સહકારી પ્રવૃત્તિઓ સારા એવા પ્રમાણમાં વિસ્તરેલી હોવાથી અમૂલના વહીવટી સંચાલનમાં પણ ઠાસરાની હાજરી નોંધપાત્ર ગણાતી રહે છે. ઠાસરાના દિગ્ગજ નેતા રામસિંહ પરમાર હાલ અમૂલના ચેરમેન છે.
Advertisement
Advertisement
મિજાજઃ
આ મત વિસ્તાર મોટા ભાગે સત્તાવિરોધી મિજાજ ધરાવતો રહ્યો છે. જ્યારે ગુજરાતમાં કોંગ્રેસનો દિગ્વિજય થતો હતો ત્યારે અહીં ચરોતરના દિગ્ગજ નેતાના ભાઈકાકા પટેલના પ્રભાવ હેઠળ આરંભની બે ચૂંટણીઓમાં સ્વતંત્ર પક્ષના ઉમેદવારો જીત્યા હતા. એ પછી ઈશ્વરસિંહ ચાવડા અને માધવસિંહ સોલંકી જેવા નેતાઓનો પ્રભાવ વધતાં અહીં કોંગ્રેસનો દબદબો શરૂ થયો. પરંતુ સત્તાવિરોધી માનસિકતા એવી જળવાઈ રહી કે 2002ના એક અપવાદને બાદ કરતાં અહીં ભાજપના ઉમેદવારને તક મળી શકી નથી. રામસિંહ પરમાર આ બેઠક પરથી જનતા દળ અને કોંગ્રેસની ટીકિટ પર પાંચ વખત જીત્યા છે. પરંતુ ભાજપમાં જોડાયા પછી ચૂંટણી લડ્યા ત્યારે આશરે સાત હજાર મતથી તેમની હાર થઈ હતી.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | રામસિંહ પરમાર | કોંગ્રેસ | 9,873 |
2002 | ભગવાનસિંહ ચૌહાણ | ભાજપ | 16,085 |
2007 | રામસિંહ પરમાર | કોંગ્રેસ | 8,564 |
2012 | રામસિંહ પરમાર | કોંગ્રેસ | 5,500 |
2017 | કાંતિભાઈ પરમાર | કોંગ્રેસ | 7,028 |
આ પણ વાંચો: # બેઠકપુરાણ આંકલાવઃ કોંગ્રેસના અમિત સામે જ્યાં ભાજપના અમિત પણ ટૂંકા પડે છે
કાસ્ટ ફેબ્રિક
ક્ષત્રિય સમુદાયનું અકબંધ પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારમાં અન્ય ઓબીસી જ્ઞાતિઓ પણ મોટા પ્રમાણમાં છે. એ ઉપરાંત મુસ્લિમો અને દલિતોની વસ્તી પણ નોંધપાત્ર છે. અગાઉ બે વખત આ બેઠક પરથી યાસિનમિયાં મલિક ધારાસભ્ય બની શક્યા હતા. જોકે ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ અને પોતાના જ ઉમેદવાર માટેનો આગ્રહ જોતાં બંને પક્ષો આ વખતે પણ ક્ષત્રિય ઉમેદવાર જ ઉતારે એવી શક્યતા બળવત્તર છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ હાલોલઃ જયદ્રથનો રથ રોકવાનો પડકાર ઝીલવો આસાન નહિ હોય
સમસ્યાઓઃ
ખેતી આધારિત વિસ્તાર હોવાથી અહીં પાણીની સમસ્યા હંમેશા ગંભીર ગણાય છે. પિયત ઉપરાંત પીવાલાયક પાણીના પ્રદુષણનો પ્રશ્ન પણ અહીં ખૂબ વ્યાપક છે. ખેતી અને પશુપાલન સિવાય સ્થાનિક સ્તરે ઉચ્ચ શિક્ષણ અને રોજગારીની ખાસ કોઈ તક ન હોવાથી યુવાઓ શહેરો ભણી ખેંચાતાં જાય છે.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
કોંગ્રેસના ધારાસભ્ય કાન્તિભાઈ પરમાર મૂળ તો ભાજપનું ગોત્ર ધરાવે છે. પરંતુ રામસિંહ પરમાર જેવા કટ્ટર હરીફને ભાજપે પક્ષમાં સમાવ્યા અને વિધાનસભાની ટીકિટ આપી એટલે નારાજ થયેલા કાન્તિભાઈ કોંગ્રેસ સાથે જોડાયા અને ભાજપને પછડાટ આપી હતી. સ્થાનિક સ્તરે તેમનાં પ્રત્યે સહાનુભૂતિ પ્રવર્તે છે. જોકે જમીન વિવાદમાં તેમના પર ગંભીર હુમલો થયા પછી અહીં નામ વગરની પત્રિકાઓ ફરતી થઈ હતી જેમાં કાન્તિભાઈ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થયા હતા. સ્થાનિક સ્તરે મજબૂત સંપર્ક ધરાવતા કાન્તિભાઈ જમીનીસ્તરના નેતા છે એવું તો તેમનાં વિરોધીઓ પણ કબૂલે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ મહુધાઃ એકપણ વખત અહીં ન જીતેલું ભાજપ આ વખતે નવી રણનીતિના શરણે
હરીફ કોણ છે?
દિગ્ગજ નેતા રામસિંહ પરમાર હવે ઉંમરના કારણે તેમજ અમૂલના હોદ્દાના કારણે ઉમેદવારી કરે એ શક્યતા નહિવત્ત છે પરંતુ ચૂંટણીના પરિણામો પર તેમનો પ્રભાવ અવશ્ય રહેવાનો છે. ભાજપના ઉમેદવારની પસંદગીમાં પણ રામસિંહ પરમારનો અભિપ્રાય મહત્વનો રહેશે. ક્ષત્રિય મતો વહેંચાઈ જાય એ સંજોગોમાં મુસ્લિમ સહિત અન્ય સમુદાયના મત લાવી શકે એવાં મજબૂત ઉમેદવાર તરીકે રામસિંહ સિવાય બીજું કોઈ નામ હજુ ચર્ચામાં જણાતું નથી.
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીએ અહીં નટવરસિંહ રાઠોડને મેદાનમાં ઉતાર્યા છે પરંતુ સંગઠન અને કાર્યકરના અભાવમાં આપના ઉમેદવાર બહુ મોટો ફરક પાડી શકે તેમ જણાતું નથી. અહીં મુસ્લિમ મતદારોની મોટી સંખ્યા હોવાથી ઓવૈસીના પક્ષ તરફથી પણ સર્વે થયો હોવાનું કહેવાય છે પરંતુ એ સિવાય અહીં ઉમેદવાર ઊભો રાખવામાં આવે એ સંબંધિત કશી હિલચાલ જણાતી નથી.
Advertisement