સૌરાષ્ટ્રનું પેરિસ, સૌરાષ્ટ્રનું કાશી એવાં ઉપનામોથી નવાજાતું ગુજરાતનું આ પશ્ચિમી શહેર ત્યાંની પ્રસિદ્ધ બાંધણી જેવું ભાતીગળ અને કાજળ, સુરમા જેવું ગમતીલું છે. જામસાહેબોના નવાનગરનું નામ બદલાઈને જામનગર થયું પરંતુ શહેરનો હોંશીલો મિજાજ કદી બદલાયો નથી. જામ રણજી, વિનુ માંકડ, અજય જાડેજા અને રવીન્દ્ર જાડેજા જેવા ક્રિકેટરથી માંડીને મહાન આયુર્વેદાચાર્ય ઝંડુ ભટ્ટના આ શહેરે હરકીશન જોશી જેવાં ઉમદા કવિ પણ આપ્યાં છે. ભૌગોલિક રીતે ગુજરાતનું કોર્નર ગણાતું સિટી વિરલ રાચ્છ, જય વિઠલાણી જેવા કલાકારોના કારણે હવે રંગભૂમિનું કેન્દ્ર ગણાય છે. નજીકમાં જીએસએફસી, એસ્સાર અને બાદમાં રિલાયન્સ રિફાઈનરીના આગમન પછી ઝડપભેર વિકાસી રહેલું જામનગર નવા સીમાંકન પછી વિધાનસભાની બે બેઠકમાં વિભાજીત થયેલું છે. જામનગર દક્ષિણની બેઠક મહાનગરપાલિકાના દક્ષિણ દિશા તરફના શહેરી વિસ્તારનો સમાવેશ કરે છે જેમાં કુલ 2,29,344 મતદારો નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
વાત લાગણીની હોય કે વ્યવહારની, ચોખ્ખી અને સ્પષ્ટ વાત એ જામનગરની વિશેષતા છે અને રાજકીય મિજાજમાં પણ એ જ વલણ જોવા મળે છે. અહીં 1980માં કોંગ્રેસના એમ.કે.બલોચ જીત્યા એ પછી આજ સુધી ભાજપ સામે કોઈનો ગજ વાગ્યો નથી. અહીં મુસ્લિમ મતદારો નોંધપાત્ર હોવાથી કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવારને તક આપી ત્યારથી બાકીના દરેક સમુદાય ભાજપના મક્કમ સમર્થક બની રહ્યાં છે. વસંતભાઈ સંઘવી, પરમાણંદ ખટ્ટર અને વસુબહેન ત્રિવેદી આ બેઠક પરથી ત્રણ-ત્રણ વખત જીતી ચૂક્યા છે. મોટાભાગે અહીં મતદારોનું વલણ ભાજપતરફી હોવાથી ઉમેદવારે ખાસ ચિંતા કરવી પડતી નથી. અહીં ભાજપની ટીકિટ એ જ ગાંધીનગરની ટીકિટ ગણાય છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ભાવનગર (પશ્ચિમ): બે ટર્મથી જીત અપાવતા જીતુભાઈની હેટ્રિક સામે ક્ષત્રિયવટનો પડકાર
રેકોર્ડબુક
વર્ષ વિજેતા પક્ષ સરસાઈ
1998 પરમાનંદ ખટ્ટર ભાજપ 7715
2002 વસુબેન ત્રિવેદી ભાજપ 4965
2007 વસુબેન ત્રિવેદી ભાજપ 1080
2012 વસુબેન ત્રિવેદી ભાજપ 2862
2017 રણછોડભાઈ ફળદુ ભાજપ 16349
(છેલ્લાં બે પરિણામો નવા સીમાંકન પછીના છે)
કાસ્ટ ફેબ્રિક
આ બેઠક પર જ્ઞાતિ સમીકરણો બહુ રસપ્રદ ગણાય છે. અહીં 20% જેટલાં મુસ્લિમ મતદારો, 12% દલિત મતદારો છે, જે પરંપરાગત રીતે કોંગ્રેસની વોટબેન્ક મનાય છે. પરંતુ કોંગ્રેસના જ્ઞાતિ સમીકરણો સામે 9% પાટીદાર, 6% જૈન, 7% ક્ષત્રિય, 7% બ્રાહ્મણ અને 6% લોહાણા ભાજપની અડીખમ વોટબેન્ક છે. પૂર્ણતઃ શહેરી અને સવર્ણ મતદારોનું વિશાળ પ્રમાણ હોવાથી અહીં મતદારોનો ઝુકાવ મહદ્અંશે જમણેરી રહ્યો છે.
સમસ્યાઓઃ
શહેરી વિસ્તાર હોવાથી અહીં સમસ્યાઓ પણ મુખ્યત્વે ટ્રાફિક, પાર્કિંગ અને અન્ય આવશ્યક સુવિધાઓ સંબંધિત છે. બહુમાળી પાર્કિંગ ઝોનનો મુદ્દો હજુ ઉકેલાયો નથી. રાત્રિ બજારની માંગણી પણ લાંબા સમયથી યથાવત છે. જોકે અહીં ભાજપ પ્રત્યેનો અડીખમ ઝુકાવ જોતાં સમસ્યાઓ ગૌણ બની જાય છે.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
ભાજપના પૂર્વ પ્રદેશપ્રમુખ આર.સી. ફળદુ આ બેઠક પરથી સારા એવા માર્જિનથી જીત્યા હતા. આ વખતે ભાજપ છાપેલા કાટલાંને બદલે ખાતરીપૂર્વકની બેઠક પર નવાં, યુવાન અને સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારને તક આપે એવી ચર્ચા વચ્ચે ફળદુનું પત્તું કપાય એવી શક્યતા છે. એ સંજોગોમાં ઉદ્યોગપતિ જીતુ લાલ અને મહિલા ઉમેદવાર તરીકે શેતલબહેન શેઠ તેમજ મંજુલાબહેન હિરપરાના નામ પણ ચર્ચામાં છે. સૌથી વધુ ચર્ચા અહીં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબાની છે. જોકે રીવાબા પોતે દાવેદાર ન હોવાનું એકથી વધુ વખત સ્પષ્ટ કરી ચૂક્યાં છે.
હરીફ કોણ છે?
કોંગ્રેસ માટે અહીં મુશ્કેલી યથાવત છે. ભાજપનો ગઢ હોવાથી કોંગ્રેસને મજબૂત ઉમેદવાર મળતાં નથી. અસલમ ખીલજી આ બેઠકના દાવેદાર છે પરંતુ મુસ્લિમ ઉમેદવાર સામે બીજા તમામ સમુદાયોનું ધ્રુવીકરણ થતું હોવાથી કોંગ્રેસ અહીં પાટીદાર અથવા લોહાણા ઉમેદવાર પસંદ કરે એવી શક્યતા પ્રબળ છે. જોકે લાગલગાટ પરાજયોના પગલે કોંગ્રેસનું શહેર સંગઠન ખાસ મજબૂત જણાતું નથી એ બાબત પણ કોંગ્રેસના ઉમેદવાર માટે કપરાં જંગને વધુ મુશ્કેલ બનાવે તેમ છે.
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીએ આ શહેરી વિસ્તારમાં પગપેસારો કરવાની કોશિષ કરી છે પરંતુ અમદાવાદ, સુરત, વડોદરા જેવી કામિયાબી અહીં મળી નથી. જનતાનો સ્વયંભૂ પ્રતિસાદ પ્રોત્સાહક છે પરંતુ તેને મતમાં બદલી શકે એવાં સંગઠનનો અભાવ છે. છતાં આપ યોગ્ય ઉમેદવાર પસંદ કરીને એકતરફી જંગમાં થોડોક ઉત્સાહ ઉમેરી શકે છે.
Advertisement