ગૂગલ પર ગુજરાતીમાં જેતપુર કિ-વર્ડ નાંખીએ અને મધ્ય ગુજરાતના પાવી જેતપુરની વિગતો મોટા પ્રમાણમાં જોવા મળે એને કઠણાઈ ગણવી કે ટેક્નોલોજીની બલિહારી એ આપણો વિષય નથી. રાજકોટ નજીકનું જેતપુર હજુ હમણાં સુધી જેતપુર (કાઠી) તરીકે વિખ્યાત હતું. વાળા વંશના કાઠી ક્ષત્રિયોનું આ રજવાડું ખાસ મોટું ન હોવા છતાં તેનાં પ્રતાપી શાસકોના કારણે આઝાદી પૂર્વે પ્રભાવશાળી ગણાતું હતું. જેતપુરના વાળા ક્ષત્રિયોના વંશજોએ જ આગળ જતાં બિલખા, ચુડા જેવા નાનાં ગરાસ મેળવ્યા હતા. લોકકથાઓના માધ્યમથી કિંવદંતી સમાન બની ગયેલાં ચાંપરાજ વાળા જેતપુરના હતા. આઝાદી પછી સાડી પ્રિન્ટિંગ અને ડાઈંગ ક્ષેત્રે અનોખું સ્થાન ધરાવતું જેતપુર અપેક્ષા મુજબ વિકસી શક્યું નથી પરંતુ તેની ઉદ્યોગ સાહસિકતાના કારણે હજુ પણ અઢળક શક્યતા ધરાવે છે.
Advertisement
Advertisement
મિજાજઃ
આશરે ચાર દાયકાથી આ બેઠક ભાજપનો ગઢ બની રહી છે અને તેનું શ્રેય ભાજપના સંઘર્ષકાળના દિગ્ગજ નેતા સ્વ. સવજીભાઈ કોરાટને આપવું પડે. ભાજપ હજુ શહેરી વિસ્તારોમાં માંડ પગપેસારો કરી રહ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારોમાં તેની ઓળખ ઊભી થવાની બાકી હતી ત્યારે સૌ પ્રથમ જેતપુરે ભાજપને આવકારો આપ્યો હતો. સવજીભાઈ પોતે ત્રણ વખત અહીં ધારાસભ્ય બન્યા અને તેમના અકાળે નિધન પછી તેમનાં પત્ની જસુબહેન ત્રણ વખત આ બેઠક પરથી જીત્યા. એ પછી દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડિયાનો યુગ શરૂ થયો. કોંગ્રેસના ઉમેદવાર તરીકે જયેશ રાદડિયાએ અહીં જીત મેળવી એ વખતે ભાજપનો ગઢ તૂટ્યાનો અણસાર જણાતો હતો, પરંતુ રાદડિયા પિતા-પુત્ર ચડતી કળા પારખીને ભાજપમાં જોડાયા અને એ રીતે ભાજપે ‘ગઢવી બદલીને ગઢ સાચવી લીધો’
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | સવજીભાઈ કોરાટ | ભાજપ | 32,088 |
2002 | જસુબહેન કોરાટ | ભાજપ | 16,230 |
2007 | જસુબહેન કોરાટ | ભાજપ | 12,193 |
2012 | જયેશ રાદડિયા | કોંગ્રેસ | 17,862 |
2013 | જયેશ રાદડિયા | ભાજપ | 52,906 |
2017 | જયેશ રાદડિયા | ભાજપ | 25,581 |
કાસ્ટ ફેબ્રિક
આ વિસ્તારમાં આશરે 45-48% પાટીદારો છે, જેમાં લેઉવા પાટીદારોનું પ્રમાણ સવિશેષ છે. 1962થી આજ સુધીની તમામ ચૂંટણીમાં અહીં લેઉવા પટેલ ઉમેદવારો જ જીત્યા છે. સંખ્યાની દૃષ્ટિએ બીજા નંબરે અહીં 15-17% દલિત સમુદાય છે. 7% કોળી અને 5% કાઠી સમાજ છે. આ દરેક સમુદાયો પાલિકા, પંચાયતની ચૂંટણીમાં જગ્યા મેળવે છે પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં દરેક પક્ષે લેઉવા પાટીદાર પર જ પસંદગી ઉતારવી પડે છે. કોંગ્રેસે અહીં કોળી, દલિત અને ક્ષત્રિય સમીકરણો બેસાડવા ઘણી મહેનત કરી છે પરંતુ પાટીદાર મતદારોની એકજૂટતા સામે એ પ્રયત્નો સફળ થયા નથી. વળી અહીં પાટીદાર વિરુદ્ધના સમીકરણો બેસાડવાના પ્રયાસોથી પાડોશની ધોરાજી સહિતની રાજકોટની બેઠકો પર વિપરિત અસર પડતી હોય છે.
આ પણ વાંચો: # બેઠકપુરાણ રાજકોટ (પશ્ચિમ): વજુભાઈ, વિજયભાઈ કે કોઈ પણ… ઉમેદવાર નહિ, અહીં કમળ જીતે છે
સમસ્યાઓઃ
જેતપુર વિસ્તારમાં ખેતી, ટ્રેડિંગ અને ડાઈંગ ઈન્ડસ્ટ્રિઝ એ ત્રણ મુખ્ય રોજગાર ગણાય છે. ત્રણેય ક્ષેત્રોમાં અપાર સમસ્યાઓ છે. ડાઈંગ ઈન્ડસ્ટ્રિઝ કોરોના પછી બહુ જ મુશ્કેલીમાં છે તેમાં જીએસટીના મુદ્દે ભારોભાર અસંતોષ પ્રવર્તે છે. જમીન ફળદ્રુપ છે પરંતુ ખેતી સંપૂર્ણપણે સિંચાઈ પર આધારિત છે અને વીજળીની સમસ્યા હજુ પણ ઉકેલી શકાઈ નથી. શહેરમાં નગર આયોજનના પણ એવાં મોટાં કામો થયા નથી. પરિણામે જેતપુર શહેર રાજકોટ-જૂનાગઢ હાઈ-વે પર હોવા છતાં તેનો ખાસ વિકાસ થઈ શક્યો નથી. રાજકીય પક્ષો ઉમેદવારને યેનકેન પ્રકારે જીતાડવામાં જેટલી મહેનત કરે છે એટલી મહેનત જેતપુરના વિકાસ માટે નથી કરતાં એવી સ્થાનિક લાગણી જોવા મળે છે.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
દિગ્ગજ પાટીદાર નેતા સ્વ. વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા આ વિસ્તારના ત્રણ ટર્મથી ચૂંટાતા ધારાસભ્ય છે. હવે ખુદની આગવી ઓળખ ઊભી કરી ચૂકેલા જયેશભાઈ સહકારી ક્ષેત્રે પણ ભારે વર્ચસ્વ ધરાવે છે. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી તેમની વિરોધી લોબી બોલકી બની હોવાથી પ્રધાનપદ છીનવાયા પછી હવે ધારાસભ્યપદ પણ જોખમમાં હોવાનું ગણાય છે. જોકે આજે વડાપ્રધાને તેમના ગામ જામકંડોરણાની મુલાકાત લીધી પછી રાદડિયાની ટિકિટ નિશ્ચિત હોવાનું કહેવાય છે. પરંતુ ભાજપમાં છેલ્લી ઘડી સુધી પત્તા બદલાઈ જવાની પૂરી શક્યતા હોય છે. રાદડિયાને ટીકિટ ફાળવવામાં આવે તો દરેક ચૂંટણી જેવી જ આ ચૂંટણી બની રહેશે. અન્યથા નવાજૂની થવાની શક્યતા નકારી શકાય નહિ.
આ પણ વાંચો: #બેઠકપુરાણ અમરેલી: શું ભાજપ કોંગ્રેસના પરેશ ધાનાણીના વિજયરથને રોકવામાં સફળ થશે?
હરીફ કોણ છે?
ગત ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન પર સવાર થઈને કોંગ્રેસે આ પંથકમાં જુવાળ જગાવ્યો હતો પરંતુ રાદડિયાની અંગત લોકપ્રિયતા સામે કોંગ્રેસની પહોંચ ટૂંકી પડી હતી. રાદડિયાનું માર્જિન અડધું થઈ ગયું હતું પરંતુ કોંગ્રેસને જીત મળી ન હતી. આ વખતે પાટીદાર આંદોલન નથી પરંતુ કોંગ્રેસ જો ડાઈંગ ઈન્ડસ્ટ્રિઝ અને ખેડૂતોના પ્રશ્નો ઊઠાવે તો હજુ ય કોંગ્રેસ માટે ચિત્રમાં પાછા ફરવાનું મુશ્કેલ નહિ હોય.
ત્રીજું પરિબળઃ
લેઉવા પાટીદારનો ગઢ હોવાથી આમઆદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ગોપાલ ઈટાલિયાએ અહીં પગપેસારો કરવા ખાસ્સી મહેનત કરી છે. ધોરાજી બેઠક માટે આપ દ્વારા પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે વિમર્શ કર્યા પછી વિપુલ સખિયાને ઉમેદવાર જાહેર કરાયા છે એ જ તર્જ પર આમઆદમી પાર્ટી એકાદ અઠવાડિયામાં જેતપુરના ઉમેદવાર પણ જાહેર કરે એવી શક્યતા છે. જોકે સમગ્ર ચૂંટણી પરિદૃષ્ય પર એથી વિશેષ ફરક પડે એ શક્યતા નહિવત્ત છે.
આ પણ વાંચો: #ઝીણી નજરે પોલિટિકલ ડ્રેસકોડઃ નેતાઓની નવી પેઢી ઝભ્ભાની મોનોપોલી ફગાવી રહી છે
Advertisement