ગાઢ, લીલાંછમ વૃક્ષો વચ્ચે દેખાતી વિશાળ ગુંબજવાળી એ ઈમારતની દોઢસો વર્ષ જૂની તસવીર આજના અમદાવાદીઓને બતાવો તો બિલકુલ ઓળખી ન શકે અને એ વિસ્તારમાં રહેતાં લોકોને બતાવો તો એમને વિશ્વાસ જ ન પડે કે જ્યાં પગ માંડવાની ય જગ્યા નથી એ ઈમારત આસપાસ કેવી વનરાજી હતી! દરિયાખાનનો ઘુમ્મટ એ અમદાવાદના સલ્તનતકાળના દર્શનિય બાંધકામો પૈકીની એક ઈમારત છે તો આખેઆખો દરિયાપુર વિસ્તાર એ દરિયાખાનની સમયને વટી ગયેલી સ્મૃતિ છે. સુલતાન મહંમદ બેગડાના વડાપ્રધાન દરિયાખાનના નામે ઓળખાતું દરિયાપુર અને તેનાં જ સમકાલીન સરદાર કાલુખાનના નામે ઓળખાતું કાલુપુર અમદાવાદના ભરચક, મુસ્લિમ વસ્તીથી પ્રચૂર જૂનાં શહેરી વિસ્તાર તરીકે ઓળખાય છે. અહમદશાહ બાદશાહે બંધાવેલા કોટમાં વસ્તી હકડોઠઠ થવા લાગી ત્યારે સૌ પ્રથમ જે વિસ્તારો કોટની બહાર વિકસ્યા તેમાં દરિયાપુર અને કાલુપુર મુખ્ય હતા. એ પછી એ બંને વિસ્તારોની આસપાસ જમાલપુર, રાયપુર, રાયખડ, શાહપુર, ખાનપુર અને સારંગપુર વિકસ્યા હતા. નવા સીમાંકન પછી દરિયાપુર અને કાલુપુર બંને બેઠક મર્જ કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાં 1,93,792 મતદારો નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
ગુજરાત રાજ્યના વિભાજન પછી 1975માં પહેલી વાર સીમાંકન થયું ત્યારે દરિયાપુર બેઠક પર હિન્દુ, મુસ્લિમ વસ્તીનું સંતુલન જળવાતું હતું. પરંતુ નેવુના દાયકામાં નદીને પાર નારણપુરા, સોલા જેવાં મધ્યમવર્ગિય વિસ્તારો વિકસવાની શરૂઆત થઈ ત્યારે પોળ વિસ્તારમાં રહેતાં હિન્દુઓએ મોટા પ્રમાણમાં સ્થળાંતર કરવા માંડ્યું. એ પછી નવા સીમાંકન બાદ કાળુપુર-દરિયાપુર બેઠકનો હિન્દુ વસ્તી ધરાવતો 30% વિસ્તાર અસારવા બેઠકમાં અને 20% જેટલી મુસ્લિમ વસ્તી ધરાવતો વિસ્તાર જમાલપુરમાં જોડાઈ ગયો છે. ત્યારબાદ આ બેઠકનો મિજાજ પણ મોટાભાગે પ્રો-મુસ્લિમ જોવા મળે છે. ભાજપના દિગ્ગજ નેતા ભરત બારોટે લાંબા સમય સુધી અહીં વર્ચસ્વ ટકાવ્યું હતું. હવે મુસ્લિમ મતોનું વિભાજન થાય તો ભાજપ માટે અહીં તક ઊભી રહે છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | ભરત બારોટ | ભાજપ | 8,290 |
2002 | ભરત બારોટ | ભાજપ | 21,816 |
2007 | ભરત બારોટ | ભાજપ | 22,401 |
2012 | ગ્યાસુદ્દિન શેખ | કોંગ્રેસ | 2,621 |
2017 | ગ્યાસુદ્દિન શેખ | કોંગ્રેસ | 6,187 |
(છેલ્લાં બે પરિણામો નવા સીમાંકન પછીનાં છે)
આ પણ વાંચો: #બેઠકપુરાણ જમાલપુર ખાડિયા: કાબલીવાલાના 25 હજાર પ્લસ મત પર ભાજપ-ભુષણ નિર્ભર
કાસ્ટ ફેબ્રિક
આ બેઠક આશરે 80,000 જેટલી સંખ્યા ધરાવતા મુસ્લિમ મતદારો નિર્ણાયક ગણાય છે. તેની સામે 25,000 દલિત, 25,000 દેવીપૂજક અને 30,000 પરપ્રાંતિય મતદારોનું સમીકરણ બને છે. ભાજપ માટે મુસ્લિમ મતોનું વિભાજન જીત માટે અનિવાર્ય મનાય છે તો સામે કોંગ્રેસ અહીં મુસ્લિમ અને દલિત મતોના સમીકરણ પર પકડ ધરાવતા મજબૂત ઉમેદવાર પર આધારિત રહે છે.
સમસ્યાઓઃ
શહેરી વિસ્તાર હોવાથી ગીચતા, ટ્રાફિક, પાથરણાંબજારના પાલિકા સ્તરના પ્રશ્નો અહીં મુખ્ય છે. કોરોનાકાળમાં આ વિસ્તારના નાગરિકો પ્રત્યે ભેદભાવ રખાયો હોવાની સ્થાનિકોની ફરિયાદ પણ વ્યાપક છે. સ્ટ્રીટ લાઈટ, રખડતાં ઢોરની સમસ્યા સામે હાઈકોર્ટે પણ દરમિયાનગીરી કરવી પડે એવી સ્થિતિ છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ દાણીલીમડા: ગઢ કોંગ્રેસનો, સૈન્ય AAP+AIMIMનું, વિજેતા થવાનાં ઓરતાં ભાજપને
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
કોલેજ કાળમાં અચ્છા ક્રિકેટર રહી ચૂકેલા કોંગ્રેસના ગ્યાસુદ્દિન શેખ ત્રીજી ટર્મ માટે મેદાનમાં ઉતર્યા છે. વ્યાપક જનસંપર્ક ધરાવે છે પરંતુ પોતાની ગ્રાન્ટ મનગમતાં વિસ્તારોને જ ફાળવતા હોવાની ફરિયાદો પણ છે. તેમણે જીત માટે અન્ય મુસ્લિમ નેતાઓ સાથે તડજોડ કરવી ફરજિયાત હોવાથી સમગ્ર કાર્યકાળ દરમિયાન તેઓ સમાધાનો કરવામાં જ વ્યસ્ત રહેતાં હોવાની છાપ છે. આ વખતે આ બેઠક પર અન્ય દાવેદારો હતા પરંતુ ગ્યાસુદ્દિન જૂના ટ્રેક રેકોર્ડના આધારે ટીકિટ મેળવવામાં સફળ રહ્યા છે. જોકે તેમનો રસ્તો આ વખતે જરા ય આસાન નહિ હોય.
આ પણ વાંચો: #બેઠકપુરાણ મહેમદાવાદઃ વિખ્યાત ભમ્મરિયા કૂવામાં ડૂબેલી કોંગ્રેસ આ વખતે બહાર નીકળી શકશે?
હરીફ કોણ છે?
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નવયુવાન શ્વેતા બ્રહ્મભટ્ટ આ બેઠકના ઉચિત દાવેદાર મનાતાં હતાં પરંતુ તેમને બદલે ભાજપે કૌશિક જૈનને ઉતારીને આશ્ચર્ય સર્જ્યું છે. ભાજપના ઉમેદવારે અહીં દલિત, દેવીપૂજક, ઓબીસી અને પરપ્રાંતિયના મતો જીતવા અનિવાર્ય બની જાય છે. સમાંતરે મુસ્લિમ મતોનું વિભાજન પણ ભાજપ માટે ઈચ્છનીય મનાય છે.
ત્રીજું પરિબળઃ
AIMIMના ઉમેદવાર હસનખાન પઠાણ ઉર્ફે હસનલાલા મ્યુનિ. કાઉન્સિલર તરીકે આ વિસ્તારમાં લોકપ્રિય છે. ઉપરાંત આમઆદમી પાર્ટીએ પણ અહીં તાજ કુરૈશી નામના યુવાન મુસ્લિમ એક્ટિવિસ્ટને ઉતાર્યા છે. હસનલાલાનો મજબૂત જનઆધાર જોતાં તેઓ જો મુસ્લિમ મતોમાં મોટી ફાચર મારે તો કોંગ્રેસના ગ્યાસુદ્દિન માટે હેટ્રિક મારવાનું સપનું અધૂરું રહી શકે છે.
હવે પછીની બેઠકનું એનાલિસીસ- બાપુનગર (અમદાવાદ) (વાંચતા રહો GujaratExclusive.in)
Advertisement