બાપુનગરના વિકાસ પછી 1990-2010 સુધી હીરા ઉદ્યોગની તેજીના કારણે બહારથી આવેલાં સૌરાષ્ટ્રવાસીઓ, પરપ્રાંતિયોએ જે વિસ્તારને રહેણાંક તરીકે પસંદ કર્યો એ નિકોલ. જૂનું નિકોલ ગામ હવે તો ઓળખી ન શકાય એવી કાયાપલટ પામી ચૂક્યું છે. નારોલ-નરોડા હાઈવે અને સરદાર પટેલ રિંગ રોડની વચ્ચેનો વિસ્તાર હોવાથી કનેક્ટિવિટીની દૃષ્ટિએ પણ નિકોલ પ્રાઈમ લોકેશન બની ગયું છે. ગાંધીનગર સાવ નજીક, અમદાવાદનું પરું કહેવાય અને રિંગરોડ, એક્સ્પ્રેસ વે પણ નજીક પડતાં હોવાથી રહેણાંક વિસ્તાર તરીકે નિકોલ બહુ ઝડપભેર વિકસીને હવે બાપુનગર કે ઠક્કરબાપાનગરથી પણ આગળ નીકળી જાય તેવી પૂરી શક્યતા છે. નવા સીમાંકન પછી નરોડા બેઠકનો કેટલોક હિસ્સો ઉમેરીને તેમજ જૂની રખિયાલ બેઠક રદ કરીને નિકોલ વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી છે. આ બેઠક અંતર્ગત અમદાવાદના ત્રણ વોર્ડ સમાવિષ્ટ છે. ભૌગોલિક રીતે આ મત વિસ્તાર ખાસ મોટો નથી. અહીં કુલ 2,31,586 મતદારો નોંધાયેલ છે.
Advertisement
Advertisement
મિજાજઃ
નવી અસ્તિત્વમાં આવેલી આ બેઠક પર બે ચૂંટણી થઈ છે અને બંનેમાં ભાજપના જગદીશ પંચાલ (વિશ્વકર્મા) વિજયી નીવડ્યા છે. અહીં મોટાભાગની વસ્તી સૌરાષ્ટ્ર, પરપ્રાંતિય અને ઉત્તર ગુજરાતની હોવાથી મિશ્ર રાજકીય મિજાજ જોવા મળે છે. ગત ચૂંટણીમાં પાટીદાર આંદોલનની તીવ્ર અસર અહીં જોવા મળી હતી. જેને લીધે ભાજપના ઉમેદવારની લીડ અડધી થઈ ગઈ હતી. આ વખતે પાટીદાર આંદોલનની ગેરહાજરીમાં મોટાભાગે ભાજપ તરફી હવામાન ઊભું થવાની અપેક્ષા હતી. પરંતુ ભાજપે ઉમેદવાર રિપિટ કર્યા હોવાથી હવે સ્થિતિ રસપ્રદ બની ગઈ છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
2012 | જગદીશ પંચાલ | ભાજપ | 48,712 |
2017 | જગદીશ પંચાલ | ભાજપ | 24,880 |
આ પણ વાંચો: #બેઠકપુરાણ ઘાટલોડિયા: વરરાજાને સવા લાખના ચાંદલાથી ઓછું કંઈ ન ખપે
કાસ્ટ ફેબ્રિક
આશરે 45,000 પાટીદાર આ મત વિસ્તારમાં સૌથી વધુ નિર્ણાયક છે. પછીના ક્રમે 40-42 હજાર મુસ્લિમ મતદારો નોંધપાત્ર ગણાય છે. પરંતુ 25,000 ક્ષત્રિયો અને 25,000 જેટલાં ઓબીસી મતદારોનું કોમ્બિનેશન સ્થાનિક સ્તરે દલિત-મુસ્લિમ સમીકરણ પર ભારે પડતું રહે છે. પાડોશની બેઠકો પર પાટીદારને ટીકિટ આપીને અહીં ઓબીસી ઉમેદવાર ઉતારવાનો વ્યુહ પણ કારગત નીવડતો હોય છે.
સમસ્યાઓઃ
નવો વિકસી રહેલો વિસ્તાર હોવાથી માળખાગત સુવિધાઓનો અભાવ ઠેરઠેર જોવા મળે છે. આંતરિક રસ્તાઓની અતિશય બિસ્માર હાલત, ચારેબાજુ સતત ચાલતાં ખોદકામ અને વરસાદી પાણીના નિકાલની સમસ્યા સૌથી વિશેષ છે. આ ઉપરાંત સ્વચ્છતા, ગેરકાયદે દબાણ જેવા પાલિકા સ્તરના પ્રશ્નો પણ મુખ્ય ગણાય.
આ પણ વાંચો: #બેઠકપુરાણ બાપુનગર: કોંગ્રેસે દર્શાવેલ ‘હિંમત’ પછી હવે પાટીદારોનો ઝુકાવ નિર્ણાયક
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
અમદાવાદ શહેરમાં ભાજપે ત્રણ જ ધારાસભ્યોને રિપિટ કર્યા તેમાં જગદીશ વિશ્વકર્માનો સમાવેશ આશ્ચર્ય પમાડનારો ગણાય છે. કારણ કે સ્થાનિક સ્તરે જનસંપર્ક ઓછો હોવાની તેમની સામે વ્યાપક ફરિયાદો થયેલી છે. નિકોલના પ્રશ્નોના નિરાકરણ માટે તેમણે ખાસ રસ દાખવ્યો નથી અને સતત ભાજપની આંતરિક રાજનીતિમાં જ રચ્યાપચ્યા રહેતાં હોવાની છાપ છતાં તેમને રિપિટ કરાયા છે. જોકે શહેર ભાજપ પ્રમુખ રહી ચૂક્યા હોવાથી જગદીશ પંચાલ સંગઠનને સાથે રાખી શકે છે.
હરીફ કોણ છે?
કોંગ્રેસે આ બેઠક પર રણજીતસિંહ બારડને ઉતારીને ક્ષત્રિય, દલિત, મુસ્લિમ સમીકરણ બનાવવા પ્રયાસ કર્યો છે. સ્થાનિક સ્તરે રણજીત બારડની છબી સ્વચ્છ અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર તરીકેની છે. જોકે સંગઠનનો અભાવ એ કોંગ્રેસને દરેક બેઠકની માફક અહીં પણ નડતરરૂપ છે. છતાં વર્તમાન ધારાસભ્ય સામેનો અસંતોષ કોંગ્રેસ માટે જમાપાસું બને તેવી પૂરી શક્યતા છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ દરિયાપુર: ગ્યાસુદ્દિનની હેટ્રિક અને ભાજપની આશા હસનલાલાની બેટિંગ પર નિર્ભર
ત્રીજું પરિબળઃ
આમ આદમી પાર્ટીએ અહીં અશોક ગજેરાને ઉમેદવાર બનાવ્યા છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના પાટીદારોની અહીં મોટી સંખ્યા હોવાથી ગજેરા જ્ઞાતિવાદી સમીકરણોમાં પણ ફીટ બેસે છે અને અહીં આમઆદમી પાર્ટી તરફે સ્વયંભૂ જુવાળ જોવા મળે છે. એ જોતાં આપ આ બેઠક પર ગેમ ચેન્જર બની શકે છે. આપના ઉમેદવાર જેટલો વકરો કરશે એટલો ભાજપનો વકરો ઘટવાનો છે.
Advertisement