સાબરમતી નદીના કાંઠે એલિસબ્રિજ પછી ઝડપભેર વિકસેલા વિસ્તારોમાં પહેલું નામ નારણપુરાનું લેવું પડે. એંશીના દાયકામાં ગુજરાત હાઉસિંગ બોર્ડે શહેરીકરણને વેગ આપવાના હેતુથી પોસાય એવા દરે અને સરળ હપ્તાથી મકાનો બાંધવાની યોજના ઘડી એ વખતે વેજલપુર અને નારણપુરા એ બે ભાગોળ વિસ્તાર વચ્ચે પસંદગી કરવાની હતી. વેજલપુરમાં એ વખતે ટેનામેન્ટ બનવાની શરૂઆત થઈ ચૂકી હતી અને અમદાવાદ શહેરનો વેસ્ટેજ (કચરો) ઠાલવવા માટે દૂરનો ખુલ્લો વિસ્તાર વેજલપુર અને સાબરમતીની વચ્ચે ક્યાંક મળે તેમ હતો એટલે હાઉસિંગ બોર્ડના મકાનો માટે નારણપુરાને પસંદ કરવામાં આવ્યું. અહીં એક પછી એક લગભગ ત્રીશ જેટલી મોટી સ્કિમમાં આશરે દસ હજાર પરિવારોને મકાન મળ્યાં. આજના શાસ્ત્રીનગર, ભુયંગદેવ, પ્રગતિનગર, અંકુર, વિજયનગર વગેરે વિસ્તારોના વિકાસમાં હાઉસિંગ બોર્ડની સ્કિમોનો બહુ મોટો ફાળો છે. કોમી તોફાનોથી ત્રાસેલા પોળના હિન્દુ અમદાવાદીઓ અહીં સ્થળાંતર કર્યું. હવે ઓરિજિનલ અમદાવાદીપણું પોળને બદલે નારણપુરામાં વસે છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ નહિ કહેવાય. 2008માં નવા સીમાંકન પછી ગાંધીનગર લોકસભા બેઠક અંતર્ગત સાત વિધાનસભા બેઠકોમાં ફેરફારો થયા તેમાં નારણપુરા બેઠક અંતર્ગત મહાનગરપાલિકાના ચાર વોર્ડના કુલ 2,29,840 મતદારો નોંધાયેલાં છે. ભૌગોલિક રીતે આ બેઠક પ્રમાણમાં નાની છે.
Advertisement
Advertisement
મિજાજઃ
એકધારા કોમી તોફાનો અને જગન્નાથજીની રથયાત્રા વખતે ભગવાનનો રથ સુદ્ધાં ખેંચી જવાની જોહુકમીભરી ઘટનાઓને લીધે અહીં સ્થળાંતરિત થયેલાં મૂળ પોળવાસી મતદારોની માનસિકતા પૂર્ણતઃ હિન્દુવાદી હતી. જેને લીધે એંશીના દાયકામાં જનસંઘમાંથી ભાજપનું નામકરણ પામેલાં પક્ષને અહીં પગ જમાવવા માટે ફળદ્રુપ જમીન મળી ગઈ. મધ્યમકદના વ્યવસાયીઓનો રહેણાંક વિસ્તાર હોવાથી અહીં નારણપુરા મતવિસ્તાર ભાજપનો અડીખમ ગઢ બનતો ગયો છે. અહીં યોજાયેલી બંને ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને 70% મત મળ્યા છે. આ વખતે પણ તેમાં ઝાઝો ફરક પડે એવી શક્યતા જણાતી નથી.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
2012 | અમિત શાહ | ભાજપ | 63,335 |
2017 | કૌશિક પટેલ | ભાજપ | 66,215 |
આ પણ વાંચો: #બેઠકપુરાણ ઘાટલોડિયા: વરરાજાને સવા લાખના ચાંદલાથી ઓછું કંઈ ન ખપે
કાસ્ટ ફેબ્રિક
આશરે 70,000 પાટીદારો આ બેઠક પર સૌથી વધુ નિર્ણાયક ભૂમિકામાં છે. એ પછીના ક્રમે રબારી સમુદાયના 55,000 મતદારો છે. જૈનો અને બ્રાહ્મણો ઉપરાંત 70,000 ઓબીસી છે. મોટાભાગે અહીં પાટીદાર ઉમેદવાર રાજકીય પક્ષોની પહેલી પસંદ બનતાં હોય છે. ભવિષ્યમાં અહીં રબારી સમાજના ઉમેદવારને તક આપીને કોઈ રાજકીય પક્ષ વિજય માટે નવું જ્ઞાતિ સમીકરણ બનાવે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
સમસ્યાઓઃ
ભાજપનો મજબૂત ગઢ હોવા છતાં અહીં મ્યુનિ.કાઉન્સિલર સામેની ફરિયાદો વ્યાપક છે. રહેણાંક વિસ્તારમાં કચરાની ડમ્પિંગ સાઈટ સામે સ્થાનિક રહીશોએ ઉગ્ર આંદોલન કરવું પડ્યું હતું. એ ઉપરાંત રસ્તા પહોળા કરવામાં કપાતમાં જતી દુકાનો, મકાનોના મુદ્દે પણ અહીં ઉગ્રતા ફેલાઈ હતી. આ વિસ્તારના ધારાસભ્ય રહી ચૂકેલાં વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ બંને મુદ્દે દરમિયાનગીરી કરવી પડી હતી. હજુ પણ પીવાલાયક પાણીનો મુદ્દો ઉકેલાયો નથી. એ સિવાય, ભાજપે આ વિસ્તારને પૂરતાં લાડ લડાવ્યા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ શાસ્ત્રીનગર પાસે આકાર લેશે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ એલિસબ્રિજ: એક એકથી ચડિયાતા ઉમેદવારોના જંગમાં છેવટે પક્ષનું ચિહ્ન નિર્ણાયક
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
નવા સીમાંકન પછી યોજાયેલી પહેલી ચૂંટણીમાં ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ આ બેઠક પરથી વિજેતા નીવડ્યા હતા. અહીં તેમનું રહેણાંક હોવાથી આ મતવિસ્તાર તેમનો માનીતો છે અને સ્થાનિકોને મન પણ અમિતભાઈ પોતીકા ગણાય છે. પરિણામે ઉમેદવાર અહીં ગૌણ બની જાય છે. મહેસૂલ મંત્રી રહી ચૂકેલા કૌશિક પટેલના સ્થાને આ વખતે પૂર્વ ગૃહમંત્રી સ્વ. હરેન પંડ્યાના પત્ની જાગૃતિ પંડ્યા પણ દાવેદાર હોવાનું કહેવાતું હતું પરંતુ ભાજપે અમિત શાહના વિશ્વાસુ જીતેન્દ્રભાઈ પટેલને પસંદગી આપી છે. જોકે અહીં ઉમેદવારના નામ, ચહેરા કરતાં કમળનું પ્રતીક જ વધુ અસરકારક છે.
હરીફ કોણ છે?
કોંગ્રેસે અહીં પૂર્વ શહેરપ્રમુખ અને મહિલા અગ્રણી સોનલબહેન પટેલને ઉતારીને એકતરફી જંગને રસપ્રદ બનાવવાનો પ્રયાસ કર્યો છે. મહિલા ઉમેદવાર હોવાથી સોનલબહેન અહીં ભાજપ માટે પડકાર ઊભો કરી શકે એવી શક્યતા સાવ પાંખી તો નહિ ગણાય. સોનલબહેનની અંગત છબી સ્વચ્છ હોવા ઉપરાંત સ્થાનિક સ્તરે તેમનો સંપર્ક પણ સારો એવો છે. સંગઠનનો અભાવ એ તેમના પ્રચાર અભિયાનમાં નડતરરૂપ બની શકે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ વેજલપુરઃ કોલેજકાળના ત્રણ મિત્રો ત્રણ અલગ પક્ષના ઉમેદવાર તરીકે આમનેસામને
ત્રીજું પરિબળઃ
મધ્યમવર્ગિય શહેરી વિસ્તાર હોવાથી આમઆદમી પાર્ટીની ગેરંટીઓ અહીં અપીલ કરી રહી હોવાનું જણાય છે. ઉમેદવાર પંકજ પટેલ સમગ્ર મતવિસ્તારમાં એટલાં જાણીતા નથી પરંતુ શાસ્ત્રીનગર, પ્રગતિનગર, અખબારનગર વિસ્તારમાં સેવાભાવી યુવાન તરીકે તેમની કામગીરી સારી છે. ભાજપના મજબૂત બૂથ મેનેજમેન્ટ સામે પંકજ પટેલ દરેક બૂથ દીઠ કાર્યકરો લાવી શકે કે કેમ એ પણ પ્રશ્નાર્થ છે. આમ છતાં આપના સ્વયંભૂ પ્રશંસકો તેમને ચાર આંકડે તો પહોંચાડી શકે છે
Advertisement