ગઈ સદીના પહેલાં દાયકામાં કોટન મિલની તેજી સાથે અમદાવાદમાં નવા શ્રેષ્ઠીઓ ઊભરવાનો આરંભ થયો. હઠીસિંહ પરિવાર, મફતલાલ ગગલદાસ પરિવાર, મગનલાલ ગિરધરદાસ, લાલભાઈ પરિવાર જેવાં અમદાવાદના જૂનાં શ્રેષ્ઠીઓ જૂનાં અમદાવાદ શહેરથી દૂર શાહીબાગ જેવા નયનરમ્ય વિસ્તારમાં આલિશાન બંગલાઓ ધરાવતા હતા. એ જોઈને નવા શ્રેષ્ઠીઓ, ધનાઢ્ય તબીબો, બેરિસ્ટરોએ સાબરમતીના બીજા છેડે વિખ્યાત એલિસબ્રિજની બહાર વિશાળ જગ્યાઓ લઈને ત્યાં બંગલા બાંધ્યાં. એવાં જ એક જીવણલાલ બેરિસ્ટરના બંગલામાં ગાંધીજીએ ભારત ખાતે પહેલો આશ્રમ સ્થાપ્યો હતો, જે આજે કોચરબ આશ્રમ તરીકે વિખ્યાત છે. એ બંગલાની ભવ્યતા જોઈને પણ એલિસબ્રિજ વિસ્તારના જૂનાં બંગલાઓનો અંદાજ આવી શકે છે. હવે એ બંગલાઓ તૂટીને ત્યાં રહેણાંક સોસાયટીઓ કે બહુમાળી કમર્શિયલ બિલ્ડિંગ બની ચૂક્યાં છે પરંતુ આજે પણ ખરાં અર્થમાં અમદાવાદના પોશ એરિયાનો દરજ્જો એલિસબ્રિજે યથાવત સાચવી રાખ્યો છે. ન્યૂયોર્ક પાસે મેનહટ્ટન છે, લંડન પાસે ટ્રફાલ્ગર સ્ક્વેર છે એમ અમદાવાદ પાસે એલિસબ્રિજ છે. વિસ્તારની માફક એલિસબ્રિજ વિધાનસભા સીટ પણ તેનાં શાલીન, શિક્ષિત અને અભ્યાસુ ધારાસભ્યો માટે જાણીતી છે. કુલ 2,66,140 મતદારો ધરાવતો આ વિસ્તાર મહાનગરપાલિકાના ચાર વોર્ડ સમાવે છે.
Advertisement
Advertisement
મિજાજઃ
ગુજરાતની કદાચ આ એકમાત્ર એવી બેઠક છે જ્યાં પ્રથમ વિધાનસભાથી લઈને 2017ની છેલ્લી ચૂંટણી સુધી માત્ર બ્રાહ્મણ અને જૈન ધારાસભ્યો જ ચૂંટાયા છે. એટલે પહેલો મિજાજ સવર્ણ ઉમેદવાર તરફી ગણવો પડે. 1995થી અહીં સતત ભાજપ જ જીતે છે અર્થાત્ આ મતવિસ્તાર શાસક પક્ષ તરફી વલણ ધરાવે છે. બાબુભાઈ વાસણવાલા અહીં ત્રણ અલગ અલગ પક્ષમાંથી કુલ ચાર વખત જીત્યા હતા. હરેન પંડ્યા બે વખત અને વર્તમાન ધારાસભ્ય રાકેશ શાહની આ ત્રીજી ટર્મ છે. ઉમેદવારને રિપિટ કરવા અને તગડું માર્જિન આપવું એ સ્થાનિક મતદારોની તાસિર રહી છે. 1980માં બાબુભાઈ વાસણવાલા માત્ર 802 મતે જીત્યા એ એક અપવાદને બાદ કરતાં અહીં હંમેશા વિજેતા ઉમેદવાર પાંચ આંકડાના માર્જિનથી જીત્યા છે અને હવે એ માર્જિન છ આંકડે પહોંચવા આવ્યો છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | હરેન પંડ્યા | ભાજપ | 64,520 |
2002 | ભાવિન શેઠ | ભાજપ | 57,790 |
2007 | રાકેશ શાહ | ભાજપ | 62,243 |
2012 | રાકેશ શાહ | ભાજપ | 76,672 |
2017 | રાકેશ શાહ | ભાજપ | 85,205 |
આ પણ વાંચો: #બેઠકપુરાણ ઘાટલોડિયા: વરરાજાને સવા લાખના ચાંદલાથી ઓછું કંઈ ન ખપે
કાસ્ટ ફેબ્રિક
આ મતવિસ્તારમાં 60,000 બ્રાહ્મણ, 40,000 જૈન, 50,000 ઓબીસી, 25,000 દલિત અને 10,000 મુસ્લિમો છે. ગુજરાતની મોટાભાગની બેઠકોની સરખામણીએ આ બહુ જ વિશિષ્ટ કાસ્ટ ફેબ્રિક છે. અહીં પાટીદાર મતદારો ખાસ નોંધપાત્ર નથી. દલિત કે મુસ્લિમ સમીકરણ પણ અહીં બિલકુલ ચાલતું નથી. આથી બંને પક્ષો વાણિયા અથવા બ્રાહ્મણને જ ટીકિટ આપતાં રહે છે. મતદારો ઉચ્ચ શિક્ષિત હોવાથી અહીં ઉમેદવાર પણ શિક્ષિત અને સ્વચ્છ છબી ધરાવતા હોય તે જરૂરી બની જાય છે.
સમસ્યાઓઃ
ધનાઢ્ય વિસ્તાર હોવાથી અહીં રસ્તા, વીજળી, ગટર કે પાણીના નિકાલ જેવી સમસ્યાઓ નથી પરંતુ રહેણાંક વિસ્તારોમાં કમર્શિયલ બાંધકામોની આડેધડ મંજુરી સામે સ્થાનિક સ્તરે ખાસ્સી નારાજગી પ્રવર્તે છે. તેને લીધે શાંત, સુઘડ સોસાયટીઓ કોલાહલ અને ગીચ ટ્રાફિકમાં બદલાઈ રહી છે. જૂની સોસાયટીના રિડેવલપમેન્ટ પ્લાન માટેના નિયમોમાં સરકાર દ્વારા મોકળાશ આપવામાં આવે એવી માંગણી પણ લાંબા સમયથી પેન્ડિંગ છે. સોસાયટીની બહારનો રસ્તો જો 60 ફૂટથી પહોળો ન હોય તો એ સોસાયટીનું રિડેવલપમેન્ટ ન થઈ શકે એવાં નિયમના કારણે પચાસ, સાંઠ વર્ષ જૂની અનેક સોસાયટીઓ બિસ્માર હાલતમાં છે. મુસ્લિમોની વસ્તી વધી રહી હોવાનો ભાજપના સમર્થકોનો કચવાટ પણ બહુ બોલકો છે જેને લીધે વર્તમાન ધારાસભ્ય રાકેશ શાહની ટીકિટ આ વખતે કપાઈ હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ દરિયાપુર: ગ્યાસુદ્દિનની હેટ્રિક અને ભાજપની આશા હસનલાલાની બેટિંગ પર નિર્ભર
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
મ્યુનિ. કોર્પોરેટરમાંથી ધારાસભ્ય બનેલા રાકેશ શાહ તેમનાં સૌમ્ય અને મિલનસાર સ્વભાવના કારણે ત્રણ ટર્મ સુધી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી શક્યા હતા. હવે તેમના બદલે શહેર ભાજપના કદાવર નેતા અમિત શાહને ટીકિટ આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જૂના ખેલાડી તરીકે અમિત શાહ માત્ર એલિસબ્રિજ જ નહિ, શહેરના દરેક ખૂણે મજબૂત જનસંપર્ક ધરાવે છે. ભાજપના ટ્રબલશૂટર તરીકે કાર્યકરોમાં લોકપ્રિય અમિતભાઈની ટીકિટ માટે લાંબા સમયથી માંગણી હતી જે આ વખતે સંતોષાઈ છે. સ્વાભાવિક રીતે જ તેઓ રેકોર્ડ માર્જિનથી જીતવા પ્રયત્નશીલ છે.
હરીફ કોણ છે?
કોંગ્રેસે પહેલી જ વાર અહીં સ્થાનિક ઉમેદવારને તક આપી છે. ભીખુ દવે અહીં મૂલ્યનિષ્ઠ નેતા તરીકે ખાસ્સા લોકપ્રિય અને જનતાની વચ્ચે રહેનારા નેતા ગણાય છે. પાલડી વોર્ડના કોર્પોરેટર તરીકે તેમની કામગીરી લોકો આજે પણ યાદ કરે છે. કોંગ્રેસનું સ્થાનિક સંગઠન અત્યંત નબળું છે પરંતુ ભીખુભાઈ પોતાની અંગત લોકપ્રિયતાના જોરે ચૂંટણી લડી રહ્યા છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ જમાલપુર ખાડિયા: કાબલીવાલાના 25 હજાર પ્લસ મત પર ભાજપ-ભુષણ નિર્ભર
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીના ઉમેદવાર પારસ શાહ પણ સેવાભાવી વ્યક્તિ તરીકે અહીં જાણીતા છે. ગરીબોમાં દવા, અનાજ કીટ વિતરણ, શિયાળામાં ધાબળા વિતરણ જેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. કોરોના કાળમાં પણ તેમણે ઉમદા કામગીરી કરી હોવાનું સૌ જાણે છે. આ ધનિક વિસ્તારમાં આપ દ્વારા અપાતાં મફતના વચનો ખાસ અપીલ કરે તેમ નથી પરંતુ સેવાભાવી ઉમેદવાર હોવાના કારણે પારસ શાહ ચોક્કસ નોંધપાત્ર મત મેળવી શકે છે. અલબત્ત મુખ્ય જંગ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ લડાશે જેમાં ભાજપ પોતાનો ગઢ જાળવી રાખે એવી પૂરી શક્યતા હાલ વર્તાય છે
Advertisement