અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી રાત્રે અમદાવાદ આવવાના છે. તેઓ આવતીકાલે ભગવાન જગન્નાથ મંદિરમાં અષાઢી બીજના દિવસે મંગળા આરતી કરશે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથની 146મી રથયાત્રાનો પ્રારંભ કરાવવા માટે ‘પહિંદ’ વિધિ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમિત શાહ તેમના પરિવાર સાથે મંદિરે આવશે. આ ઉપરાંત, ગુજરાત પહોંચ્યા બાદ તેઓ અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરવાના છે.
Advertisement
Advertisement
અમિત શાહ પરિવાર સાથે મંદિરમાં હાજર રહેશે
અમિત શાહ અમદાવાદમાં ત્રણ અને બાવળામાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. પરંતુ, તે પહેલા તેઓ આવતીકાલે વહેલી સવારે ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા યોજાનારી મંગળા આરતીમાં ભાગ લેશે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, જે દરમિયાન તેમણે કચ્છમાં ચક્રવાત પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું અને માંડવી હોસ્પિટલમાં દાખલ અસરગ્રસ્ત લોકોને મળ્યા હતા. ત્યાર બાદ તેઓ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
ગાંધીનગર લોકસભામાં 75 કરોડના કામોનું લોકાર્પણ થશે
આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળશે. અમદાવાદના જગન્નાથજી મંદિરમાં મંગળા આરતીમાં ભાગ લીધા બાદ અમિત શાહ ગાંધીનગર લોકસભામાં રૂ.75 કરોડના વિકાસ કામોનું ઉદ્ઘાટન કરશે. અમિત શાહ આવતીકાલે સવારે 3.45 કલાકે અમદાવાદના ભગવાન જગન્નાથજી મંદિરમાં મંગળા આરતીમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ સવારે 9.15 કલાકે શહેરના નવા રાણીપમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ પાર્કનું ઉદ્ઘાટન કરશે.
Advertisement