વડોદરાના શહેરી વિસ્તારની રાવપુરા બેઠક તેનાં નામ મુજબનો મિજાજ ધરાવે છે. આ બેઠક પરથી ચૂંટાયેલ નેતા રાજ્ય સરકારમાં મોભાદાર સ્થાન મેળવતા રહ્યા છે. વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી તેનું લેટેસ્ટ ઉદાહરણ છે. બીજી ટર્મમાં ચૂંટાયા પછી તેઓ વિધાનસભાના સ્પિકર બન્યા પછી કેબિનેટ મંત્રી બની શક્યા હતા. નેવુના દાયકાના આરંભે ગુજરાતમાં હજુ ભાજપ પગ જમાવવા મથતો હતો ત્યારથી આ બેઠક ભાજપનો ગઢ બની રહી છે. રાવપુરામાં 1980થી 2017 સુધીની કુલ 13 ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારનો 6 વાર વિજય થયો છે. આશરે 3 લાખ મતદારો ધરાવતી આ બેઠકના 95% મતદારો શહેરી અને શિક્ષિત છે. સમા અને છાણી જેવા વડોદરાની ભાગોળના ગામો પણ આ મતવિસ્તારમાં સામેલ ગણાય છે.
Advertisement
Advertisement
મિજાજઃ
હરહંમેશ ભાજપતરફી ઝુકાવ ધરાવતા આ બેઠકના મતદાતાઓ રાજકીય રીતે જાગૃત હોવાનું માનવામાં આવે છે. પોતાના પ્રતિનિધિને સરકારમાં સ્થાન મળે એ માટેનો આગ્રહ એ રાવપુરાના મતદાતાઓની ખાસિયત રહી છે. ભાજપના યોગેશ પટેલ અહીંથી સળંગ પાંચ ટર્મ જીત્યા છે અને નવા સીમાંકન પછી માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પક્ષ | સરસાઈ |
1998 | યોગેશ પટેલ | ભાજપ | 25330 |
2002 | યોગેેશ પટેલ | ભાજપ | 64554 |
2007 | યોગેશ પટેલ | ભાજપ | 52923 |
2012 | રાજેન્દ્ર ત્રિવેદી | ભાજપ | 41535 |
2017 | રાજેેન્દ્ર ત્રિવેદી | ભાજપ | 36650 |
કાસ્ટ ફેબ્રિક
સૌથી રસપ્રદ બાબત એ છે કે ગુજરાતની તમામ બેઠકોથી વિપરિત, આ બેઠક પર સ્હેજે ય જ્ઞાતિવાદ નથી. મરાઠા ક્ષત્રિય, મરાઠી બ્રાહ્મણ, વણિક, લોહાણા ઉપરાંત રાણા, ભરવાડ, રબારી જેવા પચરંગી સમુદાય પૈકી અહીં કોઈ એક જ્ઞાતિનું પલડું ભારે હોય એવું બિલકુલ નથી. અહીં જનસંપર્ક ધરાવતો કોઈપણ નેતા જીતી શકે છે. એ જોતાં જ્ઞાતિ સમીકરણોનું બિલકુલ મહત્વ ન ધરાવતી ગુજરાતની ગણીગાંઠી બેઠકોમાં રાવપુરાનું નામ લેવું પડે.
સમસ્યાઓઃ
શહેરી વિસ્તાર હોવાથી મોટાભાગે ટ્રાફિક ઉપરાંત રસ્તા અને ખાસ તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ખોરંભે ચઢેલા કામ સામે સ્થાનિક સ્તરે કચવાટ પ્રવર્તે છે. સતત ભાજપને જ વફાદાર રહેવા છતાં આ વિસ્તારમાં પાલિકા પાર્કિંગ ઝોન ડેવલપ કરવામાં નિષ્ફળ રહ્યું છે. મુખ્ય બજારોમાં પાથરણાંવાળાની સમસ્યાનું નિરાકરણ પણ લાવી શકાયું નથી.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
રાજુ વકીલ તરીકે સ્થાનિક સ્તરે ઓળખ ધરાવતા રાજેન્દ્ર ત્રિવેદી આ બેઠક પરથી બે વાર ચૂંટાયા છે. આ વખતે પણ તેઓ મજબૂત દાવેદાર ગણાતા હતા, પરંતુ અચાનક કોઈ કારણ આપ્યા વગર તેમની પાસેથી મહેસુલ મંત્રાલય છીનવી લેવાયું એ પછી હવે તેમની ટીકિટ પણ જોખમમાં હોવાનું મનાય છે. એ સંજોગોમાં ભાજપ અહીં આશ્ચર્યજનક યુવા ચહેરાને આગળ કરે તેવી શક્યતા છે.
હરીફ કોણ છે?
કોંગ્રેસ તરફથી નરેન્દ્ર રાવત અથવા ઋત્વિજ જોશી આ બેઠકના દાવેદાર માનવામાં આવે છે. પરંતુ તળિયાઝાટક સંગઠનના કારણે કોંગ્રેસ ભાજપને તેનાં ગઢમાં હરાવી શકે એવી શક્યતા આ વખતે પણ બહુ પાંખી છે.
ત્રીજું પરિબળઃ
અહીં આમ આદમી પાર્ટી મજબૂત ઉમેદવારની શોધમાં છે. બિનરાજકીય ક્ષેત્રના કેટલાંક નામો અહીં ચર્ચામાં છે. અત્યારે આમઆદમી પાર્ટી જે પ્રકારે હવામાન બનાવી રહી છે એ ચૂંટણી આવતાં સુધીમાં મતોમાં પરિવર્તિત થાય તો ભાજપની સરસાઈમાં સારો એવો ઘટાડો થઈ શકે છે.
Advertisement