અન્ય પ્રદેશમાંથી શહેર ભણી સ્થળાંતરિત થનારા લોકો પોતાના વતનની દિશાનો વિસ્તાર જ વસવાટ માટે કેમ પસંદ કરતાં હોય છે? આ સવાલનો મનોવૈજ્ઞાનિક જવાબ કંઈપણ હોઈ શકે, પરંતુ આ હકિકત છે. સૌરાષ્ટ્રના લોકો એક જમાનામાં વસવાટ માટે અમદાવાદનું બાપુનગર પસંદ કરતાં હતા કારણ કે સૌરાષ્ટ્રથી અમદાવાદના રૂટ પર એ વિસ્તાર જ પહેલો આવતો હતો. રોજગારી માટે સુરત આવેલાં સૌરાષ્ટ્રવાસીઓ પહેલાં જ વિસ્તાર કામરેજ અને પછી વરાછામાં સ્થાયી થયા. એ જ રીતે ઉત્તર ગુજરાતથી અમદાવાદ આવેલાં લોકોએ મહેસાણા, અડાલજના માર્ગેથી અમદાવાદમાં પ્રવેશીને જે પ્રથમ વિસ્તારમાં વસવાટ કર્યો એ ઘાટલોડિયા. ઘાટલોડિયા વસ્તીથી છલકાઈ ગયું પછી ચાણક્યપુરી, ચાંદલોડિયા વિકસ્યા. એંશીના દાયકામાં ગુજરાત હાઉસિંગ બોર્ડે નારણપુરા, સોલા રોડ પર રહેણાંક મકાનો બાંધ્યાં એટલે પોળ વિસ્તારના હિન્દુઓ પણ અહીં માઈગ્રેટ થયા. સરવાળે આવડો મોટો વિસ્તાર એવો બન્યો જ્યાં યા તો ઉત્તર ગુજરાત અથવા તો પોળના મૂળ અમદાવાદીઓ સ્થાનાંતર કરીને આવેલાં હતાં. વિધાનસભાની આ મૂળ સરખેજ બેઠક હતી, જે અત્યંત વિશાળ હોવાથી તેને નવા સીમાંકનમાં સરખેજ, વેજલપુર અને ઘાટલોડિયા એમ ત્રણ બેઠકમાં વિભાજીત કરવામાં આવી. ઘાટલોડિયા બેઠક અંતર્ગત ઘાટલોડિયા, મેમનગર ઉપરાંત ભાગોળે વસેલાં બોપલ, ગોતા, શિલજ, ચેનપુર, ઓગણજ જેવા પરાંઓ પણ સામેલ હોવાથી ભૌગોલિક રીતે આ બેઠક પણ ખાસ્સી વિશાળ અને મતદાર સંખ્યાની દ્રષ્ટિએ પણ વિરાટ છે. અહીં કુલ 3,52,340 મતદારો નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
જૂનાં અમદાવાદના કોમી રમખાણોથી ત્રાસીને સ્થળાંતર કરનાર પોળ વિસ્તારના લોકોની માનસિકતાને લીધે ઘાટલોડિયા વિધાનસભા બેઠક હિન્દુત્વનો ગઢ મનાય છે. અહીં ભાજપના ઉમેદવાર આખા ય ગુજરાતમાં સૌથી વધુ સરસાઈથી જીતે છે. આ બેઠક ગાંધીનગર લોકસભા મતવિસ્તાર અંતર્ગત આવે છે અને ગાંધીનગર લોકસભા હાઈ પ્રોફાઈલ બેઠક છે. અગાઉ એ બેઠક પરથી એલ.કે.અડવાણી જીતતા હતા. હવે ગૃહમંત્રી અમિત શાહ એ વિસ્તારના સાંસદ છે. એટલે આ વિધાનસભા બેઠકને પણ વીઆઈપી સીટનો લાભ મળે છે. અહીં કોંગ્રેસ સહિતના દરેક પક્ષોને જનઆધાર ઊભો કરવો એ તરણાં વડે ડુંગર કોરવા જેવો પડકાર બની રહે છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
2012 | આનંદીબહેન પટેલ | ભાજપ | 1,10,395 |
2017 | ભુપેન્દ્ર પટેલ | ભાજપ | 1,17,750 |
(નવા સીમાંકન પછી અસ્તિત્વમાં આવી હોવાથી અહીં બે ચૂંટણી યોજાઈ છે)
આ પણ વાંચો: #બેઠકપુરાણ બાપુનગર: કોંગ્રેસે દર્શાવેલ ‘હિંમત’ પછી હવે પાટીદારોનો ઝુકાવ નિર્ણાયક
કાસ્ટ ફેબ્રિક
આ મતવિસ્તારમાં આશરે 85,000 પાટીદારો સૌથી વધુ નિર્ણાયક પરિબળ મનાય છે, જેમાં ઉત્તર ગુજરાતના મૂળ ધરાવતાં કડવા પાટીદારોનું પ્રમાણ સવિશેષ છે. એ પછીના ક્રમે રબારી, ભરવાડ જેવો માલધારી સમુદાય આશરે 55,000 જેટલી સંખ્યા ધરાવે છે. 40,000 ઠાકોર અને 40,000 દલિત સમુદાય પણ નોંધપાત્ર સંખ્યામાં છે. એ સિવાય લુહાર, સુથાર, દરજી જેવી ઓબીસી જ્ઞાતિઓ 70,000 જેટલી સંખ્યા ધરાવે છે તો બ્રાહ્મણ, વાણિયા, લોહાણા જેવાં સવર્ણો પણ 65-70,000 જેટલી સંખ્યામાં છે. ભાજપ પાટીદાર ઉપરાંત ઓબીસી અને સવર્ણ સમુદાયની તાકાત પર મુસ્તાક રહે છે અને કોંગ્રેસ અહીં અત્યંત પાંખી, લગભગ નહિવત્ત મુસ્લિમ વસ્તીને લીધે જ્ઞાતિ સમીકરણો સંતુલિત કરવામાં નિષ્ફળ રહે છે.
સમસ્યાઓઃ
કેન્દ્રીય ગૃહમંત્રીનો લોકસભા મત વિસ્તાર અને મુખ્યમંત્રીનો વિધાનસભા મત વિસ્તાર હોવા છતાં અહીં તૂટેલાં રસ્તાઓ અને રખડતાં ઢોરની સમસ્યા કાયમી છે. મુખ્ય માર્ગો પર કોસ્મેટિક લપેડાં લગાવીને આંતરિક વિસ્તારોમાં વરવા થીગડાં મારવા એ અહીં વરવો વિરોધાભાસ છે. ચારેબાજુ કાયમ માટે ચાલતાં બાંધકામો, ગટરનું ખોદકામ અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા રહીશોને ત્રાહિમામ પોકારાવી દે છે પરંતુ કમનસીબે મતદાન કરતી વખતે લોકો આમાંનું કશું યાદ રાખી શકતાં નથી. ચૂંટાયેલાં પ્રતિનિધિના મનમાં લોકમત વિફરવાનો ખૌફ પણ બેસાડી શકતાં નથી.
આ પણ વાંચો: #બેઠકપુરાણ દરિયાપુર: ગ્યાસુદ્દિનની હેટ્રિક અને ભાજપની આશા હસનલાલાની બેટિંગ પર નિર્ભર
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
ભુપેન્દ્ર પટેલ ગત ચૂંટણીમાં આ બેઠક પરથી જીત્યા ત્યારે તેઓ એક ધારાસભ્ય માત્ર હતા. હવે બીજી વાર તેઓ ઉમેદવારી કરી રહ્યા છે ત્યારે વર્તમાન અને ભાવિ મુખ્યમંત્રી તરીકે દાવેદારી કરી રહ્યા છે. દાદાના હુલામણા નામે ઓળખાતા ભુપેન્દ્રભાઈ તેમની સ્વચ્છ છબી અને રમૂજી સ્વભાવને લીધે ભાર વગરનું વ્યક્તિત્વ ધરાવે છે. કાર્યકરોમાં જેટલાં લોકપ્રિય છે એટલાં જ જનતાની વચ્ચે સરળ રહી શકે છે. મુખ્યમંત્રી બન્યાં પછી પણ તેમનાં કપડાં રોજ જેવા સાધારણ રહ્યાં છે. આ વખતે તેઓ સવા લાખથી વધુ મતની સરસાઈથી જીતવાનો લક્ષ્યાંક મૂકતાં હોય તો એ વધારે નહિ ગણાય.
હરીફ કોણ છે?
કોંગ્રેસે ભાજપના આ અડીખમ ગઢમાં રાજ્યસભાના સાંસદ અને અગ્રણી મહિલા ધારાશાસ્ત્રી અમીબહેન યાજ્ઞિકને ઉતાર્યા છે. અમીબહેન પ્રતિભાશાળી અને પ્રભાવશાળી મહિલા છે પરંતુ રાજ્યસભાના સભ્ય તરીકે પણ તેમની ઓળખ એટલી વ્યાપક બની શકી નથી. તેમની સક્રિયતા પણ અત્યંત ઉચ્ચ વર્તુળો પૂરતી મર્યાદિત રહેતી હોવાથી જનતાના નેતા તરીકેની છાપ ઉપસાવી શક્યાં નથી. આવડાં મોટાં ભૌગોલિક વિસ્તારમાં ઘરે-ઘરે કોંગ્રેસનો સંદેશ પહોંચાડી શકે એવું મજબૂત સંગઠન પણ નથી. એ સંજોગોમાં અમીબહેનની હાજરી પ્રતીકાત્મક જ બની રહે તેવી શક્યતા નકારી શકાય નહિ.
આ પણ વાંચો: #બેઠકપુરાણ જમાલપુર ખાડિયા: કાબલીવાલાના 25 હજાર પ્લસ મત પર ભાજપ-ભુષણ નિર્ભર
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીએ અહીં મજબૂત પગપેસારો કર્યો છે. આપના ઉમેદવાર વિજય પટેલ શાળાઓના ફી વધારા સામેના આંદોલનમાં સક્રિય હતા પરંતુ ઘાટલોડિયાની બહાર ખાસ જાણીતું નામ નથી. તેમ છતાં ઘાટલોડિયા, મેમનગર, બોપલ, ગોતા જેવા મધ્યમવર્ગિય વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય જેવી સેવાઓ પ્રત્યે સરકારની ઉદાસિનતા સામેનો આક્રોશ લોકોને આમઆદમી પાર્ટી પ્રત્યે સ્વયંભૂ ઝૂકાવ કરવા પ્રેરે તેવી શક્યતા જણાય છે. એટલે આપના ઉમેદવાર ગેમ ચેન્જર ન બને તો પણ પ્રોત્સાહક પ્રતિસાદ તો જરૂર મેળવી શકે છે
Advertisement