વિધાનસભાની ચૂંટણી આવે એટલે પડતર માંગણીઓ સાથે સરકારી કર્મચારીઓના વિવિધ સંગઠનોના આંદોલનોની સમાંતરે વિવિધ જ્ઞાતિ સમુદાયોના સંમેલનોની પણ શરૂઆત થઈ જાય. લોકશાહીમાં સંખ્યા એ જ શક્તિ હોય ત્યારે દરેક સમાજ શક્તિ પ્રદર્શન કરીને વધુમાં વધુ રાજકીય પ્રભુત્વ માંગે એ પણ સહજ છે. સૌથી વધુ મહત્વાકાંક્ષી અને પ્રભાવશાળી ગણાતાં પાટીદાર સમાજે આવા શક્તિ પ્રદર્શનો વડે ધાર્યા નિશાન પાડવાની શરૂઆત કરી એ પછી હવે લગભગ એકે ય સમાજ ચૂંટણી ટાણે લાલઘૂમ થવાની તક છોડતો નથી. હાલમાં માલધારી સમાજ પછી કોળી સમાજે પણ જસદણ નજીક સંમેલન યોજીને દરેક રાજકીય પક્ષો પાસેથી 30 બેઠકોની માંગણી મૂકી દીધી છે.
Advertisement
Advertisement
વોટબેન્ક તરીકે કોળી સમાજ અવ્વલ પણ…
ગુજરાતના પ્રભાવશાળી જ્ઞાતિ સમુદાયની વાત નીકળે ત્યારે પટેલ પાવર સૌથી પહેલાં યાદ આવે, છતાં વાસ્તવિકતા એ છે કે સંખ્યાની દૃષ્ટિએ ગુજરાતમાં કોળી સમાજ સૌથી વધુ એટલે કે 23% જેટલો છે. ગુજરાતમાં વિધાનસભાની આશરે 35-40 બેઠકો પર કોળી સમાજના મત મહત્વપૂર્ણ મનાય છે. આ પૈકી મહત્તમ બેઠકો સૌરાષ્ટ્રમાં અને 12-15 બેઠકો દક્ષિણ ગુજરાતમાં છે. ગુજરાતના દરેક વિસ્તારમાં પથરાયેલો કોળી સમાજ જોકે ભૌગોલિક વિસ્તાર અનુસાર અલગ અલગ ફાંટાઓમાં વહેંચાયેલો હોવાથી એકજૂટ નથી. તેને લીધે સૌથી મોટી વોટબેન્ક હોવા છતાં હજુ હમણાં સુધી કોળી મતદારોને એકેય રાજકીય પક્ષ ખાસ ગંભીરતાથી લેતો ન હતો. પરંતુ છેલ્લાં બે દાયકાથી કોળી સમુદાયની રાજકીય જાગૃતિ અને મહત્વાકાંક્ષા વધતી જાય છે, જેને અવગણી શકાય તેમ નથી.
ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલીમાં દબદબો
કોળી સમાજ સાગરખેડુ સમુદાય હોવાથી દરિયાકાંઠા વિસ્તારમાં તેમની સંખ્યા નોંધપાત્ર છે. માછીમારી અને વહાણવટાના વ્યવસાય સાથે સંકળાયેલ આ સમુદાયના લોકો ખેતમજૂર તરીકે પણ મોટી સંખ્યામાં કાર્યરત હોય છે. આઝાદી પહેલાં શિક્ષણ અને જાગૃતિનું નહિવત્ત પ્રમાણ ધરાવતો આ સમુદાય લાંબા સમય સુધી શોષિત રહ્યા બાદ હવે ઘણી જાગૃતિ આવી છે. મોટાભાગે કોંગ્રેસની વોટબેન્ક તરીકે કોળી સમાજ મતદાન કરવા ટેવાયેલો છે પરંતુ હવે ભાજપ પણ તેમાં લગભગ સરખો હિસ્સો ધરાવે છે. હાલ ગુજરાત વિધાનસભામાં બંને પક્ષોના થઈને કુલ 17 કોળી ધારાસભ્યો છે. રાજ્યના કુલ 8 જિલ્લા એવા છે જ્યાં કોળી મતદારો નિર્ણાયક બને છે.
કોળી મતદારો:
જિલ્લાનું નામ | ટકાવારી |
ભાવનગર | 18% |
સુરેન્દ્રનગર | 15% |
અમરેલી | 12% |
જૂનાગઢ | 11% |
પોરબંદર | 11% |
નવસારી | 10% |
વલસાડ | 8% |
ભરૂચ | 7% |
સમાજ મોટો, તડા ય મોટાં, નેતા પણ ઝાઝાં
કોળી સમાજના અનેક ફાંટા છે. તળપદના તળપદા કહેવાય છે. ચુંવાળ વિસ્તારના ચુંવાળિયા કોળી કહેવાય છે. પાટણ વિસ્તારના પાટણવાડિયા, દિવ-ઉના પંથકના દિવેચા કોળી, ચોરવાડ-માધવપુર ઘેડ વિસ્તારમાં ઘેડિયા કોળી, ભાલ તરીકે ઓળખાતા ધંધુકા પંથકના ભાલિયા એમ કોળી સમાજ અને પેટાપ્રકારોમાં વહેંચાયેલો છે. એ જ રીતે દરેક વિસ્તારમાં કોળી નેતૃત્વ પણ અલગ છે. દરિયાકાંઠાના કોળીઓમાં પરશોતમ સોલંકી અને હિરાલાલ સોલંકીનો પ્રભાવ અકબંધ છે. જસદણ-રાજકોટ વિસ્તારમાં કુંવરજી બાવળિયા અને સુરેન્દ્રનગરમાં સોમાભાઈ ગાંડાભાઈ પટેલ બિનહરિફ નેતા ગણાતા હતા. હવે નવી પેઢીના રાજુ સોલંકી અને વિક્રમ સુરાણી પણ કોળી પેઢીના નેતૃત્વ માટે ડંકા બજાવી રહ્યા છે. સૌરાષ્ટ્રની આ સ્થિતિ સામે દક્ષિણ ગુજરાતના કોળીપટેલ તરીકે ઓળખાતા સમુદાયને સૌરાષ્ટ્રના કોળીઓ સાથે ખાસ જોડાણ નથી. સૌરાષ્ટ્રના એકપણ કોળી નેતા દક્ષિણ ગુજરાતના કોળીઓમાં એવી કોઈ પહોંચ ધરાવતા નથી.
આ પણ વાંચો: #બેઠકપુરાણ રાવપુરાઃ પાયાનો સવાલ એક જ છે, રાજેન્દ્ર આ વખતે ય ભાજપના ‘રાવ’બનશે?
સોલંકીના સ્થાને બાવળિયા આવ્યા, મુંજપરાને ય ઉતાર્યા
નેવુના દાયકાના ઉત્તરાર્ધમાં ભાજપમાં જોડાયેલા પરશોતમ સોલંકી અને તેમના નાનાભાઈ હીરાલાલ સોલંકીએ કાંઠા વિસ્તારની દસેક બેઠકો જીતાડી આપી ત્યારથી ભાજપમાં કોળી સમાજના નેતા તરીકે તેમનું કદ અકબંધ ગણાતું રહ્યું છે. પરંતુ 2017માં કોળી સમાજે ફરીથી કોંગ્રેસ તરફ ઝુકાવ દર્શાવ્યો એ પછી અને સોલંકીબંધુઓની વારંવાર નાક દબાવવાની ટેવને લીધે ભાજપે તેમના જવાબ તરીકે કોંગ્રેસના કુંવરજી બાવળિયાને આવકાર્યા. બાવળિયા અને ભાલ પંથકના દેવજી ફતેપરા વચ્ચેનો અણબનાવ જાણીતો છે. એટલે બાવળિયા ભાલ પંથકમાં સ્વિકાર્ય બની શકતાં નથી. કાંઠા વિસ્તારમાં સોલંકીબંધુઓનો પ્રભાવ પણ તોડી શકતાં નથી. એટલે ભાજપે સુરેન્દ્રનગરના સાંસદ અને તબીબ ડો. મુંજપરાને કેન્દ્રિય મંત્રી બનાવીને કોળી સમાજના નેતા તરીકે પ્રમોટ કર્યા છે. સેવાભાવી તબીબ તરીકે નામના ધરાવતા મુંજપરા જોકે કોળી સમાજના આંતરિક રાજકારણમાં હજુ પગપેસારો કરી શક્યા નથી. એટલે ભાજપ માટે આ વખતે પણ કોળી વોટબેન્ક સાગમટે અંકે કરવાનું સ્હેજે ય આસાન નહિ હોય.
હવે આમ આદમી પાર્ટીનો પગપેસારો
નવોદિત આમઆદમી પાર્ટીએ પણ કોળી સમાજની માતબર વોટબેન્ક પર નિશાન તાક્યું છે. અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત એકમના યુવા પ્રમુખ વિક્રમ સુરાણી આપ સાથે જોડાયેલા છે અને વિધાનસભાની ટીકિટના મજબૂત દાવેદાર પણ મનાય છે. સુરાણી મારફત આપ સારી એવી સંખ્યામાં કોળી મતમાં ગાબડું પાડી શકે છે. આથી કોંગ્રેસ અને ભાજપ બંને પોતપોતાની રીતે પોતાની છાવણી મજબૂત કરવાની પેરવીમાં છે. જેને લીધે સોલંકીબંધુઓ આ વખતે ટીકિટ નહિ જ મેળવે એવી આશંકાઓ પછી હવે બે પૈકી કોઈ એક સોલંકીને તો ટીકિટ મળી જ શકે છે. કોંગ્રેસે પણ સુરેન્દ્રનગરમાં સોમા ગાંડાના વિકલ્પે દિગ્ગજ નેતાઓ કરમશી મકવાણા, સવશી મકવાણા પરિવારના ઋત્વિક મકવાણાને આગળ કર્યા છે.
કોળી મુખ્યમંત્રી ક્યારે?
પાટીદાર સમાજ કોળી સમાજથી ખાસ્સી ઓછી સંખ્યા ધરાવતો હોવા છતાં મહત્તમ રાજકીય ફાયદો મેળવવામાં માહેર છે. વિધાનસભામાં સૌથી વધુ પાટીદારો, લોકસભાના સાંસદો પણ પાટીદારો અને મુખ્યમંત્રીપદ પણ પાટીદાર પાસે હોય એવી પરંપરા હવે કાયમી બની રહી છે. તેની સામે કોળી સમાજ સૌથી મોટો હોવા છતાં તેને અત્યાર સુધીમાં ફક્ત એક વખત નાયબ મુખ્યમંત્રીપદ મળ્યું છે. છબીલદાસ મહેતા મુખ્યમંત્રી હતા ત્યારે કોંગ્રેસના છગનભાઈ દેવાભાઈ પટેલ (સી.ડી.પટેલ) નાયબ મુખ્યમંત્રી બની શક્યા હતા. આ વખતે કોળી સમાજે મુખ્યમંત્રીપદનું નિશાન તાક્યું છે પરંતુ જ્યાં સુધી સમાજ પોતે જ નેતૃત્વ અંગે એકજૂટ નહિ બને ત્યાં એ શક્ય જણાતું નથી.
Advertisement