આજથી દોઢ સૈકા પહેલાં આલિશાન મિલના ભૂંગળા વાગે એ સાથે લોકોની ઘડિળાય સેટ થતી હતી. અમદાવાદની ઔદ્યોગિક ઓળખ સમો વટવા, જશોદાનગર, સીટીએમ વિસ્તાર કોટન મિલ અને વિવિધ મશીનરી, સ્પેર પાર્ટ્સ અને ઓજારોની દુકાનોનો એરિયા ગણાતો હતો. આઝાદી પછી થયેલાં ઔદ્યોગિક વિકાસમાં અમદાવાદ-વડોદરા ધોરી માર્ગ પર આવેલો ઔદ્યોગિક વિસ્તાર હોવાથી વડોદરાની જીએસએફસી, આઈપીસીએલ, એલેમ્બિક, પેટ્રોફિલ્સ જેવી કેમિકલ કંપનીઓના આનુષંગિક ઉદ્યોગો માટે વટવાને કેમિકેલ ઝોન તરીકે વિશેષ મંજૂરીઓ મળી. ત્યારથી આ વિસ્તાર અનેકવિધ ઉદ્યોગોનું કેન્દ્ર બની રહ્યો છે. કેમિકલ ઉદ્યોગ ઉપરાંત ટૂલ એન્જિનિયરિંગ, સ્પેરપાર્ટ્સ, મશીનરી ઉદ્યોગોથી ધમધમતું વટવા અમદાવાદ પૂર્વ લોકસભા મત વિસ્તાર અંતર્ગત આવે છે. 2008માં નવા સીમાંકન વખતે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ભાગોળના ગામોને સાંકળીને વટવા વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક અંતર્ગત મહાનગરપાલિકાના બે વોર્ડ ઉપરાંત આસપાસના ગાત્રોડ, મામદપુર, ગેરતપુર, ચેનપુર, હાથીજણ, સિંગરવા, વસ્ત્રાલ, રામોલ જેવા ગામો સુધી ફેલાયેલું છે. ભૌગોલિક રીતે ખાસ્સો મોટો વિસ્તાર હોવા ઉપરાંત અહીં મતદારોની સંખ્યા પણ ઘણી વધારે છે. અહીં કુલ 3,21,646 મતદારો નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
વટવા મહદ્ અંશે ગ્રામ્ય વિસ્તાર હોવા ઉપરાંત અહીં કોઈ ચોક્કસ જ્ઞાતિ સમુદાયનું વર્ચસ્વ હોવાનું કહી શકાય તેમ નથી. અલગ અલગ ગામોના સમીકરણો પણ અલગ હોવાથી અહીં બધાને સાથે રાખવા અને સૌને મહત્વ આપવાનું કામ ભારે મુશ્કેલ અને પેચીદું ગણાય છે. અહીં યોજાયેલી બંને ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા પ્રદીપસિંહ જાડેજાએ આ મુશ્કેલ ગણાતી બેઠક પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું હતું અને બંને વખત સારા એવાં માર્જિનથી જીત હાંસલ કરી હતી. જોકે પ્રદીપસિંહ ઉમેદવાર ન હોય એ સંજોગોમાં ભાજપ જ જીતશે એવું ખાતરીપૂર્વક અહીં કોઈ કહી શકતું નથી.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
2012 | પ્રદીપસિંહ જાડેજા | ભાજપ | 46,932 |
2017 | પ્રદીપસિંહ જાડેજા | ભાજપ | 62,380 |
આ પણ વાંચો: #બેઠકપુરાણ મણિનગરઃ અહીં ઉમેદવાર કરતાં મોદીનું નામ અને કમળનું પ્રતીક જ પૂરતું
કાસ્ટ ફેબ્રિક
આશરે 60,000 પાટીદાર આ બેઠક પર સૌથી વધુ છે પરંતુ અન્ય સમુદાયની વસ્તી પણ નોંધપાત્ર છે. જેમાં 50,000 જેટલાં મુસ્લિમો, 50,000 જેટલાં દલિતો, 40,000 ઠાકોર,30,000 ભરવાડ સમુદાય અને 35,000 જેટલાં પરપ્રાંતિયો હોવાથી કોઈ એક સમુદાયનું પરિબળ વર્ચસ્વ બનાવી શકતું નથી. પરપ્રાંતિયોમાં ઉત્તર ભારતીયોનું પ્રમાણ સવિશેષ છે. મુસ્લિમ અને દલિત મતદારો પણ ગેમ ચેન્જર બની શકે તેમ છે. કોઈપણ પક્ષ માટે આ કાસ્ટ ફેબ્રિક પડકારરૂપ બનતું હોય છે.
સમસ્યાઓઃ
ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીં હવાના પ્રદુષણનો પ્રશ્ન સૌથી વિશેષ છે. પીવાલાયક પાણીની અશુદ્ધિ અને કેમિકલ ભળી જવાના બનાવો પણ વારંવાર બનતાં રહે છે. જમીનના તળ સાવ નીચે ગયા હોવાથી આસપાસના ગામોની ખેતી ભૂગર્ભ જળ પર આધારિત રહી શકતી નથી. ગંદા પાણીના નિકાલની સમસ્યા પણ બહુ મોટી છે. સામાન્ય કક્ષાના વરસાદમાં પણ વટવા અને આસપાસના વિસ્તારો જળબંબાકાર બની જતાં હોય છે. આ મતવિસ્તારમાંથી પસાર થતો સરદાર પટેલ રિંગરોડ ઊંચાણ પર હોવાથી રસ્તાની બંને તરફના ગામોમાં પાણીના નિકાલની સમસ્યા સર્જાય છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ વેજલપુરઃ કોલેજકાળના ત્રણ મિત્રો ત્રણ અલગ પક્ષના ઉમેદવાર તરીકે આમનેસામને
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
પ્રદીપસિંહ જાડેજાના વ્યાપક સંપર્ક અને ખાસ તો ગૃહમંત્રી તરીકેના હોદ્દાના કારણે આ વિશાળ અને જ્ઞાતિ સમીકરણોથી પેચીદો ગણાતો મત વિસ્તાર ભાજપનું સમર્થન કરતો રહ્યો હતો. પ્રદીપસિંહે કોરોના કાળમાં પણ અહીં સેવાકિય કામગીરી કરીને પરપ્રાંતિયોમાં ખાસ્સી એવી સરાહના મેળવી હતી. ભાજપની નો રિપિટ થિયરી મોટા નેતાઓને લાગુ થઈ તેમાં પ્રદીપસિંહની ટીકિટ પણ કપાઈ ગઈ છે. ભાજપે અહીં પ્રદીપસિંહના વિશ્વાસુ અને વસ્ત્રાલ વોર્ડના પ્રમુખ રહી ચૂકેલા બાબુસિંહ જાદવને ટીકિટ આપી છે. પરપ્રાંતિયોના મત પર વિશેષ મદાર રાખતાં બાબુસિંહના પ્રચારમાં જોકે પ્રદીપસિંહની પૂરતી સક્રિયતા જોવા મળે છે.
હરીફ કોણ છે?
કોંગ્રેસે અહીં છેલ્લી બંને ચૂંટણી વખતે પાટીદાર ઉમેદવારને ઉતાર્યા હતા પરંતુ તેમાં નિષ્ફળતા મળ્યા પછી આ વખતે રણનીતિ બદલી છે અને બળવંત ગઢવીને તક આપી છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ રહી ચૂકેલા બળવંત ગઢવીની ઉમેદવારી સામે સ્થાનિક કોંગ્રેસે ભારે વિરોધ કર્યો હતો અને તેમને આયાતી ઉમેદવાર ગણાવ્યા હતા. જોકે ગઢવીએ સમયસર તેમની સામેનો વિરોધ શમાવી દીધો છે પરંતુ મતદાન મથક સુધી સંગઠન અને કાર્યકરો તેમને કેટલો સહકાર આપે છે એ જોવું રહ્યું.
આ પણ વાંચો: #બેઠકપુરાણ દાણીલીમડા: ગઢ કોંગ્રેસનો, સૈન્ય AAP+AIMIMનું, વિજેતા થવાનાં ઓરતાં ભાજપને
ત્રીજું પરિબળઃ
આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેર ઉપપ્રમુખ બિપીન પટેલ અહીંથી ઉમેદવારી કરી રહ્યા છે. આટલો મોટો વિસ્તાર હોવાથી પાયાના સંગઠન વગર તેમના માટે પ્રચાર કરવાનું બહુ મુશ્કેલ થતું હોવાનું જણાય છે. આપની ગેરંટીથી આકર્ષાયેલા સ્વયંભૂ મતદારો સિવાય તેમની ઉમેદવારી ખાસ ફરક પાડી શકે તેવી કોઈ શક્યતા નથી. જંગ મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હોવાનું ચિત્ર ઉપસે છે અને તેમાં હાલના તબક્કે ભાજપનો હાથ ઉપર જણાય છે
Advertisement