અમદાવાદ મહાનગર બહુ ઝડપથી મેટ્રો સિટીની હરોળમાં પહોંચી રહ્યું છે. મૂળ અમદાવાદી તો ક્યારના અહીં લઘુમતિમાં આવી ગયા છે અને હવે બિનગુજરાતીઓનું પ્રમાણ પણ ઝડપભેર વધતું જાય છે. શહેરનું સોશિયલ ફેબ્રિક બદલાય એટલે સ્વાભાવિક રીતે જ રાજકીય દૃષ્ટિકોણ અને મતદાન કરવાની પદ્ધતિમાં પણ પરિવર્તન આવે. ગુજરાતભરના તમામ શહેરી વિસ્તારોની માફક અમદાવાદ પણ હરહંમેશ ભાજપને સમર્પિત મનાય છે પરંતુ ભાજપને ય જ્યાં પગ મૂકવાના ફાંફા હોય એવી કેટલીક અમદાવાદ શહેરની વિધાનસભા બેઠકોમાં પહેલું નામ દાણીલીમડાનું લેવું પડે. નવા સીમાંકન પછી જૂની શહેરકોટડા બેઠક પૂર્ણતઃ ખારિજ કરી દેવામાં આવી અને એ બેઠકમાં જમાલપુર અને મણિનગર બેઠકના કેટલાંક વિસ્તાર ઉમેરાયા એ પછી તેને દાણીલીમડા બેઠકનું નામ અપાયું. અમદાવાદ શહેરના ત્રણ વોર્ડ ઉપરાંત પીપલજ, સાઈપુર, શાહવાડી જેવાં ભાગોળના પરાંઓ પણ આ બેઠકમાં સામેલ છે. 2,30,680 મતદારો ધરાવતી આ બેઠક અનુસુચિત જાતિ માટે અનામત છે.
Advertisement
Advertisement
મિજાજઃ
શહેરી અનુસુચિત જાતિ મોટાભાગે કોંગ્રેસની સમર્પિત વોટબેન્ક મનાય છે. જૂની શહેરકોટડા બેઠક પણ તેમાંથી બાકાત ન હતી. અગ્રણી કોંગી નેતા નરસિંહ મકવાણા અને મનુભાઈ પરમારે આ બેઠક પરથી સતત મોટા માર્જિનથી જીત મેળવીને સ્થાનિક મતદારોનો ઝુકાવ કોંગ્રેસતરફી બનાવ્યો હતો. ભાજપને તેની તમામ ચડતી કળાઓ છતાં આ બેઠક પર 1995 અને 2002 સિવાય ફાવટ મળી નથી. શહેરકોટડા અને હવે દાણીલીમડા બેઠકના મતદારો ભાજપની સાંપ્રદાયિક, શહેરી અને ખાસ તો સવર્ણતરફી નીતિરીતિને જાકારો આપવાનું વલણ દર્શાવતાં રહ્યાં છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
2012 | શૈલેષ પરમાર | કોંગ્રેસ | 14,301 |
2017 | શૈલેષ પરમાર | કોંગ્રેસ | 32,510 |
(નવા સીમાંકન પછી આ બેઠક અસ્તિત્વમાં આવી હોવાથી અહીં અત્યાર સુધીમાં બે ચૂંટણી યોજાઈ છે)
આ પણ વાંચો: #બેઠકપુરાણ મહેમદાવાદઃ વિખ્યાત ભમ્મરિયા કૂવામાં ડૂબેલી કોંગ્રેસ આ વખતે બહાર નીકળી શકશે?
કાસ્ટ ફેબ્રિક
60% મુસ્લિમો અને 22% દલિતો ધરાવતી આ બેઠક દલિત-મુસ્લિમનું બહુ વિશિષ્ટ કોમ્બિનેશન ધરાવે છે. અહીં સવર્ણ મતદારોની સંખ્યા નહિવત્ત છે અને અન્ય સમુદાયમાં લુહાર, સાધુ, ઠાકોર, ખ્રિસ્તિ સમાજના મતદારો ખાસ નોંધપાત્ર નથી. કોમી તોફાનોના સમયમાં પણ આ વિસ્તારના મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે ખાસ અણબનાવ સર્જાતો નથી. જેને લીધે ભાજપને અહીં ભયની પ્રીત બાંધવાનું કપરું પડે છે. સ્થાનિક દલિતો પૈકી મોટાભાગના પરિવારના વડીલો કાપડ ઉદ્યોગના સુવર્ણકાળ દરમિયાન રોજગારી મેળવવા ઉત્તર ગુજરાતથી સ્થાનાંતરિત થયેલાં છે અને દલિત અધિકારો અંગે બહુ જ જાગૃત માનવામાં આવે છે.
સમસ્યાઓઃ
અમદાવાદ જેવા શહેરનો વિસ્તાર હોવા છતાં અહીં પારાવાર ગંદકી, આડેધડ બાંધકામ, ગેરકાયદે દબાણો અને અસામાજિક તત્વોની જોહુકમીના કારણે ઉદભવતી બદીઓ મુખ્ય સમસ્યા ગણાય છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ અહીં ફાળવાયેલા ત્રણ બહુમાળી પાર્કિંગ કોમ્પ્લેક્સ પૈકી એકપણ બન્યો નથી. બીઆરટીએસને લીધે રસ્તા સાંકડા થઈ જવાથી ટ્રાફિક જામની સમસ્યા દિવસભર સ્થાનિક વેપારીઓને નડે છે. મુખ્યત્વે કોર્પોરેશનના લેવલની આ સમસ્યાઓ વિધાનસભાની ચૂંટણીમાં બોલકી બનતી રહે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ માતરઃ દિગ્ગજની પ્રતિષ્ઠા સામે નવોદિતની લોકપ્રિયતાનો જંગ
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
ધારાસભ્ય પિતા મનુભાઈ પરમારથી અલગ ઓળખ ઊભી કરવાનો આગ્રહ રાખનાર શૈલેષ પરમાર એક સમયે શશાંક મનહરકુમાર દેશભક્ત એવું નામ રાખતાં હતાં. આ બેઠક પરથી બબ્બે વાર જીતીને તેમણે પિતાનો વારસો જાળવી રાખ્યો છે. ગમે તે ઘડીએ તેઓ ભાજપમાં જોડાઈને કેબિનેટ મંત્રી બની જશે એવી અટકળો આ ટર્મ પૂરતી તો ખોટી ઠરી છે. કલ કીસને દેખા? શૈલેષ પરમાર અભ્યાસુ અને જનસંપર્ક ધરાવતા ધારાસભ્ય છે. એટલે સ્થાનિક સડકો પર જેટલી સહજતાથી જનતા સાથે હળીમળી શકે છે એટલી જ સજ્જતાથી વિધાનસભામાં બોલી પણ શકે છે.
હરીફ કોણ છે?
ભાજપના કોઈપણ દલિત ઉમેદવાર માટે આ બેઠક પરથી દાવેદારી કરવી એ છેલ્લી પસંદગી રહી છે. લગભગ દરેક ચૂંટણીમાં ભાજપે અહીં ઉમેદવારો બદલ્યા છે. આ વખતે ભાજપ શિક્ષિત યુવા અને ખાસ તો ઉત્તર ગુજરાતનું બેકગ્રાઉન્ડ ધરાવનાર નરેશ વ્યાસને મેદાનમાં ઉતાર્યા છે. સ્થાનિક સ્તરે ભાજપનું સંગઠન બહુ મજબૂત છે. જોકે ભાજપે પોતાના સંગઠન કે પોતાના ઉમેદવાર કરતાં પણ ત્રીજા, ચોથા પરિબળ તરીકે આમઆદમી પાર્ટી અને AIMIM પર વિશેષ મદાર રાખવો પડે તેમ છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ઉમરેઠઃ સિલ્ક સિટીના ખરબચડાં રાજકારણથી બંને પક્ષ મુંઝવણમાં
ત્રીજું પરિબળઃ
અહીં આમઆદમી પાર્ટી ઉપરાંત અસદુદ્દિન ઓવૈસીની પાર્ટી મિજલસ-એ-ઈત્તિહાદ-ઉલ-મુસલમિન (AIMIM) પણ નિર્ણાયક બને એવી પૂરી શક્યતા છે. આપના ઉમેદવાર તરીકે સ્થાનિક અગ્રણી દિનેશ કાપડિયાના નામની જાહેરાત થઈ ચૂકી છે. AIMIMના પ્રદેશ હોદ્દેદારો મુસ્લિમ ઉમેદવારની કવાયતમાં લાગેલા હતા તેને બદલે છેલ્લી ઘડીએ રણનીતિ બદલીને અહીં કૌશિકા પરમારને તક આપવામાં આવી છે. મહિલા ઉમેદવાર તરીકે કૌશિકા દલિત મહિલાઓના મત મેળવે તેવી અપેક્ષા છે. ચારેય ઉમેદવારો દલિત છે અને મતદારોનો મોટો સમુહ મુસ્લિમ છે ત્યારે એ જ નિર્ણાયક બને તેવી પૂરી શક્યતા છે.
Advertisement