ગુજરાત એક્સક્લૂઝિવ: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છવાયેલો છે. નેતાઓ સામાન્ય લોકોની સમસ્યાને છોડીને તમામ વાતો કરી રહ્યાં છે. પાછલા કેટલાક વર્ષથી ચૂંટણીઓમાં તથ્યો સાથે વાત કરવાનું ચલણ બંધ થઇ ગયું છે. આ ચૂંટણીમાં પણ કંઇક એવું જ થઇ રહ્યું છે. દુનિયાભરની ફાંકા ફોજદારી કરતાં નેતાઓ નજરે પડી રહ્યાં છે. પરંતુ સામાન્ય લોકોની સમસ્યાઓને ઉકેલવાની વાત અત્યાર સુધીમાં તો કરવામાં આવી નથી. જે ખરેખર સાચી સમસ્યાઓ છે, તે અંગે તો કોઈ વાત કરવા માંગતુ જ નથી.
Advertisement
Advertisement
સામાન્ય લોકોને ઘર ચલાવવામાં કેટલી મુશ્કેલી પડી રહી છે, તેની કરોડપતિ નેતાઓને કદાચ ખ્યાલ પણ નહીં હોય. એક પિતા પોતાના બાળકોના ભરણપોષણથી લઇને સમાજમાં ચાલતા વખતોવખતના સામાજિક પ્રસંગો સુધીની સતત ચિંતામાં રહ્યાં કરતો હોય છે. પરંતુ પિતાની કોને પડી છે, અહીં પો પાવર પર કબ્જો કરવાની હરિફાઇ થઇ રહી છે.
વર્તમાન સમયમાં આવા લાખો પિતાઓની ચિંતામાં ખુબ જ વધારો મોંઘવારીએ કરી દીધો છે. આવક કરતાં મોંઘવારી ખુબ ઝડપી વધી ગઇ છે, તેવામાં રાજ્ય અને દેશભરના સામાન્ય પરિવારો પોતાના પ્રતિદિવસના જીવનગુજરમાં કંઇકને કંઇક ચીજ-વસ્તુઓનું બલિદાન કરી રહ્યાં છે.
આવી વિકટ પરિસ્થિતિમાં પણ રાજકીય પક્ષો પોતાના રોટલા શેકવા માટે માત્રને માત્ર હવામાં ગોળીબાર સમાન ભાષણો કરી રહ્યાં છે. આ ભાષણો એવા છે, જેનો કોઈ જ અર્થ નિકળતો નથી. માત્રને માત્ર એક મનોરંજન સમાન છે. તે ભાષણોમાં કરવામાં આવેલી વાતો પર તમે ભરોસો કરી શકતા નથી. તર્ક અને તથ્ય બધુ જ ગાયબ હોય છે. મહત્વપૂર્ણ વાત તે છે કે, આવા ભાષણો એક ગરિમાપૂર્ણ પદ પર બેસેલા વડાપ્રધાન મોદી પોતે પણ આપી રહ્યાં છે. જે દેશ માટે ભયંકર રીતે ચિંતાનો વિષય છે.
2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો ગુજરાતને ઘમરોળી રહ્યાં છે. પીએમ મોદી અને વિપક્ષ તરફથી રાહુલ ગાંધી ગુજરાતના લોકોને સંબોધન કરી રહ્યાં છે. તે ઉપરાંત અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં રાજકીય જમીન બનાવવાની કોશિશમાં લાગ્યા છે.
આ પણ વાંચો : બેફામ વિકાસ! દેશમાં 2021માં 1.64 લાખ લોકોએ કરી આત્મહત્યા, મજૂરી કરતાં દર ચોથા વ્યક્તિએ જીવન ટૂકાવ્યું
પીએમ મોદીએ કહ્યું; ગુજરાતને કોંગ્રેસે બર્બાદ કરી નાખ્યું?
પીએમ મોદીએ મહેસાણામાં પોતાની એક જનસભા દરમિયાન કહ્યું કે, કોંગ્રેસે ગુજરાતને બર્બાદ કરી નાખ્યું? જોકે, હવે તે જનસભામાં તેમને કોઈ પ્રશ્ન તો પૂછી શકે નહીં. સામાન્ય રીતે પણ પીએમ મોદીએ અત્યાર સુધી એક પણ પ્રેસકોન્ફ્રન્સ કરી નથી, તેથી આમ પણ તેમને કોઈ પ્રશ્ન પૂછવા જવાનું નથી કે, ભઇ કોંગ્રેસે ક્યા સમયે ગુજરાતને બર્બાદ કર્યું? કેમ કે પાછલા 27 વર્ષથી તો ગુજરાતમાં બીજેપી શાસન ચલાવી રહી છે. જો 27 વર્ષ પહેલા ગુજરાતને બર્બાદ કર્યું હતુ તો પાછલા 27 વર્ષથી તેને તમે આબાદ જ કરી શક્યા નથી? કેમ કે 27 કંઇ નાનો સમયગાળો નથી.
27 વર્ષના શાસનમાં બીજેપીએ ગુજરાતમાં રોડ-રસ્તા સારા બનાવ્યા છે, તેને આપણે નજર અંદાજ કરી શકીએ નહીં. પરંતુ માત્ર ગુજરાતીઓને રોડ-રસ્તા જોઇને બેસી રહેવાનું નથી. મોંઘવારી-બેરોજગારી-ખેડૂતોની ખરાબ પરિસ્થિતિ વગેરે જેવી અનેક સમસ્યાઓ ગુજરાતના લોકો સામે આવીને ઉભી થઈ ગઇ છે. આ તમામ સમસ્યાઓએ ગુજરાતીઓનું જીવવું હરામ કરી નાખ્યું છે. વર્તમાનમાં દરેક સામાન્ય પરિવાર વધી રહેલા દેવાની ચિંતા હેઠળ જીવી રહ્યો છે. બીજેપીએ ગુજરાતના લોકોની આવક બેવડી થાય અને તેઓ શાનદાર જીવન જીવે તેવા પગલા ભર્યા હોય તેવું દેખાઇ રહ્યું નથી.
આ તમામ મુશ્કેલીઓ અને સમસ્યાઓ વચ્ચે પીએમ મોદીને એવું કેમ કહેવું પડી રહ્યું છે કે, ગુજરાતને કોંગ્રેસે બર્બાદ કરી નાખ્યું? તે છતાં કે આઠ વર્ષથી કેન્દ્રમાં તમે સત્તામાં છો? ગુજરાતમાં પાછલા આઠ વર્ષથી ડબલ એન્જિનની સરકાર ચાલી રહી છે અને તે પહેલા પણ ત્રણ દાયકાઓથી તમે રાજ કરી રહ્યાં છો તો પછી કોંગ્રેસે ક્યારે બર્બાદ કર્યું? આનો જવાબ એક જ છે. હવે સત્તાધારી પક્ષ પાસે બોલવા માટે કંઇ બચ્યું નથી.
સત્તાધારી પક્ષે અત્યાર સુધીમાં મોટા-મોટા વાયદાઓ વચનો આપ્યા હતા. 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલથી પણ વધારે કરવાના બણગા ફૂક્યા હતા. અદ્દભૂત વિકાસ કરવાના વચનો આપ્યા હતા. જોકે, તેમાંથી માત્ર પ્રવાસન સ્થળોનો વિકાસ કરીને પોતાના પાર્ટીના નેતાઓની આવક ડબલ કરવાનું કામ કર્યું છે. અમદાવાદ રિવર ફ્રન્ટ પર ચાલી રહેલા વેપાર ધંધાઓ શું સામાન્ય લોકો કરી રહ્યાં છે? સામાન્ય લોકોને તો ફરવા જવું હોય તો પણ પૈસા આપવા પડી રહ્યાં છે. તેવી જ રીતે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાનું રોજગાર લઇને બેસનારાઓ પણ મોટા ગજાના વેપારીઓ છે, જેઓ પહેલાથી કરોડપતિ જ હતા.
મીડલ ક્લાસ અને સામાન્ય વ્યક્તિઓનું સતત શોષણ કરવામાં આવી રહ્યું છે. મોંઘવારીના કારણે પરિસ્થિતિ એવી ઉદ્દભવી છે કે, સામાન્ય વ્યક્તિના હાથમાં તેની સેલરી આવતી હશે તે માત્રને માત્ર દસ દિવસમાં ખત્મ થઈ જતી હશે. સેલરી ખત્મ થઇ જાય પરંતુ તેના અનેક કામ તો બાકી જ ઉભા હોઇ શકે છે.
ભારતના પીએમ પદ્દ પર બેસેલા વ્યક્તિએ કરોડોની સંખ્યામાં રહેલા સામાન્ય લોકોની મુશ્કેલીઓ વિશે વિચારવું જોઈએ. તેમની સમસ્યાઓને હળવી કેવી રીતે કરવી તે માટે પગલાઓ ભરવા જોઈએ. પરિવારમાંથી બે કે ત્રણ લોકોને સરળતાથી રોજગાર મળે તો કોઈપણ સમસ્યાને ખત્મ કરી શકાય છે. જોકે, ભારતમાં એકદમ ઉલ્ટૂ થઇ રહ્યું છે, પરિવારમાં કમાવનાર એક હોય ખાનારાઓ પાંચ કે તેથી વધુ હોય. તેવામાં તમામ લોકોનું જીવન ધોરણ ખુબ જ ખરાબ થઇ જાય છે.
પીએમ મોદીના પાછલા ભાષણો જૂઓ, જેમાં એકપણ વાત તથ્યવાળી જોવા મળશે નહીં. થોડા દિવસ પહેલા તો તેમને નિવેદન આપ્યું હતુ કે, હું પ્રતિદિવસ અઢી કિલો ગાળો ખાઉં છું? લોકો મને નીચ-ગંદી નાળીનો કિડો વગેરે-વગેરે કહે છે, તેવું ભાષણ ગુજરાતમાં જ આપ્યું હતું. માત્રને માત્ર લોકોની સંવેદનાઓ મેળવવા માટે આવા ભાષણો આપવામાં આવતા હોય છે. તેનાથી રાજ્યના લોકોને કોઈ જ ફાયદો થવાનો નથી. જ્યાર સુધી તથ્ય અને સત્ય ઉપર રાજકારણીઓ વાત કરશે નહીં ત્યાર સુધી દેશ ગૂંગળાતું રહેશે.
ગુજરાતમાં બાળકોમાં કુપોષણ અને બાળ મૃત્યુ દર ખુબ જ ઉંચુ છે. કુપોષિત, ઓછા વજનવાળા બાળકોની દ્રષ્ટિએ 30 રાજ્યોમાં ગુજરાત 29મા ક્રમે છે? બાળ મૃત્યુદરમાં રાજ્ય શા માટે 19મા ક્રમે છે? આ તમામ પ્રશ્નોના જવાબ ત્યારે મળશે, જ્યારે તમે સરકાર સામે યોગ્ય પ્રશ્ન પૂછશો. જાતિવાદ, જ્ઞાતિવાદ, ધર્મ વગેરે જેવી બાબતોમાં ગૂંચવીને રાજકારણીઓએ દેશના વિકાસને પાટા પરથી ઉતારી દીધો છે.
મહેસાણામાં એક ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ જણાવ્યું કે કોંગ્રેસે હંમેશા ભાગલા પાડો અને રાજ કરોની નીતિનો આશરો લીધો છે અને વિવિધ સમુદાયો વચ્ચે સંઘર્ષ સર્જ્યો છે. લો બોલો… ભાજપ વર્ષોથી હિન્દુત્વની વિચારધારાને લઇને રાજનીતિ કરતી આવી છે. પીએમ મોદી સહિત બીજેપીના તમામ લોકો મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાય તેવી ભાષા બોલે છે. પીએમ મોદીએ લોકોને કપડાથી ઓળખો તેવું નિવેદન આપ્યું હતું. તો તેમના અનેક નેતાઓ પણ મુસ્લિમો પ્રત્યે એવી બોલી બોલે છે કે, અન્ય સમુદાયના લોકો તેમનાથી નફરત કરવા લાગે છે. આમ બીજેપી પોતે બે સમુદાયો વચ્ચે નફરત ફેલાવવાનું કામ કરી રહી છે અને તેનું બિલ કોંગ્રેસના નામે ફાડી રહ્યાં છે.
પીએમ મોદી કહ્યું, “કોંગ્રેસ મોડેલની ઓળખ ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ, વંશવાદ અને જાતિવાદ છે. તેઓ મત બેંકની રાજનીતિમાં લિપ્ત અને વિવિધ જાતિના લોકો અથવા તો વિવિધ જિલ્લાઓ વચ્ચેના લોકોને ઉશ્કેરવા માટે જાણીતા છે. કોંગ્રેસ પર વંશવાદ અને ભત્રીજાવાદ-જાતિવાદનો આરોપ મૂકનારા પીએમ મોદી તે ભૂલી ગયા કે, 2022ની ચૂંટણીમાં જ બીજેપીએ પોતાના નેતાઓના સગા-વ્હાલાઓને 30 ટિકિટોની લ્હાણી કરી દીધી છે. તો બીજી તરફ બીજેપી તરફથી એકપણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નથી.
સત્ય તો તે છે કે, ગુજરાતના રાજકારણમાં મોદીની એન્ટ્રી થઇ ત્યારથી અત્યાર સુધીમાં એકપણ વખત મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નથી, આમ ગુજરાતમાં હિન્દૂ-મુસ્લિમની રાજનીતિનો પાયો નાંખનારો પોતે કહે છે કે, કોંગ્રેસ બે સમુદાયો વચ્ચે નફરત ફેલાવે છે.
પ્રેમ અને સત્ય જ જીવનને સુંદર બનાવે છે, ગમે તેટલો વિકાસ કરવામાં આવે પરંતુ જે સમાજમાં નફરત હોય તે વિકાસને ક્યારેય પામી શકે નહીં. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો કોઈપણ ભોગે સત્તામાં બનેલા રહેવા માંગે છે. નફરતની રાજનીતિના કારણે આપણો સમાજ હિંસક-આક્રમક બની રહ્યો છે. બે ધર્મના લોકો વચ્ચે ખાઇ પ્રતિદિવસ ઉંડીને ઉંડી બની રહી છે. ભારતમાં વર્ષોથી સાથે રહેતા અનેક ધર્મના લોકો વચ્ચે હવે ફૂટ નાંખવામાં આવી રહી છે અને આ ફૂટ કોણ નાંખે છે તમે ખુબ જ સારી રીતે સમજી શકો છો.
Advertisement