આશાવલી, કર્ણાવતી, અહમદઆબાદ અને આજના આધુનિક અમદાવાદ સુધીની આ શહેરની સફરમાં કોઈ એક વિસ્તારે સૈકાઓથી પોતાની ઓળખ એકસરખી જાળવી રાખી હોય તો એ અમરાઈવાડી છે. આજથી સાતસો વર્ષ પહેલાંના અલ બિરુનીના અમદાવાદ વિશેના અહેવાલમાં ખંભાત-અમદાવાદ, સુરત-અમદાવાદ વચ્ચે માલસામાનની હેરફેર કરતાં ગાડાંઓ અમદાવાદની ભાગોળે બદામડી, રાયણના વૃક્ષોથી આચ્છાદિત એ વિસ્તાર પર થોભતાં હોવાનો ઉલ્લેખ છે. અહીં ગાડાંઓના પૈડાંનું સમારકામ, લોખંડના પાટા ચડાવનારા કારીગરોનો મોટી સંખ્યામાં હતાં. કાળક્રમે આધુનિક અમદાવાદના આરંભટાણે કાપડની મિલો ધમધમતી થઈ ત્યારે આ વિસ્તાર મિલ ઉદ્યોગના આનુષંગિકો કારખાનાઓ અને મિલ કામદારોના વિસ્તાર તરીકે વિકસતો ગયો. ઉત્તર ગુજરાત ઉપરાંત દેશના અન્ય પ્રાંતોમાંથી રોજગારી મેળવવા આવેલાં લોકો અહીં વસતાં ગયાં અને આજના અમરાઈવાડી વિસ્તારનો પીંડ બંધાયો. વિધાનસભા બેઠક તરીકે પહેલાં આ વિસ્તાર કાંકરિયા બેઠકમાં સ્થાન પામતો હતો. ત્યારબાદ મણિનગર બેઠકમાં અને 2008ના નવા સીમાંકન બાદ તેને સ્વતંત્ર બેઠકનો દરજ્જો મળ્યો. આ મત વિસ્તાર અંતર્ગત મહાનગરપાલિકાના કુલ ત્રણ વોર્ડના 2,88,268 મતદારો નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
પચરંગી વિસ્તાર ધરાવતા અમરાઈવાડીમાં પરપ્રાંતિયોની વસ્તી ઝાઝી હોવા છતાં અહીં મોટાભાગે ગુજરાતી રાજકીય મિજાજ હાવી રહે છે. નવા સીમાંકન પછી યોજાયેલી બંને ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અહીં સારી એવી સરસાઈથી વિજેતા બન્યાં છે. ઉત્તર ભારતીયોનું વર્ચસ્વ હોવાથી અહીં હિન્દુવાદ અને વિકાસનું સમીકરણ ભાજપ સરળતાથી ચલાવી શકે છે. જોકે મધ્યમવર્ગિય અને નિમ્ન મધ્યમવર્ગિય વસ્તી વધુ હોવાથી અહીં મુદ્દાઓ અને મિજાજ બદલાતાં વાર પણ નથી લાગતી. પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મળેલી પાંખી સરસાઈ તેનું ઉદાહરણ છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
2012 | હસમુખ પટેલ | ભાજપ | 65,425 |
2017 | હસમુખ પટેલ | ભાજપ | 49,732 |
2019 | જગદીશ પટેલ | ભાજપ | 5,528 |
આ પણ વાંચો: #બેઠકપુરાણ સાબરમતીઃ મોદીને મુખ્યમંત્રી બનાવવામાં નિમિત્ત બનનારી બેઠક કોને ફળશે?
કાસ્ટ ફેબ્રિક
અહીં આશરે 60,000 પરપ્રાંતિયો વસે છે જેમાં ઉત્તર ભારતીયોનું પ્રમાણ સૌથી વધુ છે. દલિતો પણ આશરે 55,000 જેટલાં છે. પાટીદારો 35,000 જેટલાં છે અને તેમાં ઉત્તર ગુજરાતના કડવા પાટીદારોનું વર્ચસ્વ વધુ છે. મોટાભાગે અહીં દરેક રાજકીય પક્ષો પાટીદાર ઉમેદવારો પસંદ કરવાનું વલણ ધરાવે છે. આશરે એક લાખ જેટલાં ઓબીસી મતદારો વિવિધ જ્ઞાતિસમુહના હોવાથી એકજૂટ વોટબેન્ક ગણાતાં નથી. પાટીદારો આર્થિક અને સામાજિક પ્રભાવ વડે પરપ્રાંતિયોના મત મેળવીને જીતે એ અહીં કાયમી ફોર્મ્યુલા ગણાય છે.
સમસ્યાઓઃ
અમદાવાદનો જૂનો વિસ્તાર હોવા છતાં અહીં એલિસબ્રિજ, નારણપુરા, સાબરમતી જેવી ચકાચૌંધનું નામોનિશાન જોવા નથી મળતું. સાંકડા રસ્તા, ગીચ બાંધકામ, આડેધડ ટ્રાફિક, ઢંગધડા વગરના પાર્કિંગને લીધે આ વિસ્તાર રહેણાંક માટે ક્યારેય પહેલી પસંદ નથી બની શકતો. હવે તેમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા પણ વકરી છે. સમગ્ર અમદાવાદમાં હાઈએસ્ટ ક્રાઈમ રેટ ધરાવતા વિસ્તાર તરીકે પણ અમરાઈવાડી બદનામ છે. દેશી-વિદેશી દારૂના સૌથી મોટા બુટલેગરો અહીં કાર્યરત હોવાની ફરિયાદો કોઈથી અજાણી નથી. પોલીસ, એડમિનિસ્ટ્રેશન અને જનપ્રતિનિધિ એમ ત્રણેય સ્તરે અહીં કાર્યક્ષમતાની ખોટ વર્તાય છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ નિકોલઃ AAP માટે વકરો એટલો નફો, પણ AAPનો વકરો એ ભાજપનું નુકસાન
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
બે ટર્મથી જીતતા ધારાસભ્ય હસમુખ પટેલને સાંસદ બનાવાયા પછી યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જગદીશ પટેલ પ્રમાણમાં પાતળી સરસાઈથી જીત્યા હતા. આથી આ વખતે તેમની ટીકિટ કાપીને ભાજપે ડો. હસમુખ પટેલને ઉમેદવારી આપી છે. સ્થાનિક મેડિકલ પ્રેક્ટિશનર તરીકે સારી એવી નામના ધરાવતા ડો. હસમુખ પટેલ અમિત શાહના વિશ્વાસુ હોવાની છાપ ધરાવે છે. આ બેઠક પર 46 દાવેદારો હોવાથી અસંતોષનું પ્રમાણ પણ વ્યાપક જોવા મળે છે. ભાજપના મજબૂત સંગઠન, સત્તાધારી પક્ષ તરીકેના ઠાઠ અને અંગત પ્રતિષ્ઠા પર હસમુખ પટેલનું પ્રચાર અભિયાન અવલંબિત છે.
હરીફ કોણ છે?
કોંગ્રેસે આ બેઠકના જૂના જોગી ધર્મેન્દ્ર શાંતિલાલ પટેલને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે. પેટાચૂંટણીમાં મજબૂત ફાઈટ આપી હોવાથી આ વખતે પણ ધર્મેન્દ્ર પટેલની તરફેણમાં સારું એવું વાતાવરણ બન્યું જણાય છે. ચૂંટણી સિવાય પણ સક્રિય રહેતાં હોવાથી તેઓ ભાજપના ઉમેદવારને સતત દબાણમાં રાખી શકે તેમ છે. દલિત મતદારોનો ઝુકાવ મેળવવાનો તેમનો આશાવાદ પ્રબળ છે પરંતુ પરપ્રાંતિયો અને ઓબીસીના મત તેઓ કેટલાં લાવી શકે એ મોટો પ્રશ્નાર્થ છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ બાપુનગર: કોંગ્રેસે દર્શાવેલ ‘હિંમત’ પછી હવે પાટીદારોનો ઝુકાવ નિર્ણાયક
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીના ઉમેદવાર વિનય ગુપ્તા સ્થાનિક સ્તરે સક્રિય અને લોકપ્રિય વ્યક્તિ છે. પરપ્રાંતિયોની વિવિધ સંસ્થાઓના માધ્યમથી સક્રિય રહેતાં વિનય ગુપ્તા જોકે પાટીદાર, દલિત, ઓબીસી મતદારોમાં ફક્ત કેજરીવાલના નામ અને આપની ગેરંટી યોજનાઓ વડે અપીલ ઊભી કરવા પ્રયત્નશીલ જણાય છે. અહીં તેઓ જો પાંચ હજારથી વધુ મત મેળવી જશે તો ભાજપના ઉમેદવાર માટે મુશ્કેલી સર્જાઈ શકે છે
Advertisement