ગુજરાત વિધાનસભાની બેઠકોમાં મતદારોની સંખ્યા સરેરાશ અઢીથી પોણા ત્રણ લાખ જેટલી હોય છે. તેની સામે ઓલપાડ મતવિસ્તારમાં 3,63,674 મતદારો નોંધાયેલાં છે. એ હિસાબે આ બેઠક જનસંખ્યાની દૃષ્ટિએ ગુજરાતની સૌથી મોટી પાંચ બેઠકોમાં સ્થાન પામે છે. અહીં ઓલપાડ તાલુકા ઉપરાંત ચોર્યાસી તાલુકાના 16 ગામો સામેલ છે. એ પૈકી અમરોલી, કોસાડ, મોટા વરાછા, ઉતરાણ જેવા ગામો સુરતની ભાગોળ હોવાથી અહીં મોટા પ્રમાણમાં રહેણાંક બની રહ્યાં છે. જેને લીધે આ મતવિસ્તાર ઝડપભેર ગ્રામ્યમાંથી અર્ધશહેરી અને શહેરી બનવા તરફ આગેકૂચ કરી રહ્યો છે.
Advertisement
Advertisement
મિજાજઃ
સ્થાનિક મતદારોએ 1980 પછી કોંગ્રેસને એવો જાકારો આપ્યો છે કે તેને અહીં પગ મૂકવાની સુદ્ધાં જગ્યા રહી નથી. લાગલગાટ ભાજપને એકધારી ચડિયાતી સરસાઈથી વિજય અપાવતા સ્થાનિક મતદારોનો મિજાજ ઉમેદવારના નામને બદલે કમળના પ્રતીક પર બટન દબાવવા ટેવાયેલો છે. ગત ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન વખતે અહીં રસાકસી થવાની સંભાવના વચ્ચે ભાજપના ઉમેદવાર તગડી સરસાઈથી જીત્યા હતા. જોકે આ વખતે ભાજપને આમઆદમી પાર્ટી તરફથી મક્કમ પડકાર મળે એવી પૂરી શક્યતા છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | ધનસુખ પટેલ | ભાજપ | 28,527 |
2002 | ધનસુખ પટેલ | ભાજપ | 4,117 |
2007 | કિરીટ પટેલ | ભાજપ | 88,161 |
2012 | મુકેશ પટેલ | ભાજપ | 37,058 |
2017 | મુકેશ પટેલ | ભાજપ | 61,812 |
કાસ્ટ ફેબ્રિક
આશરે 85,000 કોળી પટેલ સમુદાયના મતદારો ધરાવતી આ બેઠક પર પ્રથમ બે ચૂંટણીને બાદ કરતાં 11 વખત કોળી પટેલ સમાજના ઉમેદવાર જીત્યાં છે. અહીં તળપદા કોળીનું વર્ચસ્વ સવિશેષ છે. પછીના ક્રમે 62થી 65,000 પાટીદાર પણ અહીં નોંધપાત્ર અને પ્રભાવશાળી ગણાય છે. 50,000 મુસ્લિમ, 35,000 ઓબીસી અને 40,000 પરપ્રાંતિયો પણ અહીં ગેમચેન્જર બની શકે છે. મોટાભાગે કોળી સમુદાયની સામે અન્ય જ્ઞાતિ સમુદાયોનું સમીકરણો સાધવાનો પ્રયાસ થતો રહે છે પરંતુ કોળી સમુદાયનું મતદાન એકતરફી થતું હોવાથી અન્ય જ્ઞાતિના સંયોજનને સફળતા મળતી નથી.
આ પણ વાંચો: #બેઠકપુરાણ સુરત (પશ્ચિમ): પૂર્ણતઃ ભાજપનો ગઢ, પણ આ વખતે પૂર્ણેશ હશે?
સમસ્યાઓઃ
અર્ધ શહેરી વિસ્તાર હોવા છતાં અહીં જેટલી ઝડપે રહેણાંક મકાનો બની રહ્યાં છે એટલી માળખાગત સુવિધાઓ ઝડપી નથી. પરિણામે આડેધડ મકાનો, ખુલ્લી ગટરો, ગંદકી એ કાયમી સમસ્યા છે. ઓલપાડ તાલુકોના દરિયાકાંઠે કુદરતી ગેસ વિપૂલ પ્રમાણમાં મળવાના સર્વે થયા છે પરંતુ એ દિશામાં કોઈ નિશ્ચિત આયોજન થતું નથી. પરિણામે પંદર વર્ષ પહેલાં મોટા ઉદ્યોગો અહીં આવી જવા જોઈતાં હતાં એ હજુ ય આવ્યા નથી. રોજગારી માટે ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના યુવાનો સુરત પર જ નિર્ભર છે. પરંતુ સમસ્યાઓ છતાં અહીં સતત સત્તાધારી પક્ષના ઉમેદવારો જીતતા હોય તો તેનો અર્થ એવો થયો કે સ્થાનિકોને મન એ સમસ્યા નથી.
આ પણ વાંચો: #બેઠકપુરાણ વરાછા (સુરત શહેર): 14 મહિનાના જેલવાસનો ભાજપને 5 વરસ માટે ફટકો પડશે?
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
સ્થાનિક કોળી પટેલ સમાજના અધ્યક્ષ તરીકે મુકેશ પટેલ સળંગ બે ટર્મથી અહીં જીત્યા છે. મળતાવડા અને સરળપ્રાપ્ય હોવાની છાપ ધરાવતા મુકેશભાઈ ભાજપના સંગઠનનું પણ સમર્થન ધરાવે છે. પરંતુ આ ચૂંટણીમાં ભાજપ માટે નવા પડકારો ઊભા થયા હોવાથી નો રિપિટ થિયરી લાગુ થાય તો મુકેશભાઈના બદલે તેઓ સુચવે એવું નામ સામે આવે એ શક્યતા વધુ છે.
હરીફ કોણ છે?
વર્ષોથી આ બેઠક પર કોંગ્રેસે લડવાની જીજીવિષા ગુમાવી દીધી હોય એમ સ્થાનિક સ્તરે ન તો કોંગ્રેસનું કોઈ કર્મઠ સંગઠન છે કે ન તો કોઈ અસરકારક પ્રચાર પદ્ધતિ છે. કોંગ્રેસે આ વખતે દર્શન નાયકને ઉમેદવાર બનાવ્યા છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં અસરકારક સાબિત થયેલાં દર્શન નાયક મૃતઃપ્રાય સંગઠનમાં કેવોક જાન ફૂંકે છે એ જોવાનું રહેશે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ કરંજ (સુરત શહેર): ભરશિયાળે ભાજપને પરસેવો તો વળશે જ
ત્રીજું પરિબળઃ
કોંગ્રેસ કરતાં પણ આમઆદમી પાર્ટીના ઉમેદવાર ધાર્મિક માલવિયાના કારણે આ બેઠક પર સમગ્ર ગુજરાતની નજર રહેવાની છે. પાટીદાર આંદોલનના મુખ્ય ચહેરાઓ પૈકીના એક એવાં ધાર્મિક માલવિયા અહીં પાટીદારોની નારાજગી અને કેજરીવાલની છબીના સહારે પરિવર્તનની લહેર ઊભી કરવા અંગે આશાવાદી છે. યુવા પાટીદારોમાં તેમની લોકપ્રિયતા પણ નોંધપાત્ર છે. એ જોતાં ભાજપ માટે આ વખતે જંગી સરસાઈ તો ઠીક, બેઠક જાળવવાનો પડકાર જ મુખ્ય બની રહે તો નવાઈ નહિ
Advertisement