એક એવું શહેર જેનો ઉલ્લેખ સ્કન્દપુરાણમાં પણ છે અને ગ્રીક સમ્રાટ એલેક્ઝાન્ડરના ઈતિહાસકાર પેરડિક્કાસના પ્રવાસવર્ણનોમાં પણ છે. મુસ્લિમ ઈતિહાસકારો પણ તેને ઓળખે છે અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના દફતરોમાં પણ એ નામ નોંધાયેલું છે. મરાઠાઓનો ઈતિહાસ પણ આ શહેરને ઓળખે છે. રસપ્રદ બાબત એ છે કે દરેક ઈતિહાસનામામાં તેનું નામ અલગ છે. સ્કન્દપુરાણમાં તે ભૃગુકચ્છ છે. ગ્રીકો તેને બાર્ગોસા તરીકે ઓળખતા હતા. મુસ્લિમ ઈતિહાસકારોએ તેને ભરૂચ નામ આપ્યું હતું. મરાઠાઓ તેને ભાડોચ તરીકે ઓળખતા હતા. અંગ્રેજોએ તેને બ્રોચ નામ આપ્યું હતું, જે આજે ય રેલવેના ચોપડે જડી શકે છે. મહર્ષિ ભૃગુની તપોભૂમિ તરીકે નર્મદા કાંઠે આવેલું આ શહેર સેંકડો વર્ષોની સમયકથાઓ સાચવીને બેઠું છે. ગુજરાતમાં મુસ્લિમોની સૌથી વધુ સંખ્યા ધરાવતા જિલ્લાની ઓળખ ધરાવતું ભરૂચ વિધાનસભા બેઠકક્રમાંક 153 સાથે જનરલ કેટેગરીમાં આવે છે. ભરૂચ શહેર, તાલુકા ઉપરાંત અંકલેશ્વર તાલુકાના કેટલાંક ગામો સાથે અહીં કુલ 2,89,620 મતદારો નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
મુસ્લિમોની વિશાળ વસ્તી છતાં આ મતવિસ્તાર પર ભાજપનો અખંડ દબદબો છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને હરાવીને ભાજપના ચંદુભાઈ દેશમુખ અહીંથી જીત્યા એ પછી એકપણ અપવાદ વગર ભાજપે વિધાનસભા બેઠક પણ વધતી સરસાઈથી જાળવી રાખી છે. નવા સીમાંકન પછી મુસ્લિમ વસ્તી ધરાવતા કેટલાંક ગામો અંકલેશ્વર બેઠકમાં સમાવાયા એ પછી તો ભાજપનો ગઢ વધુ મજબૂત બન્યો છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | બિપીનભાઈ શાહ | ભાજપ | 8,371 |
2002 | રમેશભાઈ મિસ્ત્રી | ભાજપ | 11,003 |
2007 | દુષ્યંતભાઈ પટેલ | ભાજપ | 8,364 |
2012 | દુષ્યંતભાઈ પટેલ | ભાજપ | 37,190 |
2017 | દુષ્યંતભાઈ પટેલ | ભાજપ | 33,099 |
કાસ્ટ ફેબ્રિક
આશરે 60,000 મુસ્લિમોની વસ્તી ધરાવતા આ મતવિસ્તારમાં અનુસુચિત જાતિ/જનજાતિ પણ 50,000 જેટલી સંખ્યા ધરાવે છે. એ સિવાય ઓબીસીમાં સમાવિષ્ટ વિવિધ જ્ઞાતિ સમુદાયોની સંખ્યા પણ 50,000 જેટલી છે. તેની સામે 25,000 જેટલાં પાટીદારો પણ નિર્ણાયક ગણાય છે. ઓબીસી અને પાટીદાર એ ભાજપની કાયમી વોટબેન્ક ગણાય છે. જ્યારે કોંગ્રેસ મુસ્લિમ અને આદિવાસી મતદારો પર મદાર રાખતી હોય છે. જોકે ભાજપ હવે આદિવાસી સમૂહમાં પણ પ્રભાવ ઊભો કરી ચૂક્યો છે. એટલે આ બેઠક જીતવાનું મિશન કોંગ્રેસ માટે કાયમ ઈમ્પોસિબલ જ રહે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ વાગરાઃ કોંગ્રેસના ગઢમાં હવે ભાજપનો હોંકારો સંભળાવા લાગ્યો છે
સમસ્યાઓઃ
ભરૂચને વિશાળ નર્મદાકાંઠો મળ્યો છે અને છતાં ય આ શહેર પીવાલાયક પાણીની સમસ્યાથી પીડિત હોય એ દુર્ભાગ્ય ગણવા પડે. શહેરી વિસ્તાર હોવા છતાં આયોજનપૂર્વકના શહેરીકરણનો અહીં સદંતર અભાવ છે. ગંદકી અને ગંદા પાણીના નિકાલની સમસ્યા કાયમી છે. મોટા ઔદ્યોગિક એકમો અને કેમિકલ ઝોનના કારણે હવાના પ્રદુષણની સમસ્યા પણ અહીં વકરેલી છે. નવા બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 50 હેક્ટર જમીન પર ગ્રીન કોરિડોર જેવી યોજનાઓ અમલમાં મૂકી શકાઈ નથી.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
ત્રણ ટર્મથી ચૂંટાતા દુષ્યંત પટેલ અહીં લોકપ્રિય ધારાસભ્ય છે. સ્થાનિક સ્તરે નોંધપાત્ર જનસંપર્ક ધરાવે છે અને હાલ વિધાનસભામાં ભાજપના ઉપ દંડક છે. જોકે આ વખતે નો રિપિટ થિયરીમાં દુષ્યંત પટેલનું પત્તુ કપાય એવી ચર્ચા પણ વ્યાપક છે. હાલમાં જ ભાજપના નિરીક્ષકો સમક્ષ કુલ 15 લોકોએ આ બેઠક માટે દાવેદારી કરી છે. જેમાં પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને મહિલા ઉમેદવાર તરીકે ડો. સુષ્મા ભટ્ટ તેમજ શૈલા પટેલના નામો મુખ્ય ગણાય છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ વલસાડઃ અહીં જીતે એ પક્ષ ગુજરાત જીતે એ કિંવદંતી સાચી કે ખોટી પડવાનો અવસર
હરીફ કોણ છે?
ટોચના નેતા અહમદ પટેલનું વતન હોવા છતાં એકધારા પરાજયના પગલે તાલુકા, જિલ્લા સ્તરે કોંગ્રેસનું સંગઠન ખાસ પ્રભાવશાળી રહ્યું નથી. અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અથવા પુત્રી સક્રિય રાજનીતિની આનાકાની કરતાં હોવાં છતાં કોંગ્રેસના મુખ્ય દાવેદાર મનાય છે. જોકે વ્યપક જનસંપર્ક અને જ્ઞાતિ સમીકરણો સંતુલિત કરે તેવા ઉમેદવારના અભાવમાં કોંગ્રેસ માટે આ બેઠક જીતવાનું સપનું સેવવું પણ દોહ્યલું છે.
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીએ અહીં દલિત નેતા મનહર પરમારને મેદાનમાં ઉતાર્યા છે જેમનો પ્રભાવ તાલુકા કક્ષાએ નહિવત્ત છે. એ જોતાં આ બેઠક પર ભાજપને સરસાઈ ઘટવાનો પણ પ્રશ્ન નડે તેમ લાગતું નથી. MIM અહીં ઉમેદવાર ઉતારે એવી પૂરી શક્યતા છે જે છેવટે કોંગ્રેસ માટે નડતરરૂપ બની શકે છે.
આ પણ વાંચો: # બેઠકપુરાણ ઠાસરાઃ ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજાના પક્ષમાંથી આવેલાં પરમાર પર નિર્ભર
Advertisement