સુરતના શહેરી વિસ્તારના ચાર વોર્ડ ઉપરાંત તાલુકાના કેટલાંક ગામોને સમાવતી આ બેઠક પ્રમાણમાં નાની છે. ભવિષ્યના શહેરીકરણને ધ્યાનમાં રાખીને વરાછા, કતારગામમાંથી અલગ પડીને 2008ના નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી આ બેઠક પર અત્યાર સુધીમાં બે ચૂંટણી થઈ છે. હીરા અને એમ્બ્રોઈડરી ઉદ્યોગ સાથે સંકળાયેલાં લોકોના મધ્યમવર્ગીય વિસ્તાર તરીકે આ બેઠક આગવું મહત્વ ધરાવે છે. સુરતના બાકીના વિસ્તારોની સરખામણીએ અહીંની જરૂરિયાતો પણ અલગ છે પરંતુ અહીંનો રાજકીય ઝુકાવ મહદ્દ અંશે સમગ્ર સુરત સાથે મેળ ખાતો રહ્યો છે. આકરો શ્રમ કરીને નવી ઓળખ ઊભી કરનારા સૌરાષ્ટ્રના મહેનતકશ લોકોનો આ વિસ્તાર પોતે પણ ઝડપભેર આર્થિક, સામાજીક અને રાજકીય મોરચે નવી ઓળખ બનાવી રહ્યો છે.
Advertisement
Advertisement
મિજાજઃ
જૂની વરાછા અને કતારગામ બેઠકમાંથી અલગ પડ્યા પછી પણ આ મતવિસ્તારે જૂની બેઠકો જેવો મિજાજ જાળવી રાખ્યો છે. નવા સીમાંકન પછી યોજાયેલી બંને ચૂંટણીઓમાં અહીં ભાજપના ઉમેદવારને સફળતા મળી હતી. પાટીદાર અનામત આંદોલનની અસર અહીં વ્યાપક પ્રમાણમાં જોવા મળી હતી. ચૂંટણીપ્રચાર વખતે ભાજપના ઉમેદવારોને લોકો સોસાયટીમાં પ્રવેશ ન આપતાં હોય એવાં દૃષ્યો સામાન્ય ગણાતાં હતાં. પરંતુ પરિણામોમાં તેની કોઈ અસર જોવા મળી ન હતી. આ વખતે એવાં કોઈ નિર્ણાયક પરિબળની ગેરહાજરી છતાં ભાજપ માટે સ્થિતિ સાવ આસાન નહિ હોય.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
2012 | જનક બગદાણાવાલા | ભાજપ | 49,439 |
2017 | પ્રવિણ ઘોઘારી | ભાજપ | 35,598 |
કાસ્ટ ફેબ્રિક
60% પાટીદાર સમુદાય ધરાવતા આ વિસ્તારમાં મોટાભાગે ભાવનગર અને અમરેલી જિલ્લાના લેઉવા પટેલો સમાવિષ્ટ છે. આ ઉપરાંત આ બંને જિલ્લાના પંચોળી આહિર સમાજની વસ્તી પણ નોંધપાત્ર છે. એ સિવાય સૌરાષ્ટ્રના મોચી, દરજી, પ્રજાપતિ સમુદાયની વસ્તી પણ ખાસ્સી એવી છે. આ દરેક સમુદાય સૌરાષ્ટ્રના પોતાનાં વતનના ગામો સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હોવાથી સૌરાષ્ટ્રના મુદ્દાઓની અહીં વ્યાપક અસર પડે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ સુરત (પશ્ચિમ): પૂર્ણતઃ ભાજપનો ગઢ, પણ આ વખતે પૂર્ણેશ હશે?
સમસ્યાઓઃ
ઝડપભેર વિકસી રહેલાં આ મતવિસ્તારમાં પાણીના નિકાલ અને આડેધડ ટ્રાફિક તેમજ પાર્કિંગના અભાવની સમસ્યા મુખ્ય છે. નગર આયોજનની કોઈ સ્પષ્ટ દૂરંદેશી વગર આડેધડ વિકસી ગયેલી સોસાયટીઓના કારણે ગીચતા પણ વધી રહી છે. નિમ્ન મધ્યમવર્ગની જરૂરિયાતો મુજબની આવાસયોજનાઓમાં પાણીના નિકાલ કે ચોખ્ખાઈની દરકાર કરવામાં નથી આવી એ હવે ક્રમશઃ વરવું બનતું જાય છે.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
2012ની ચૂંટણીમાં અહીં જનક કાછડિયા (બગદાણાવાળા)એ ભારે માર્જિનથી જીત મેળવી હતી. પરંતુ પાટીદાર આંદોલનના પગલે ઊભી થયેલી નારાજગી તેમને નડશે એવી ધારણાથી ભાજપે અહીં પ્રવિણ ઘોઘારીને ઉતાર્યા હતા. ઘોઘારીના માર્જિનમાં ઘટાડો થયો હતો પરંતુ બેઠક બચી ગઈ હતી. આ વખતે ઘોઘારી પોતે પણ દાવેદાર છે અને બગદાણાવાલા પણ પોતાની બેઠક પાછી મેળવવા મોખરે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ નવસારીઃ ભાજપનો ગઢ, કોંગ્રેસની સાખ, AAPનો પડકાર… કોણ ફાવશે?
હરીફ કોણ છે?
કોંગ્રેસ વતી 2012માં ઊભેલાં જયસુખ ઝાલાવાડિયા પણ દાવેદારીમાં મોખરે છે. કોંગ્રેસ પાટીદાર સામે પંચોળી આહિર ઉમેદવારને ઉતારે એવી શક્યતા વર્તાતી હતી પરંતુ હવે આમઆદમી પાર્ટીએ પણ પાટીદારને ઉતારવાનું જાહેર કર્યું છે એ પછી કોંગ્રેસના ઉમેદવાર પણ પટેલ સમાજમાંથી જ હશે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ઉમરગામઃ પાટકરના પ્રભુત્વ સામે વારલીનો પડકાર કોંગ્રેસને ફળશે?
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીના મનોજ સોરઠિયા આ બેઠક પર ગેમ ચેન્જર બની શકે તેમ છે. મ્યુનિ. કોર્પોરેશનમાં ડંકે કી ચોટ પર ચૂંટાયા પછી સોરઠિયા સ્થાનિક સ્તરે બહુ જ સક્રિય રહ્યા છે. જેને લીધે તેમની લોકપ્રિયતા ખાસ્સી નોંધપાત્ર છે. પાટીદાર ઉપરાંત અન્ય સમુદાયમાંથી પણ તેઓ સમર્થન મેળવી શકે તેમ છે. મધ્યમવર્ગિય વિસ્તાર હોવાથી અહીં આમઆદમી પાર્ટીની 8 ગેરંટી વડે મતદારોનું દિલ જીતવાનો તેમનો પ્રયાસ રહેશે. એકંદરે સોરઠિયા આ બેઠક પર ભાજપને પરસેવો વાળવા સક્ષમ જણાય છે.
—
Advertisement