અમદાવાદનો ‘જબ કુત્તે પે સસ્સા આયા’ વાળો મિજાજ જો કોઈ એક વિસ્તારે પચાવ્યો હોય તો એ છે ખાડિયા. સાંકડી શેરીઓ અને ભૂલભૂલામણી જેવી પોળ એ ખાડિયાની ઓળખ હોય તો બગાવત એ ખાડિયાનો મિજાજ છે. નવા સીમાંકન પછી આ બેઠકમાં પાડોશની જમાલપુર બેઠક પણ ભળી છે. સરવાળે આ એક એવી બેઠક છે જ્યાં આસા ભીલની રાજધાની આસ્ટોડિયા, કર્ણદેવની કર્ણાવતી અને અહમદશાહ બાદશાહનું જમાલપુર એમ ત્રણેય સંસ્કૃતિ સહિયારી જોવા મળે છે. કોટન મિલની ચડતી કળાના જમાનામાં જમાલપુર કાપડ રંગવાના વ્યવસાયના કારણે ધમધમતો વિસ્તાર ગણાતો હતો. રંગરેજ કામ સાથે સંકળાયેલા મુસ્લિમ છીપાઓ અને હિન્દુ ભાવસાર સમુદાયની અહીં બોલબાલા હતી. એંશીના દાયકામાં હાઉસિંગ બોર્ડે નારણપુરા, સોલા વિસ્તાર વિકસાવ્યા પછી પોળમાં વસતાં મોટાભાગના હિન્દુઓ સ્થળાંતર કરી ચૂક્યા છે. હવે અહીં મુસ્લિમ વસ્તી બહુમતીમાં છે. એક સમયે ફક્ત ખાડિયા બેઠક આશરે દોઢ લાખ મતદાર ધરાવતી હતી. હવે જમાલપુર ખાડિયા સહિયારી બેઠક છે તો પણ અહીં કુલ 1,98,179 મતદારો નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
આઝાદી આંદોલન હોય કે મહાગુજરાત, નવનિર્માણ હોય કે અનામત વિરોધી આંદોલન, હરહંમેશ મોખરે રહેવાની ખાડિયાની તાસિર અમદાવાદમાં જ નહિ, ગુજરાતભરમાં વિખ્યાત હતી. ભાજપનું પહેલું કાર્યાલય ખાડિયામાં હતું એ હિસાબે કહી શકાય કે ભાજપે અહીંથી જ પગરણ માંડીને ગુજરાત પછી આજે દિલ્હી કબજે કર્યું છે. અહીંની વિખ્યાત પાટીયા પાર્લામેન્ટનો ય એક જમાનો હતો. ભાજપના દિગ્ગજ નેતા અશોક ભટ્ટ અહીંના નિર્વિવાદ નેતા ગણાતા હતા. જોકે મૂળ ખાડિયાવાસીઓ 1990 આસપાસ ક્રમશઃ નારણપુરા, સોલા રોડ પર સ્થળાંતરિત થવા લાગ્યા એ પછી અહીં રાજકીય મિજાજ પણ પલટાઈ રહ્યો છે. નવા સીમાંકન પછી હવે જમાલપુરના મિજાજનો અહીં દબદબો વધી રહ્યો છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
2012 | ભૂષણ ભટ્ટ | ભાજપ | 6,331 |
2017 | ઈમરાન ખેડાવાલા | કોંગ્રેસ | 29,339 |
(નવા સીમાંકન પછી આ બેઠક અસ્તિત્વમાં આવી હોવાથી અહીં અત્યાર સુધીમાં બે ચૂંટણી યોજાઈ છે)
આ પણ વાંચો: #બેઠકપુરાણ દાણીલીમડા: ગઢ કોંગ્રેસનો, સૈન્ય AAP+AIMIMનું, વિજેતા થવાનાં ઓરતાં ભાજપને
કાસ્ટ ફેબ્રિક
આશરે 1,30,000 મુસ્લિમો ધરાવતી આ બેઠક પર 30,000 જેટલાં મુસ્લિમ છીપા સમુદાયનું વર્ચસ્વ રહ્યું છે. ઉસ્માન ગની દેવડીવાલા આ સમાજના લોકપ્રિય નેતા ગણાતાં હતા. 70-80 હજાર હિન્દુઓમાં દલિતોનું પ્રમાણ મુખ્ય છે. જૂની ખાડિયા બેઠકના મિજાજ અનુસાર હિન્દુ મતદારો ભાજપની તરફે એકજૂટ મતદાન કરવા ટેવાયેલા છે. એ સંજોગોમાં મુસ્લિમ મતોનું વિભાજન એ ભાજપ માટે આ બેઠક જીતવાનું એકમાત્ર હથિયાર મનાય છે.
સમસ્યાઓઃ
આડેધડ બાંધકામ, ગીચ અને તદ્દન અરાજક ટ્રાફિક એ મુખ્ય સમસ્યા છે. એ સિવાય પોળ વિસ્તાર હોવાથી હેરિટેજના નિયમોના કારણે જૂનાં મકાનોના સમારકામમાં પણ અનેક કાયદાકીય અડચણો સ્થાનિક રહિશો માટે બોજારૂપ બને છે. જીએસટીના અનિયમિત દર સામે આ વિસ્તારમાં વેપારીઓમાં ઉગ્ર આંદોલન અને ખાતરીઓ પછી હજુ ય અસંતોષ છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ મહેમદાવાદઃ વિખ્યાત ભમ્મરિયા કૂવામાં ડૂબેલી કોંગ્રેસ આ વખતે બહાર નીકળી શકશે?
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા છીપા સમુદાયના અને લોકપ્રિય મનાય છે. સતત સક્રિય રહીને મજબૂત જનસંપર્ક જાળવતા ધારાસભ્ય તરીકેની તેમની છબી રહી છે. કોરોના કાળમાં ખેડાવાલાની કામગીરી બહુ સરાહનીય રહી હતી એ ફળવાની તેમને આશા છે. જોકે શાહનવાઝ શેખની દાવેદારી અને તેમના ટેકેદારોએ કોંગ્રેસ કાર્યાલયમાં કરેલી તોડફોડને લીધે કોંગ્રેસની આપસી જૂથબંધી તેમને સારી પેઠે નડી શકે તેમ છે.
હરીફ કોણ છે?
આ બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય બનેલાં ભુષણ ભટ્ટને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. વિવાદાસ્પદ વર્તણુંક ધરાવતા ભુષણ ભટ્ટ હિન્દુ મતદારોનું ધ્રુવીકરણ કરાવી શકશે કે કેમ એ વિશે સ્થાનિક સંગઠનમાં જ મતભેદ પ્રવર્તે છે. 2012માં કોંગ્રેસની આપસી જૂથબંધી અને નબળા ઉમેદવાર સામે સાબિર કાબલીવાલાએ મેળવેલા 30 હજારથી વધુ મત ભુષણ ભટ્ટને ફળ્યા હતા. આ વખતે પણ તેઓ એનું પુનરાવર્તન થવાની આશા રાખી રહ્યા છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ માતરઃ દિગ્ગજની પ્રતિષ્ઠા સામે નવોદિતની લોકપ્રિયતાનો જંગ
ત્રીજું પરિબળઃ
2012માં કોંગ્રેસને નડેલા સાબિર કાબલીવાલા આ વખતે AIMIMના ઉમેદવાર તરીકે મેદાનમાં છે. ખેડાવાલાની માફક તેઓ પણ છીપા સમાજના હોવાથી અન્ય મુસ્લિમ મતદારોનું વલણ બહુ નોંધપાત્ર બનશે. આ વિસ્તારમાં કોર્પોરેશનની ચૂંટણીમાં AIMIMને સારી એવી સફળતા મળી હતી. કાબલીવાલાને એ સહાયભૂત થાય એવી શક્યતા છે. જો કાબલીવાલા આ વખતે પણ 25 હજારથી વધુ મત લઈ જશે તો કોંગ્રેસને ભારે પડી શકે છે. આમઆદમી પાર્ટીના ઉમેદવાર હારુન નાગોરી ખાસ નોંધપાત્ર નથી પરંતુ છીપા સિવાયના મુસ્લિમ મતદારો નિર્ણાયક હોવાથી નાગોરી તેમાં થોડીક ફાચર મારે એ પણ કોંગ્રેસને નડી શકે છે. એકંદરે ભાજપનો સઘળો મદાર AIMIM અને AAPના ઉમેદવાર પર નિર્ભર છે
Advertisement