- ક્યાંક 220 તો ક્યાંક 720 રૂપિયા મજૂરનું દૈનિક વેતન, કેરળ નંબર-1, ગુજરાત-MP સૌથી પાછળ
દેશમાં ગરીબ વ્યક્તિની સ્થિતિ ખુબ જ કફોડી બની ગઇ છે. સામાન્ય વ્યક્તિ અને ગરીબ વ્યક્તિ પાસે જીવન ટૂકાવવા સિવાય અન્ય રસ્તાઓ બંધ થઇ ગયા છે. દેશમાં વધતી મોંઘવારી અને બેરોજગારી ખતરનાક સાબિત થઇ રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. દેશમાં મોટી સંખ્યામાં લોકો આત્મહત્યા કરી રહ્યાં છે. ગયા વર્ષે એટલે કે 2021માં 1.64 લાખ લોકોએ આત્મહત્યા કરીને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે.
Advertisement
Advertisement
NCRBના રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે દેશભરમાં આત્મહત્યા કરનારાઓમાં 42,004 દૈનિક વેતન કામદારોનો સમાવેશ થાય છે. તેમાં 4,246 મહિલાઓ હતી. તે મુજબ, ગયા વર્ષે, દરરોજ સરેરાશ 115 દૈનિક વેતન મજૂરો અને દર કલાકે 5 દૈનિક વેતન મજૂરોએ આત્મહત્યા કરી હતી.
દર વર્ષે આત્મહત્યા કરનારાઓમાંથી દર ચોથો વ્યક્તિ રોજીરોટી મજૂર છે. 2021માં 1.64 લાખ લોકોએ આત્મહત્યા કરી હતી અને તેમાંથી 25% થી વધુ દૈનિક વેતન કામદારો હતા. 2020માં પણ આત્મહત્યા કરનારા 1.53 લાખ લોકોમાંથી 25 ટકા દૈનિક વેતન કામદારો હતા. તેવી જ રીતે 2019 માં પણ 1.39 લાખ લોકોએ આત્મહત્યા કરી હતી અને તેમાંથી 24 ટકા દૈનિક વેતન કામદારો હતા.
ભારતમાં દર 12 મિનિટે એક દૈનિક વેતન મજૂર આત્મહત્યા કરે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના રિપોર્ટમાં આ માહિતી છે. મોટા ભાગે આત્મહત્યાનું કારણ આર્થિક તંગી રહે છે. RBIના નવા રિપોર્ટમાં મજૂરોના વેતનને લઈને ઘણા ખુલાસા થયા છે. 2021-22ના આંકડા દર્શાવે છે કે ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા રાજ્યો મજૂરોને દૈનિક વેતન આપવામાં સૌથી પાછળ છે, જ્યારે કેરળ એવું રાજ્ય છે જ્યાં મજૂરોનું વેતન સૌથી વધુ છે.
આરબીઆઈના રિપોર્ટ અનુસાર, 2021-22માં કૃષિ મજૂરોની રાષ્ટ્રીય સરેરાશ દૈનિક વેતન 323.2 રૂપિયા છે. મધ્યપ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં ખેતમજૂરોની દૈનિક વેતન રૂ. 217.8 છે. જ્યારે ગુજરાતમાં તે રૂ. 220.3 છે. બીજી તરફ કેરળમાં ગ્રામીણ ખેતમજૂરોને 726.8 રૂપિયા દૈનિક વેતન મળે છે. બાકીના રાજ્યોની વાત કરીએ તો ઓડિશામાં દૈનિક વેતન રૂ. 269.5, ત્રિપુરામાં રૂ. 270, મહારાષ્ટ્રમાં રૂ. 284.2 અને યુપીમાં રૂ. 288.0 મળે છે.
જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ અને તમિલનાડુએ કેરળ પછી સૌથી વધુ દૈનિક વેતન આપ્યું હતું. જમ્મુ અને કાશ્મીરના ગ્રામીણ વિસ્તારોમાં ખેત મજૂરોને રૂ. 524.6, હિમાચલમાં રૂ. 457.6 અને તમિલનાડુમાં રૂ. 445.6 મળ્યા હતા.
બાંધકામ કામદારો: ગ્રામીણ વિસ્તારોમાં બાંધકામના કામમાં રોકાયેલા પુરૂષ મજૂરોને 2021-22માં સરેરાશ દૈનિક વેતન રૂ. 373.3 મળ્યું. અહીં પણ કેરળ મોખરે રહ્યું અને એમપી-ગુજરાત પાછળ હતું. કેરળમાં બાંધકામ કામદારોને રોજનું 837.7 રૂપિયા વેતન મળે છે. જ્યારે એમપીમાં દૈનિક વેતન રૂ. 266.7 અને ગુજરાતમાં રૂ. 295.9 હતું.
બાગાયતી મજૂરો: ગયા વર્ષે બાગાયતમાં રોકાયેલા મજૂરોનું સરેરાશ દૈનિક વેતન રૂ.329.7 હતું. આ મજૂરોને માત્ર એમપી અને ગુજરાતમાં જ સૌથી ઓછો દૈનિક વેતન મળે છે. બાગાયતમાં રોકાયેલા મજૂરોને એમપીમાં રૂ. 203.5 અને ગુજરાતમાં રૂ. 216.5 મળે છે. જ્યારે કર્ણાટકે મહત્તમ દૈનિક વેતન રૂ. 368.6 આપ્યું છે.
બિનખેતી મજૂરોઃ ખેતી સિવાયના અન્ય કામોમાં રોકાયેલા મજૂરોનું સરેરાશ દૈનિક વેતન રૂ.326.6 રહ્યું. અહીં પણ કેરળ ટોચ પર રહ્યું અને એમપી-ગુજરાત તળિયે રહ્યાં છે. કેરળમાં બિન-કૃષિ કામોમાં રોકાયેલા પુરૂષ મજૂરોને 2021-22માં 681.8 રૂપિયા દૈનિક વેતન મળ્યું. તો બીજી તરફ એમપીમાં માત્ર 230.3 અને ગુજરાતમાં 252.5 રૂપિયા મળ્યા.
મનરેગામાં દૈનિક વેતન કેટલું?
મનરેગા એટલે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અંતર્ગત મજૂરોને વર્ષમાં 120 દિવસ કામ આપવામાં આવે છે. આ મજૂરોને રોજનું કેટલી મજૂરી મળશે? તે દર વર્ષે વધે છે અને દરેક રાજ્યમાં બદલાય છે.
મનરેગા હેઠળ કામ કરતા મજૂરોને હરિયાણામાં સૌથી વધુ દૈનિક વેતન મળે છે. હરિયાણામાં મજૂરોને દૈનિક મજૂરી તરીકે 331 રૂપિયા આપવામાં આવે છે. તે પછી ગોવા છે જ્યાં તમને રોજના રૂ.315 મળે છે. કેરળ ત્રીજા નંબરે છે અને અહીંના મજૂરોનું દૈનિક વેતન રૂ.311 છે.
Advertisement