અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ સામે માનહાનિની ફરિયાદ દાખલ કરી છે. જેના પર આજે મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેજરીવાલ વતી કોર્ટમાં હાજર રહેલા વકીલે કહ્યું કે સીએમ કેજરીવાલ દિલ્હીમાં પૂરની સ્થિતિને લઈને કોર્ટમાં હાજર રહી શક્યા નથી. ત્યારબાદ કોર્ટે 26 જુલાઈએ હાજર થવાનો આદેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી તે દિવસે જ થશે.
Advertisement
Advertisement
કોર્ટમાં અરવિંદ કેજરીવાલ તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે ભારે વરસાદને કારણે દિલ્હીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. દિલ્હીમાં ઈમરજન્સી બેઠકો ચાલી રહી છે. જેથી તેઓને આજની હાજરીમાંથી મુક્તિ મળે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી મોદીની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ નથી. અરવિંદ કેજરીવાલે ગુજરાત હાઈકોર્ટના 31 માર્ચ 2023ના નિર્ણય અંગે રિવ્યુ પિટિશન દાખલ કરી છે. આ અરજી હાઈકોર્ટે સ્વીકારી હતી અને 21મી જુલાઈએ સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા છે.
31 માર્ચે ગુજરાત હાઈકોર્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રીના મુદ્દે પોતાનો ચુકાદો આપતાં કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ ફટકારીને તેમની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 1લી એપ્રિલે પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રધાનમંત્રીની ડિગ્રી અંગે અપમાનજનક નિવેદન આપ્યું હતું. આ નિવેદન ટ્વિટર એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યું હતું. બીજા દિવસે, 2 એપ્રિલે, સંજય સિંહે વડા પ્રધાનની ડિગ્રી વિશે પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલ જેવું જ નિવેદન આપ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ અને ટ્વીટમાં ગુજરાત યુનિવર્સિટીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીએ કેજરીવાલ અને સંજય સિંહ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
ફરિયાદીએ એમ પણ જણાવ્યું છે કે વડાપ્રધાનની ડિગ્રી યુનિવર્સિટીની વેબસાઈટ પર પ્રકાશિત કરાયેલી છે. જો કે, કેજરીવાલે સિવિલ સર્વન્ટ હોવા છતાં આવી અંગત ટિપ્પણી કરી છે. ગુજરાત યુનિવર્સિટી નકલી ડિગ્રીઓ આપી રહી હોવાનું આ ટિપ્પણી પરથી જણાય છે. યુનિવર્સિટી ખોટી પ્રવૃતિઓમાં સંડોવાયેલી હોવાની લોકોમાં છાપ પડી રહી છે. ફરિયાદમાં રજીસ્ટ્રારે આરોપ લગાવ્યો હતો કે ગુજરાત હાઈકોર્ટે કેન્દ્રીય માહિતી આયોગના આદેશને રદ કર્યા પછી પણ કેજરીવાલ અને સંજય સિંહે બદનક્ષીભર્યા નિવેદનો કર્યા હતા.
Advertisement