સખાવત અને રાષ્ટ્રપ્રેમ કોને કહેવાય તેની અદ્ભૂત મિસાલ એટલે મણિનગર. સત્તરમી સદીમાં અમદાવાદના મુઘલ સુબા મુરાદબક્ષ પાસેથી શેઠ ઉત્તમચંદ સાંકળચંદે રોકડા 700 રૂપિયા ચૂકવીને કોટ વિસ્તારના અમદાવાદની દક્ષિણે બિનઉપજાઉ ગણાતી હજારો એકર જમીનનો પટ્ટો ખરીદ્યો હતો. ટેકરાવાળી પથરાળ જમીનને આકરી મહેનતથી ખેતીલાયક બનાવીને શેઠ ઉત્તમચંદના વંશજોએ ત્રણસો વર્ષ ભોગવટો કર્યો. આજથી 100 વર્ષ પહેલાં અમદાવાદનો કોટ વિસ્તાર વસ્તીથી ફાટાફાટ થતો હતો અને નદી પારના વિસ્તારો વિકસાવવાની આવશ્યકતા ઊભી થઈ એ વખતે અમદાવાદ પાલિકા વતી સરદાર પટેલે શેઠ ઉત્તમચંદના વંશજ શેઠ માણેકલાલ મણિલાલને વિનંતી કરી અને સરદારની વિનંતીથી પ્રેરિત થઈને શેઠ માણેકલાલે તરત જ હજારો એકર જમીન કોઈ શરત વગર અમદાવાદ પાલિકાને દાનમાં આપી દીધી. સરદાર પટેલના પ્રયત્નોથી એ જમીન પર સમગ્ર અમદાવાદનો આધુનિક પ્લાનિંગ સાથેનો સૌપ્રથમ રહેણાંક વિસ્તાર વિકસ્યો, જેને શેઠ માણેકલાલના પિતાના નામ પરથી પહેલાં મણિપુર નામ અપાયું અને બાદમાં એ મણિનગર તરીકે ઓળખાયું. આજે મણિનગર અમદાવાદના શ્રેષ્ઠ વિસ્તારોમાં સ્થાન પામે છે તેમાં સરદાર પટેલની દીર્ઘદૃષ્ટિ ઉપરાંત શેઠ માણેકલાલની સખાવતનું પણ બહુમૂલ્ય યોગદાન છે. સળંગ ત્રણ ટર્મ સુધી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું છે.
Advertisement
Advertisement
મિજાજઃ
નરેન્દ્ર મોદીની બેઠક તરીકે જાણીતો આ મત વિસ્તાર ત્રણ દાયકાથી ભાજપનો અડીખમ સમર્થક રહ્યો છે. અહીં 1985 પછી ક્યારેય કોંગ્રેસના ઉમેદવારને તક મળી નથી. મધ્યમવર્ગિય વસ્તીનો રહેણાંક વિસ્તાર અને મુખ્યત્વે ટ્રેડિંગ બિઝનેસનું હબ ગણાતો આ વિસ્તાર શાંતિપ્રિય અને સ્થિર શાસનનો આગ્રહી હોવાથી અહીં હિન્દુત્વ, વિકાસ અને સ્થિરતાનું સમીકરણ મતદારો અને ભાજપ વચ્ચે મજબૂત કડી જોડતું રહ્યું છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | કમલેશ પટેલ | ભાજપ | 39,050 |
2002 | નરેન્દ્ર મોદી | ભાજપ | 75,333 |
2007 | નરેન્દ્ર મોદી | ભાજપ | 87,161 |
2012 | નરેન્દ્ર મોદી | ભાજપ | 86,373 |
2017 | સુરેશ પટેલ | ભાજપ | 75,199 |
આ પણ વાંચો: #બેઠકપુરાણ ઘાટલોડિયા: વરરાજાને સવા લાખના ચાંદલાથી ઓછું કંઈ ન ખપે
કાસ્ટ ફેબ્રિક
આ બેઠક તેનાં પચરંગી કાસ્ટ ફેક્ટરને લીધે મિની ભારત પણ કહેવાય છે. અહીં પાટીદાર, બ્રાહ્મણ, વાણિયા જેવી સવર્ણ વસ્તીની સમાંતરે ઓબીસી અને દલિત સમુદાય પણ મોટા પ્રમાણમાં છે અને પરપ્રાંતિયો, સવિશેષ દક્ષિણ ભારતીયો અને ખ્રિસ્તિની વસ્તી પણ નોંધપાત્ર છે. મોટાભાગે પાટીદાર ઉમેદવારો પસંદ કરવાનું દરેક પક્ષનું વલણ રહ્યું છે. નરેન્દ્ર મોદી સામે ઉમેદવારી કરવા માટે કોંગ્રેસે ખેડા જિલ્લાના અગ્રણી દિનશા પટેલને અહીં પાટીદાર વોટબેન્ક માટે જ ઉતાર્યા હતા. જોકે ભાજપને અહીં ઉમેદવારની જ્ઞાતિનું એવું બંધન નડતું નથી.
સમસ્યાઓઃ
કાંકરિયા તળાવના ડેવલપમેન્ટ પછી મણિનગર વિસ્તારની કાયાપલટ થઈ ગઈ છે. નારોલ-નરોડા હાઈવે વિકસિત થવાથી ઈસનપુર, લાંભા વિસ્તારોની કનેક્ટિવિટી વધી છે અને જમીન-મકાનોના ભાવ પણ ઊંચકાયા છે. જોકે બીઆરટીએસના કારણે હકડેઠઠ ટ્રાફિક જામ અને ખાસ તો પાર્કિંગના અભાવે સ્થાનિક માર્કેટમાં ઘટેલી ઘરાકી સામે વેપારીઓમાં ભારે કચવાટ છે. અહીં સ્થાનિક સ્તરે બીઆરટીએસને બહુ મોટું ડિઝાસ્ટર ગણાવાય છે. પાણી ભરાવાની સમસ્યા માટે બીઆરટીએસને જવાબદાર ગણાવવામાં આવે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ નારણપુરાઃ ગૃહમંત્રીના ઘરમાં ધાડ પાડવાનો વિચાર સુદ્ધાં મુશ્કેલ
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં એ પછી 2014માં પેટાચૂંટણી જીતીને ધારાસભ્ય બનેલાં સુરેશ પટેલને ભાજપે 2017ની ચૂંટણીમાં પણ રિપિટ કર્યા હતા. પરંતુ નબળા જનસંપર્કની ફરિયાદોના કારણે હાલમાં તેમની જગ્યાએ ભાજપે અમુલ ભટ્ટને ઉતાર્યા છે. મ્યુનિ. કોર્પોરેશનના ટોચના નેતા તરીકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા અમુલ ભટ્ટ આ વિસ્તારના જૂના ખેલાડી છે. નરેન્દ્ર મોદી અહીં પ્રતિનિધિત્વ કરતા હતા ત્યારે તેમનું સઘળું પ્રચારકાર્ય અમુલ ભટ્ટ સંભાળતા હોવાથી સ્થાનિક સમીકરણો, સંગઠનની જરૂરિયાતો અને જનસંપર્કથી સારી રીતે વાકેફ ગણાય છે. અમિત શાહના વિશ્વાસુ હોવાથી તેમને જૂથબંધી કે એવી કશી સમસ્યા નડે તેમ નથી.
હરીફ કોણ છે?
કોંગ્રેસે અહીં સી.એમ.રાજપૂતને પસંદ કર્યા છે પરંતુ ભાજપના ગઢને તોડવા માટે જરૂરી વ્યક્તિગત કરીશ્મા, કામગીરી કે જનસંપર્ક માટે જરૂરી સંગઠનના મામલે કોંગ્રેસના ઉમેદવાર ખાસ્સા ટૂંકા પડતાં હોવાની સ્થાનિક છાપ ઉપસે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ દરિયાપુર: ગ્યાસુદ્દિનની હેટ્રિક અને ભાજપની આશા હસનલાલાની બેટિંગ પર નિર્ભર
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વિપુલ પટેલ અહીં મેદાનમાં છે. સ્થાનિક સંસ્થાઓ સાથે સંકળાયેલા વિપુલ પટેલ સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમથી કોરોનાકાળમાં સેવાકિય પ્રવૃત્તિઓ કરીને જાણીતા બન્યાં છે. આપના ગેરંટી વચનોની અહીં નોંધપાત્ર અસર પણ છે પરંતુ તેને મતદાન મથક સુધી લાવી શકે એવાં સંગઠનનો અહીં અભાવ છે. એ જોતાં આપના ઉમેદવાર કોઈ મોટો ફરક પાડી શકે એવું હાલ લાગતું નથી.
Advertisement