ન તો ત્યાં રેશમનું ઉત્પાદન છે કે ન તો કાપડનું, છતાં ય ઉમરેઠ સાડીઓના શહેર સિલ્ક સિટી તરીકે ગુજરાતભરમાં મશહુર છે. ચરોતર અને વડોદરા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં દીકરીના લગ્નનો માંડવો બંધાય એટલે સાડીઓની ખરીદી માટે ઉમરેઠની મુલાકાત અનિવાર્ય ગણાય છે. શહેરની ચારે ય દિશામાં વિશાળ અને નૈસર્ગિક તળાવો ધરાવતું આ શહેર પાટણનરેશ સિદ્ધરાજ જયસિંહના માતા મિનળદેવીનું માનીતું હતું તેની સાહેદી પૂરતી સાત માળની ભદ્રકાળી વાવ આજે ય મોજુદ છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શેલત અને અગ્રણી શિક્ષણશાસ્ત્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, યશવંત શુક્લ ઉમરેઠના વતની હતા. ગુજરાતની રાજનીતિમાં સામા પ્રવાહે વહેવાના આગવા વલણના કારણે મહત્વનું સ્થાન ધરાવતું ઉમરેઠ વિધાનસભા બેઠકક્રમાંક 111 ધરાવે છે. ઉમરેઠ શહેર અને તાલુકા ઉપરાંત આણંદ તાલુકાના કેટલાંક ગામો સાથે આ બેઠક પર મતદારોની સંખ્યા 2,72,388 જેટલી છે.
Advertisement
Advertisement
મિજાજઃ
ગુજરાત રાજ્યની રચના અને પ્રથમ ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવેલી ઉમરેઠ વિધાનસભા બેઠકે મોટાભાગે કોંગ્રેસતરફી મિજાજ જાળવી રાખ્યો છે. અહીં ભાજપને ફક્ત બે વખત જ સફળતા મળી છે. આણંદ જિલ્લાના દિગ્ગજ નેતા ભાઈલાલ પટેલના પ્રભાવના કારણે પ્રથમ બે ચૂંટણીમાં સ્વતંત્ર પક્ષના ઉમેદવારને જીતાડ્યા ત્યારથી ઉમરેઠે શાસનવિરોધી મિજાજ જાળવી રાખ્યો છે. આજે પણ સમગ્ર ગુજરાતના રાજકીય વલણ કરતાં અલગ વલણ દાખવવાનો ઉમરેઠનો મિજાજ સાબુત છે. વર્ષ 2002ને બાદ કરતાં અહીં બહુ પાતળી સરસાઈથી હાર-જીત થતી રહે છે. એટલે દરેક પક્ષના ઉમેદવારને નામાંકનથી લઈને મતગણતરીના છેલ્લા રાઉન્ડ સુધી તણાવમાં રાખવા એ ઉમરેઠનો સ્વભાવ છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | સુભાષચંદ્ર શેલત | કોંગ્રેસ | 2,478 |
2002 | વિષ્ણુભાઈ પટેલ | ભાજપ | 15,370 |
2007 | લાલસિંહ વડોદીયા | કોંગ્રેસ | 4,114 |
2012 | જયંત પટેલ (બોસ્કી) | NCP | 1,394 |
2017 | ગોવિંદભાઈ પરમાર | ભાજપ | 1,883 |
કાસ્ટ ફેબ્રિક
આશરે 70,000 ક્ષત્રિય અને 40,000 પાટીદાર મતદારો ધરાવતા આ મતવિસ્તારમાં દલિત, મુસ્લિમ અને આદિવાસીની સહિયારી ટકાવારી 6% જેટલી છે. આથી બંને પક્ષ ક્ષત્રિય ઉમેદવારને ટીકિટ આપે એ સંજોગોમાં દલિત અને મુસ્લિમ મતદારો નોંધપાત્ર બની જાય છે. ક્ષત્રિયો મતદારો એકજૂટ ન હોવાથી અહીં પાટીદાર ઉમેદવારો પણ જીતી શકે છે.
આ પણ વાંચો: # બેઠકપુરાણ આંકલાવઃ કોંગ્રેસના અમિત સામે જ્યાં ભાજપના અમિત પણ ટૂંકા પડે છે
સમસ્યાઓઃ
સાડી વેચાણના કેન્દ્ર તરીકે જાણીતું હોવા છતાં અહીં વેપારને ઉત્તેજન મળે એવી યોજનાનો સદંતર અભાવ છે. અમદાવાદ અને સુરતની તર્જ પર અહીં માર્કેટ ડેવલપ કરવાની વાતો ચૂંટણી સિવાય કદી સંભળાતી નથી. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની ગેરહાજરી છે. ચાર-ચાર તળાવોના કાંઠે વસ્યું હોવા છતાં ઉમરેઠમાં પીવાલાયક પાણીની તંગી રેઢિયાળ આયોજનનો પૂરાવો છે. મમરાં, પૌઆની ફેક્ટરી મોટી સંખ્યામાં છે પરંતુ આ ઉદ્યોગને પ્રોત્સાહન મળે એવું વાતાવરણ કે યોજનાઓની કમી છે. વિકાસની અઢળક શક્યતાઓ છતાં દીર્ઘદૃષ્ટિના અભાવમાં ઉમરેઠનો થવો જોઈએ એવો વિકાસ થયો નથી.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
ગત ચૂંટણીમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર કપિલાબહેન ચાવડા સામે સાંકડા માર્જિનથી જીતેલાં ભાજપના ગોવિંદ પરમાર પોતે પક્ષથી અને આણંદના સાંસદ મિતેષ પટેલ ગોવિંદભાઈથી નારાજ હોવાનું કહેવાય છે. રાજ્યસભાના સભ્ય અને પૂર્વ ધારાસભ્ય લાલસિંહ વડોદિયા જો બળ ન કરે તો ગોવિંદ પરમારને ટીકિટ મળવાની શક્યતા ઓછી છે. એ સંજોગોમાં પાલિકાપ્રમુખ સંગીતાબહેન પટેલ અથવા લાલસિંહના પરિવારમાંથી કોઈ એક નામ આવી શકે છે. જોકે આંતરિક જૂથબંધી નડવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
આ પણ વાંચો: #બેઠકપુરાણ મહુધાઃ એકપણ વખત અહીં ન જીતેલું ભાજપ આ વખતે નવી રણનીતિના શરણે
હરીફ કોણ છે?
કોંગ્રેસ આ બેઠક પર સારું એવું સંગઠન ધરાવે છે. સ્થાનિક પાલિકા અને તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસે પોતાની વોટબેન્ક અકબંધ રાખી હતી. જોકે કોંગ્રેસ, એનસીપી વચ્ચે સમજૂતી થાય એ સંજોગોમાં આ બેઠક એનસીપીના પ્રાંત અધ્યક્ષ જયંત પટેલ બોસ્કીના ફાળે જાય એવી શક્યતા ઉજળી છે. 2012માં પાતળી સરસાઈથી જીત્યા પછી પણ સ્થાનિક સ્તરે તેમણે સંપર્ક જાળવી રાખ્યો છે પરંતુ ‘અમૂક કારણોસર યોગ્ય સમયે’ ભાજપની તરફેણ કરવાની છબી તેમને નડી શકે છે.
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીએ અહીં કાર્યક્રમો કર્યાં છે. પાર્ટીએ અહીં અમરિશ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે. સ્થાનિક સ્તરે સારો એવો સંપર્ક ધરાવે છે. પરંતુ તેઓ કોને નડશે અને કોને ફળશે એ કહેવું અત્યારના તબક્કે મુશ્કેલ છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ હાલોલઃ જયદ્રથનો રથ રોકવાનો પડકાર ઝીલવો આસાન નહિ હોય
Advertisement