આણંદ જિલ્લાનો આંકલાવ તાલુકો ચરોતર અને કાનમની સરહદ કહી શકાય. તમાકુ અને કપાસના વાવેતર માટે જગવિખ્યાત આ બંને પ્રદેશોની જમીન જેટલી ફળદ્રુપ છે એટલી જ અહીંની ખુમારી પણ જાણીતી છે. આઝાદીની લડાઈમાં ચરોતર અગ્રેસર રહ્યું હતું અને ગુજરાત રાજ્યની સ્થાપના પછી પણ આંકલાવ, પેટલાદ જેવા ગામો નાના હોવા છતાં મહત્વનું સ્થાન આંકી શક્યા છે. જમીનની પાટી (હક્ક, ભોગવટાનો પટ્ટો આપવાની) પદ્ધતિ ધરાવતા ચરોતરમાં આ આખો વિસ્તાર એવો છે જ્યાં ક્ષત્રિયો ભારે મોટી સંખ્યામાં જમીનમાલિક છે. આથી અહીં દાયકાઓથી ક્ષત્રિયો પ્રભાવી રહ્યા છે. અગાઉ આ બેઠક ભાદરણ નામથી ઓળખાતી હતી. નવા સીમાંકન પછી તે બેઠકક્રમાંક 110 આંકલાવ તરીકે ઓળખાય છે. આંકલાવ ગામ, તાલુકા ઉપરાંત વાસદ સુધીના ગામો આ બેઠકમાં સમાવિષ્ટ છે. કુલ મતદાર સંખ્યા 2,23,812
Advertisement
Advertisement
મિજાજઃ
આઝાદીની લડાઈમાં મહત્વનું યોગદાન આપનારા ઈશ્વરસિંહ ચાવડા અને બાદમાં ગુજરાતના પ્રભાવશાળી મુખ્યમંત્રી બનેલા માધવસિંહ સોલંકીના કાર્યક્ષેત્રમાં હરહંમેશ કોંગ્રેસનો દબદબો રહ્યો છે. કોંગ્રેસ પક્ષ અને ક્ષત્રિય ઉમેદવાર એ આ બેઠકનો કાયમી મિજાજ છે. ગુજરાતમાં ભારતીય જનતા પક્ષની ચડતી કળા અને જુવાળ વખતે પણ અહીં કોંગ્રેસના ઉમેદવાર માતબર સરસાઈથી જીતતા રહ્યા છે. જોકે લોકસભાની ગત ચૂંટણીમાં આંકલાવ વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપના મિતેષ પટેલને 12 હજાર જેટલાં મતોની સરસાઈ મળી હતી.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | ધીરસિંહ પરમાર | કોંગ્રેસ | 20,562 |
2000 | રાજેન્દ્રસિંહ પરમાર | કોંગ્રેસ | 23,724 |
2002 | રાજેન્દ્રસિંહ પરમાર | કોંગ્રેસ | 20,009 |
2007 | રાજેન્દ્રસિંહ પરમાર | કોંગ્રેસ | 27,691 |
2012 | અમિતકુમાર ચાવડા | કોંગ્રેસ | 30,319 |
2017 | અમિતકુમાર ચાવડા | કોંગ્રેસ | 33,629 |
(છેલ્લાં બે પરિણામો નવા સીમાંકન પછીના છે)
આ પણ વાંચો: #બેઠકપુરાણ હાલોલઃ જયદ્રથનો રથ રોકવાનો પડકાર ઝીલવો આસાન નહિ હોય
કાસ્ટ ફેબ્રિક
આશરે સવા બે લાખ જેટલાં મતદારોમાં ક્ષત્રિય સમુદાયનું પ્રમાણ લગભગ એક લાખ જેટલું છે. માટે અહીં દરેક પક્ષે ક્ષત્રિય ઉમેદવારને જ પ્રાધાન્ય આપવું પડે છે. આ ઉપરાંત પાટીદાર, ઓબીસી અને દલિત મતદારો પણ નોંધપાત્ર પ્રમાણમાં છે. જોકે વિધાનસભાની ચૂંટણીમાં તેમને ખાસ તક રહી નથી.
આ પણ વાંચો: #બેઠકપુરાણ મહુધાઃ એકપણ વખત અહીં ન જીતેલું ભાજપ આ વખતે નવી રણનીતિના શરણે
સમસ્યાઓઃ
ખરાબ રસ્તાઓ એ આ મતવિસ્તારની મુખ્ય સમસ્યા છે. ધારાસભ્યની ગ્રાન્ટની અડધાથી વધારે રકમ મંજૂર થઈ નથી. કોંગ્રેસ આ અંગે ભાજપશાસિત રાજ્ય સરકારની કિન્નાખોરીને કારણભૂત ગણાવે છે. ખેતી એ જ અહીંની મુખ્ય રોજગારી છે. અન્ય વર્ગ ખેતમજૂરી સાથે સંકળાયેલા છે. ઉચ્ચ શિક્ષણ અને રોજગારી માટે યુવાઓ માટે નડિયાદ, આણંદ કે વડોદરા સિવાય સ્થાનિક સ્તરે કોઈ વિકલ્પ નથી.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
બે ટર્મથી સતત વધતી સરસાઈ સાથે જીતતા અમિત ચાવડા આ વિસ્તારના દિગ્ગજ નેતા ઈશ્વરસિંહ ચાવડાના પૌત્ર અને માધવસિંહ સોલંકીના ભત્રીજા થાય છે. ગુજરાત પ્રદેશપ્રમુખ પણ રહી ચૂક્યા છે. મિતભાષી અને અત્યંત સૌમ્ય છબી ધરાવતા અમિતભાઈ સ્થાનિક સ્તરે ઘનિષ્ઠ સંપર્ક ધરાવે છે. પોતાના દરેક ટેકેદારોને નામજોગ ઓળખતાં હોય છે. મતવિસ્તારની કામગીરીમાં જોકે ઉણા ઉતર્યા છે પરંતુ રાજ્યની રાજનીતિમાં તેમનું કદ જોતાં સ્થાનિક સ્તરે કોંગ્રેસમાં તેમને ખાસ હરીફાઈ નડતી નથી. ત્રીજી ટર્મમાં પણ તેમની દાવેદારી નિશ્ચિત માનવામાં આવે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ નડિયાદઃ ભાજપના ગઢમાં પાંચ ટર્મની દેસાઈગીરી કોંગ્રેસ આ વખતે તોડશે?
હરીફ કોણ છે?
કદી ન જીતાયેલી બેઠકો જીતવા માટે ચૂંટણી ચાણક્ય તરીકે પંકાયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશેષ રણનીતિ બનાવી હોવાનું કહેવાય છે. ગત ચૂંટણીમાં ભાજપે હંસકુંવરબા રાજને ઉમેદવાર બનાવીને સ્થાનિક કાર્યકરોની નારાજગી વ્હોરી લીધી હતી. આ વખતે ભાજપ એવી ભૂલ નહિ કરે. લોકસભાની ચૂંટણી વખતે આ વિસ્તારમાં સરસાઈ મળ્યા પછી ભાજપ આ વખતે પાટીદાર, ઓબીસી કાર્ડ અજમાવે એવી પૂરી શક્યતા છે. તાલુકા પંચાયતમાં પણ ભાજપને આ સમીકરણ વડે 7 બેઠકો મળી હતી. વિધાનસભા માટે પણ એ જ સમીકરણ ભાજપ અજમાવે તો વિશાલ પટેલ મુખ્ય દાવેદાર મનાય છે. સાંસદ મિતેશ પટેલ પણ અહીં કેસરિયો લહેરાવવા માટે ભારે મહેનત કરી રહ્યા છે.
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટી અહીં ખાસ સંગઠન ધરાવતી નથી. વડોદરામાં યોજાતી કેજરીવાલની સભા, રેલીમાં પણ સ્થાનિક સ્તરે ખાસ ઉત્સાહ જણાયો નથી. એ જોતાં અહીં આપ કોઈ પ્રભાવ ઊભો કરી શકે તેમ નથી અને ભાજપને ત્રિપાંખિયા જંગનો લાભ પણ મળી શકે તેમ નથી.
Advertisement