ગુજરાતની રચના પછી સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાંથી રોજગારી માટે રાજકોટ તરફ સ્થળાંતર વધવા લાગ્યું અને પછીના ચાર જ દાયકામાં રાજકોટે વિકાસની આગેકૂચમાં વડોદરાની બરોબરી કરી લીધી. આજે રાજકોટ ઓઈલ એન્જિન મેન્યુફેક્ચરિંગથી માંડીને ઓટો એન્જિનિયરિંગનું રાષ્ટ્રીય હબ ગણાય છે. ટ્રેડિંગમાં પણ નોંધપાત્ર દરજ્જો ધરાવે છે. દિવસભર તૂટી જવાય એવી મહેનત કરવી, પણ બપોરે ત્રણ કલાક ઘરે જઈને ઊંઘી જવું એ રાજકોટની લહેરી તાસિર આજે પણ બાકીના ગુજરાતને આશ્ચર્ય પમાડતી રહે છે. રગડા જેવી ચા, ચોવીશે કલાક ગરમાગરમ મળતાં ગાંઠિયાનો ચેપ રાજકોટે હવે છેક અમદાવાદ સુધી પહોંચાડી દીધો છે. વિધાનસભાની રાજકોટ-૧ તરીકે ઓળખાતી બેઠક નવા સીમાંકન પછી બે બેઠકમાં વિભાજીત થઈ. તેમાંની એક એટલે રાજકોટ પૂર્વ. આ બેઠક અંતર્ગત મહાનગરપાલિકાના 6 વોર્ડ ઉપરાંત ભાગોળના કેટલાંક ગામો સમાવાય છે. આશરે 2,60,000 જેટલાં મતદારો અહીં નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
જનસંઘ વખતથી અને ગુજરાત રાજ્યની રચનાથી ય પહેલાં રાજકોટ હિન્દુવાદી રાજકીય વિચારધારાનું સમર્થક રહ્યું છે. રા.સ્વ.સંઘની પ્રથમ શાખા વડોદરામાં શરૂ થઈ એ પછીનાં જ વર્ષે રાજકોટમાં સંઘશાખાનો આરંભ થયો હતો. રાજકોટનો કેસરિયો મિજાજ સતત વૃદ્ધિ પામતો રહ્યો છે. જનસંઘ વખતના ચીમનભાઈ શુક્લ, અરવિંદ મણિયાર, પ્રવિણભાઈ મણિયાર અને રા.સ્વ.સંઘના ડો. પી.વી. દોશી જેવા દિગ્ગજોના કારણે શહેરી વિસ્તાર પછી સમગ્ર જિલ્લામાં ભાજપની અડીખમ વોટબેન્ક બનતી રહી છે. જોકે નવા સીમાંકન પછી યોજાયેલી પહેલી જ ચૂંટણીમાં ભાજપનો આંતરિક જૂથવાદ એટલો બધો તીવ્ર બન્યો કે તેનો લાભ લઈને કોંગ્રેસના ઉમેદવાર વિજયી થયા હતા.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
2012 | ઈન્દ્રનીલ રાજ્યગુરુ | કોંગ્રેસ | 4,272 |
2017 | અરવિંદ રૈયાણી | ભાજપ | 22,782 |
(નવા સીમાંકન પછી આ બેઠક અસ્તિત્વમાં આવી હોવાથી અહીં અત્યાર સુધીમાં બે ચૂંટણી યોજાઈ છે)
આ પણ વાંચો: #બેઠકપુરાણ રાજકોટ (પશ્ચિમ): વજુભાઈ, વિજયભાઈ કે કોઈ પણ… ઉમેદવાર નહિ, અહીં કમળ જીતે છે
કાસ્ટ ફેબ્રિક
રાજકોટ પૂર્વની બેઠક પાટીદારોનો અભેદ કિલ્લો માનવામાં આવે છે. અહીં લગભગ 25% જેટલાં પાટીદારો છે જેમાં લેઉવાનું પ્રમાણ 20% જેટલું છે. એ ઉપરાંત કોળી, દલિત અને મુસ્લિમો પણ દરેકની સરેરાશ 15થી 17% જેટલી સંખ્યા જેટલાં હોવાનું અનુમાન છે. દરેક પક્ષના ઉમેદવાર પાટીદાર હોય ત્યારે અન્ય સમાજના મત નિર્ણાયક બનતાં હોય છે. દરેક જ્ઞાતિ સમુદાય મોટાભાગે ભાજપતરફી હોવાનું વલણ દર્શાવતો રહ્યો છે.
સમસ્યાઓઃ
શહેરી વિસ્તાર હોવાથી અહીં ટ્રાફિકની સમસ્યા પહેલો ચર્ચાતો પ્રશ્ન છે. ટ્રાફિક આઈલેન્ડ અને સિગ્નલની સ્થિતિ સામે સ્થાનિકોની ફરિયાદ છે. પીવાલાયક પાણીની સમસ્યા રાજકોટમાં સૌથી વધુ હોવાનું અનુભવાય છે. આઈટી પાર્ક અને અમદાવાદના ગિફ્ટ સિટીની તર્જ પર ગારમેન્ટ પાર્ક વિકસાવવાની યોજના અમલમાં મૂકી શકાઈ નથી. રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગ અને સ્પેરપાર્ટ્સ મેન્યુફેક્ચરર્સને ફાયદો થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ ઓટો એક્સ્પો યોજવાની વાતો પણ આગળ વધી શકી નથી.
આ પણ વાંચો: #બેઠકપુરાણ જેતપુરઃ રાદડિયાને કોંગ્રેસ નહિ, ભાજપમાં રહેલી વિરોધી છાવણી નડવાની ભીતિ
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
આ બેઠક પરથી પહેલી વાર જીતેલાં અરવિંદ રૈયાણીને ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું પરંતુ વિવાદાસ્પદ છબી હોવાના કારણે અને પહેલી જ ટર્મ હોવા છતાં દબંગ અને મહત્વાકાંક્ષી પ્રકૃતિ છતી થઈ જવાના કારણે રૈયાણીની ટીકિટ કપાઈ ગઈ છે. તેમનાં સ્થાને પૂર્વ મેયર અને યુવાનેતા તરીકે સ્વચ્છ છબી ધરાવતા ઉદય કાનગડને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. જોકે સ્થાનિક સ્તરે પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ, સાંસદ મોકરિયા અને રૂપાણી જૂથ વચ્ચે અહંનો ટકરાવ કાનગડને પણ નડે તેવી શક્યતા જોવાઈ રહી છે.
હરીફ કોણ છે?
કોંગ્રેસે આખાબોલા અને ઉતાવળિયા સ્વભાવના મનાતા ઈન્દ્રનીલ રાજ્યગુરુને ફરીથી તક આપી છે. થોડો સમય આમઆદમી પાર્ટી સાથે આંટો મારીને ઘરવાપસી કરી ચૂકેલા ઈન્દ્રનિલ 2012ની ચૂંટણીમાં ભાજપના આંતરિક કલહનો લાભ મેળવી શક્યા હતા. આ વખતે પણ તેઓ ભાજપના જૂથવાદના કારણે પોતાને ફાયદો થવાનો આશાવાદ સેવી રહ્યા છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ જામનગર (દક્ષિણ): ભાજપની ટીકિટ એ જ ગાંધીનગરની ટીકિટ, ટ્રેન્ડ બદલાવાની શક્યતા નહિવત્ત
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીએ અહીં રાહુલ ભુવાની પસંદગી કરી છે પરંતુ સમગ્ર શહેરમાં ક્યાંય પણ આમઆદમી પાર્ટી કોઈ ચિત્રમાં હોવાનું ખાસ જણાતું નથી. છેવટે આ જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો જ બની રહે તો ભાજપે મહદ્ અંશે સરસાઈની જ ચિંતા કરવાની રહે એવું હાલ જણાય છે.
Advertisement