હિમાચલ પ્રદેશમાં 72 કલાક કરતાં વધુ સમયથી ભારે વરસાદે વિનાશ વેર્યો છે. બે દિવસમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા છે. સોમવારે વધુ આઠ લોકોના મોત થયા હતા જ્યારે છ લોકો નદીઓ અને નહેરોમાં વહી ગયા હતા. હિમાચલમાં 24 જૂને ચોમાસાની શરૂઆત થતાં અત્યાર સુધીમાં 63 લોકોએ જીવ ગુમાવ્યા છે.
Advertisement
Advertisement
આ સાથે શ્રીખંડ મહાદેવની પવિત્ર યાત્રા પણ ભારે વરસાદને કારણે મોકૂફ રાખવામાં આવી છે. હવામાન ચોખ્ખું થતાં જ રસ્તાની વચ્ચે ટેન્ટમાં ફસાયેલા મુસાફરોને પરત લાવવામાં આવશે. કુલ્લુ જિલ્લામાં સોમવારે ફરી એકવાર વાદળ ફાટ્યું હતું. લગઘાટીમાં વાદળ ફાટવાના કારણે 100 વીઘા જમીન ધોવાઈ ગઈ છે.
બીજી તરફ હિમાચલ પ્રદેશના પ્રવેશદ્વાર પર લોકોની ભીડ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. હજારો લોકો હજુ પણ કાલકા સિમલા નેશનલ હાઈવે ખુલે તેની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે. કાલકા સિમલા નેશનલ હાઈવે ચક્કી મોડ, કોટીને ભારે વરસાદને કારણે બંધ કરી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત, ચંદ્રતાલમાં ફસાયેલા 300 લોકોને બચાવવાની કામગીરી આજે સવારે પાંચ વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. પ્રથમ ટીમ મશીનરી સાથે લોસરથી ચંદ્રતાલ જવા રવાના થઈ છે, જ્યારે બીજી ટીમ એડીસી રાહુલ જૈનના નેતૃત્વમાં કાજાથી રવાના થઈ છે. રેસ્ક્યુ ટીમમાં લગભગ 40 લોકો સામેલ છે. તેમાં પંગમો અને લોસર ગામના યુવાનો તેમજ સ્પિતિના અન્ય ગામોના યુવાનોનો સમાવેશ થાય છે. ભરમૌર-પઠાણકોટ હાઈવે બગ્ગા પાસે 200 મીટર સુધી ડૂબી ગયો છે. જેના કારણે મુશ્કેલી વધી ગઈ છે. ગ્રામજનોને ચાલીને જવું પડે છે.
મંડીની બિયાસ નદીમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી આવી રહ્યું છે. જેના કારણે 113 મકાનો ખાલી કરાવવામાં આવ્યા છે. સાત રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 828થી વધુ રસ્તા હજુ પણ બંધ છે. ટ્રેન અને હવાઈ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. 403 બસ અલગ-અલગ જગ્યાએ ફસાઈ ગયેલી છે. હિમાચલ હાઈકોર્ટમાં સોમવાર-મંગળવારની રજા જાહેર કરવામાં આવી છે. ડોકટરો, નર્સો અને પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. શ્રીખંડ મહાદેવની પવિત્ર યાત્રા પણ મોકૂફ રાખવામાં આવી છે.
દરમિયાન, સિમલામાં ભારે વરસાદને કારણે લોકોને પીવાના પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. સિમલા જલ પ્રબંધન નિગમ લિમિટેડ (SJPNL)લોકોને ટેન્કર દ્વારા પાણી પૂરું પાડી રહ્યું છે.
Advertisement