આલેખન-માવજી મહેશ્વરી
કચ્છનો સૌથી ઊંચો અને વધુ વિસ્તારમાં ફેલાયેલો કાળોડુંગર લાંબો સમય સુધી ગુજરાતના પ્રવાસીઓથી અજાણ્યો રહ્યો. કાળોડુંગર મોટા રણને અડીને આવેલો છે. ડુંગર ઉપર પહોંચવાની પાકી સડક બની પછી કાળાડુંગરની હકીકતો સામે આવવા લાગી. કાળોડુંગર ભૂસ્તરશાસ્ત્રની દષ્ટિએ અગત્યનો અને રહસ્યમય છે. ખાસ તો આ ડુંગર ઉપર ચોક્કસ વિસ્તારમાં વિરુધ્ધ ગુરુત્વાકર્ષણનો અનુભવ થાય છે એ ઘટના પ્રકાશમાં આવી ત્યારથી લોકોને આ ડુંગરની મોહિની લાગી છે. ફિલ્મ ‘હેલલરો’નું ફિલ્માંકન કાળાડુંગરની તળેટીમાં વસેલા કુરનની સીમમાં થયેલું હતું.
કચ્છના પાંચ મહત્વના ડુંગર કાળો, ધીણોધર, લીલવો, ભુજિયો અને નનામો પૈકી કાળાડુંગરની હકીકતો અને વિશેષતાઓ છેલ્લા બે દાયકામાં બહાર આવી છે. ભૂસ્તરશાસ્ત્રની દષ્ટિએ અતિ પ્રાચીન ખડક રચના ધરાવતો કાળોડુંગર એવી જગ્યાએ આવેલો છે કે વર્ષો સુધી કચ્છીઓ પણ આ ડુંગરની વિશેષતાઓથી સાવ અજાણ્યા હતા. કાળોડુંગર ભુજથી ૯૭ કિલોમીટર પાકિસ્તાન સીમાની નજીક આવેલો છે. તળેટીમાં વસેલા ધ્રોબાણા ગામથી તેના શીખર સુધી પહોંચવા માટેની ૭ કિલોમીટરની પાકી સડક છે. સમુદ્રની સપાટીથી દત્ત શીખરની ઊંચાઈ ૪૫૮ મીટરની છે. જોકે ઉપર જવાનો સડકમાર્ગ વાહન ચાલકની કસોટી કરી લે તેવો છે. માર્ગમાં આવતા તીવ્ર વળાંકો અને ભેખડો પ્રવાસીઓને હિમાલય પ્રવાસનો અનુભવ કરાવે છે. જ્યાંથી પાકિસ્તાન સીમા માત્ર ૮૮ કિલોમીટર દૂર છે એવા કાળાડુંગરનું દત્ત શીખર કચ્છની એકમાત્ર એવી જગ્યા છે, જ્યાંથી કચ્છને ૩૬૦ ડીગ્રીએ જોઈ શકાય છે. જ્યારથી આ ડુંગર ઉપર જવાનો પાકો માર્ગ બન્યો છે ત્યારથી આ ડુંગર વિશેની જાત જાતની બાબતો બહાર આવવા માંડી છે. એમાની એક રોચક અને ઉતેજના જગાવતી બાબત છે વિરુધ્ધ ચુંબકીય ખેંચાણની.
કાળોડુગર ઉપર ગયેલાં અનેક વાહન ચાલકો કહે છે કે આ ડુંગર ચડવાના માર્ગમાં ચોક્કસ વિસ્તારમાં વાહન ખેંચાતું હોય એવું લાગે છે. ઉતરતાં વાહનોને વધારે બળ કરવું પડે છે અને ચઢતાં વાહનો અચાનક ગતિ પકડી લે છે. સામાન્ય રીતે આવું બનવું એ વિજ્ઞાનના નિયમોથી વિરુધ્ધ છે. કેટલાક લોકોનું કહેવું છે કે ચુંબકીય ખેંચાણની આ ઘટના રોજ બનતી નથી પણ ચોક્કસ તિથિએ બને છે. જોકે અનેક પ્રવાસીઓએ આના વિડિઓ ઉતારેલા છે, જેમા પાણીની બોટલ કે વાહનો પોતાની મેળે ચઢાણ ચઢતા હોવાનું બતાવાયું છે. પરંતુ આ તમામ બાબતોને વૈજ્ઞાનિક સમર્થન મળ્યું નથી. આ વિશે કેટલાક જાણકારો સાવ જુદો જ મત આપે છે. તેઓનું કહેવું છે કે કાળાડુંગર ઉપર અમુક જગ્યાએ દષ્ટિભ્રમ (Optical illusion) પેદા થાય એવા ચઢાણ છે. વાહન ચાલકને એવું લાગે છે કે વાહન ઉપર ચડી રહ્યું છે, વાસ્તવમાં વાહન નીચે ઉતરી રહ્યું હોય છે. ભૌતિકશાસ્ત્રના કેટલાક વિદ્યાર્થીઓએ પણ આ દાવાને સમર્થન આપ્યું છે. જોકે હજુ સુધી કાળાડુંગરના ચુંબકીય ખેંચાણનું કોઈ આંતરરાષ્ટ્રીય સંશોધન થયું નથી. પરંતુ રાજ્યોની સ્થાનિક સંસ્થાઓએ કરેલા સંશોધનો આ ઘટનાનું જુદું જ કારણ આપે છે. કાળાડુંગરની ચુંબકીય ખેંચાણની બાબતો પ્રસાર માધ્યમોમાં આવી તે પછી કેટલાક સંશોધકોએ ચુંબકીય ખેંચાણની બાબતને નકારી છે. તેઓનું કહેવું છે કે તીવ્ર ઢાળ અને ડુંગરની રચનાને કારણે વાહનો એકાએક ગતિ પકડે છે. વાસ્તવમાં ચુંબકીય ખેંચાણ નથી થતું. રાજ્ય પરિવહનની બસ ચલાવતા કેટલાય ચાલકો ચુંબકીય ખેંચાણની બાબત વિશે અજાણ છે. તેઓનું કહેવું છે તેમને ક્યારેય આવો કોઈ અનુભવ થયો નથી. તેમ છતાં કાળાડુંગર ઉપર ચડતી સડકની ધારે ચુંબકીય ક્ષેત્ર દર્શાવતું એક પાટિયું મારેલું છે. આને કારણે પણ પ્રવાસીઓ જ્યારે એ પાટિયા નજીક આવે છે ત્યારે તેઓ મનોમન રોમાંચ અનુભવે છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA), ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજી રીસર્ચ, ગાંધીનગર અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, કાનપુરના સભ્યોએ આ ઘટના વિશે સંશોધન કર્યું છે. તેમણે તારણ કાઢ્યું કે તીવ્ર ઢાળને કારણે વાહનો વધુ ઝડપ મેળવે છે. છતાં આસપાસના રહેવાસીઓ આ ખેંચાણને ભગવાન દત્તાત્રેયનો ચમત્કાર માને છે.
કાળોડુંગર જે સ્થળે આવેલો છે એ વિસ્તારને કચ્છમાં પચ્છમ કહેવાય છે. કચ્છીભાષામાં પચ્છમનો અર્થ પશ્ચિમ એવો થાય છે. કાળાડુંગરના સૌથી ઊંચા શીખર ઉપર દત્તાત્રેયનું મંદિર છે. આસપાસના ગામડાંઓના રહેવાસીઓ દત્તાત્રેયને પચ્છમાઈ કહે છે. આ ડુંગરનું એક બીજું રહસ્ય પણ બહુ ચર્ચિત અને આશ્ચર્ય ઉપજાવે તેવું છે. એ છે શિયાળનું માણસના હાથે રાંધેલો પ્રસાદ ખાવો. શિયાળ માંસાહારી પ્રાણી છે. તે રાંધેલું અનાજ ખાતું નથી. પરંતુ કાળાડુંગર ઉપર આવેલા દત્તાત્રેયના મંદિરે બપોરે અને સાંજે લાપસીનો પ્રસાદ ખાવા શિયાળવા આવે છે જેને અનેક લોકોએ નજરોનજર જોયું છે. આ રોજની સામાન્ય ઘટના છે. કાળાડુંગર ઉપર દત્તમંદિરનો વહીવટ સંભાળતા લોકો શિયાળને ‘લોંગ’ કહે છે. એવી માન્યતા છે કે ભગવાન દત્તાત્રેય આ ડુંગરના શીખર ઉપર આવેલા અને કેટલાક દિવસો તપ કર્યું હતું. તેમની તપસ્યા દરમિયાન ડુંગરમાં વસતાં વન્ય પ્રાણીઓ આસપાસ ફરતાં રહેતાં. એક દિવસ ભગવાન દત્તાત્રેયે શિયાળને પ્રસાદ આપ્યો અને શિયાળે એ ખાધું. એ ઘટનાની યાદમાં કાળા ડુંગર ઉપર બપોરે અને સાંજે શિયાળને લાપસીનો પ્રસાદ અપાય છે. આરતિ થઈ ગયા પછી પૂજારી પ્રસાદનો થાળ લઈ જોરથી લોંગ લોંગ બોલે ત્યારે આસપાસની બખોલો અને ઝાડીઓમાં બેઠેલા શિયાળ દોડી આવે છે અને પૂજારીએ નાખેલો પ્રસાદ ખાય છે. આ બાબતની નોંધ વિદેશી સંશોધકોએ પણ લીધી છે. અહીં અન્નક્ષેત્ર ચાલે છે અને શિયાળને પ્રસાદ ધરાવ્યા બાદ જ મુસાફરો અને ભક્તોને અન્નક્ષેત્રનું જમણ અપાય છે. જોકે કાળાડુંગર ઉપર કોઈ સમયે જૂજ માત્રામાં લોકો જતા. વળી સડક ન હોવાથી લોકોને પગે ચાલીને જવું પડતું. લોકો શીખર ઉપર રાત રોકાતા નહીં. વિજળીની પણ વ્યવ્સ્થા ન હતી. પરંતુ રાત રોકાવાની સગવડ અને પાકી સડક બની જવાથી રોજના સંખ્યાબંધ વાહનો શિખર સુધી જાય છે. શીખર ઉપર માણસની સતત આવન-જાવન અને વાહનોના અવાજને કારણે હવે પ્રસાદ ખાવા માટે ટોળાબંધ શિયાળ આવતાં નથી. પાકિસ્તાન સીમા સાવ નજીવા અંતરે હોઈ ડુંગરની દત્ત શીખરની સાવ નજીક જ સીમા સુરક્ષા બળનું એક થાણું છે. તેથી બારેમાસ વાહનોની અવર જવર રહેતી હોય છે. માણસની પ્રવૃત્તિઓને કારણે હવે આ ડુંગરમાં વસતા વન્ય જીવો શીખરથી દૂર ચાલ્યા ગયા છે.
કચ્છના સફેદ રણમાં યોજાતા રણોત્સવ પછી કાળા ડુંગરનું મહત્વ ખૂબ વધ્યું છે. રણોત્સવના નિયત થતાં જુદા જુદા પેકેજમાં રણમાં રોકાતા પ્રવાસીઓને જુદા જુદા સ્થળે ફરવા લઈ જવાય છે, જેમા કાળાડુંગરનો સમાવેશ પણ થાય છે. કાળાડુંગરનું મહત્વ તેની જગ્યાને કારણે પણ છે. જો વાતાવરણ ચોખ્ખું હોય તો આ ડુંગર ઉપરથી ૩૬૦ ડીગ્રીમાં કચ્છની ભૂમી પણ જોઈ શકાય છે. ચોમાસામાં આ ડુંગરનું કુદરતી સૌંદર્ય અદભૂત બની જાય છે. સફેદ રણમાં ભરાયેલું પાણી કોઈ સમુદ્રનો આભાસ કરાવે છે. તો અહીંની રાતનો અનુભવ વિશિષ્ઠ હોય છે. અહીં રાત વિતાવનારને નિરવતા અને ગાઢ અંધકાર ખરો અનુભવ થાય છે. આ ડુંગર પરથી રાતે ચારે તરફ ફેલાયેલા કચ્છની બત્તીઓ દેખાય છે. ઉપરાંત અંધારી રાતે તારાઓ ભરેલું આકાશ આખીય પૃથ્વીને ઢાંકી દેતું હોય એવું લાગે છે. રાતે આ ડુંગર જુદા ગ્રહ ઉપર આવી ગયાની અનુભૂતિ કરાવે છે.
Advertisement