ગઈ સદીના આરંભિક દાયકાઓમાં જૂનાં કોટ વિસ્તારમાંથી બહાર નીકળીને અમદાવાદ સાબરમતી નદીને સામે પાર વિકસી રહ્યું હતું ત્યારે પશ્ચિમે એલિસબ્રિજ વિસ્તારની સમાંતરે કોટ વિસ્તારથી ઉત્તર દિશાએ જે વિસ્તાર ઝડપભેર વિકસ્યો અને અમદાવાદના સમૃદ્ધ વિસ્તાર તરીકે ખ્યાતિ પામ્યો એ આજનું સાબરમતી. નદીના કાંઠે ઊભા પટ્ટામાં વિકસ્યો હોવાથી આ વિસ્તારને નામ પણ નદી પરથી સાબરમતી મળ્યું હતું. ઉત્તર ગુજરાતના પાટીદારો ઉપરાંત રાધનપુર, ધાનેરા, પાલનપુર, ડીસાના જૈનો તેમજ રાજસ્થાનથી ધંધા-રોજગાર અર્થે અમદાવાદ સ્થાયી થયેલો જૈન સમુદાય આ વિસ્તારની ઓળખ ગણાય છે. કાલુપુરને સમાંતર રેલવે સ્ટેશન ધરાવતા સાબરમતીને હવે મેટ્રો અને બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ મળવાનું છે. ત્રણે ય ટ્રેનનું સ્ટેશન ધરાવતો એ ગુજરાતનો સૌ પ્રથમ અને હાલ એકમાત્ર વિસ્તાર બનશે. શાંતિપ્રિય, વેપારી વિસ્તારની છાપ ધરાવતી સાબરમતી વિધાનસભા બેઠક અંતર્ગત મહાનગરપાલિકાના બે વોર્ડ ઉપરાંત નજીકના કાળીગામ, મોટેરા, ચાંદખેડા, રાણીપ અને ચાંદલોડિયાનો સમાવેશ થાય છે. જનરલ કેટેગરીની આ બેઠકમાં કુલ 2,53,585 મતદારો નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
એક અપવાદને બાદ કરતાં 1995થી આ બેઠક ભાજપને સમર્પિત રહી છે. ભૂકંપ પછી યોજાયેલી આ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો પરાજય કેશુભાઈ પટેલને ઉથલાવીને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવામાં નિમિત્ત બન્યો હતો. આ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન જેવા દિગ્ગજનો પ્રતિનિધિત્વ કરી ચૂક્યા હોવાથી આ બેઠક જીતવી એ પ્રતિષ્ઠાનો પ્રશ્ન ગણાય છે. સતત ભાજપનો વિજય થયો છે પરંતુ ઉમેદવારની પસંદગીમાં કાળજી રાખવામાં આવે અને જ્ઞાતી સમીકરણો સંતુલિત કરી શકાય તો દરેક પક્ષ માટે અહીં સરખી તક હોવાનું મનાય છે. ભાજપે પણ આ શક્યતાને ધ્યાનમાં રાખીને દરેક ચૂંટણી વખતે પૂરતી મહેનત કરવી પડે છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | યતિન ઓઝા | ભાજપ | 21,017 |
2002 | ડો. જીતુ પટેલ | ભાજપ | 59,190 |
2007 | ગીતાબહેન શાહ | ભાજપ | 69,323 |
2012 | અરવિંદ પટેલ | ભાજપ | 67,583 |
2017 | અરવિંદ પટેલ | ભાજપ | 68,810 |
આ પણ વાંચો: #બેઠકપુરાણ ઘાટલોડિયા: વરરાજાને સવા લાખના ચાંદલાથી ઓછું કંઈ ન ખપે
કાસ્ટ ફેબ્રિક
ગુજરાતમાં પાટીદાર પ્રભાવિત બેઠકોની યાદીમાં સાબરમતીને પણ સામેલ કરવી પડે એ દર્શાવે છે કે અહીં પાટીદાર સમુદાય નિર્ણાયક છે. આશરે 70,000 જેટલાં પાટીદારોમાં ઉત્તર ગુજરાતના કડવા પાટીદારોનું પ્રમાણ વધુ છે. પછીના ક્રમે અહીં 60,000 ઓબીસી જ્ઞાતિ સમુહના મતદારો છે. ઠાકોર, ક્ષત્રિયો 40,000, દલિતો આશરે 25,000 અને જૈન, બ્રાહ્મણ જેવા સવર્ણો પણ 30,000 જેટલી વસ્તી ધરાવે છે. છેલ્લી કેટલીક ચૂંટણીથી બંને પક્ષો પાટીદાર ઉમેદવારને મહત્વ આપતાં રહ્યાં છે. આ વખતે કોંગ્રેસે તેમાં પેટર્ન બદલી છે.
સમસ્યાઓઃ
રેલવે, મેટ્રો અને હવે બુલેટ ટ્રેન ઉપરાંત બીઆરટીએસ સ્ટેશન ધરાવતો આ વિસ્તાર કનેક્ટિવિટી માટે સૌથી મોખરે છે અને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અહીં આવેલું છે પરંતુ માળખાગત સુવિધાઓનો અભાવ અહીં પાયાની સમસ્યા હોવાનું સ્થાનિકો સાથેની વાતચીતમાં ફલિત થાય છે. કેટલાંક વિસ્તારોમાં પીવાલાયક શુદ્ધ પાણીની વ્યવસ્થા નથી. બીઆરટીએસ ટ્રેક આસપાસ રસ્તાઓ આડેધડ પાર્ક થયેલાં વાહનોથી છવાયેલા હોવાથી સ્થાનિક બજારોમાં ઘરાકી ઘટી રહી હોવાની વેપારીઓની ફરિયાદો છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ નારણપુરાઃ ગૃહમંત્રીના ઘરમાં ધાડ પાડવાનો વિચાર સુદ્ધાં મુશ્કેલ
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
બે ટર્મથી અહીં પ્રતિનિધિત્વ કરી રહેલાં અરવિંદ પટેલ પ્રમાણમાં લો પ્રોફાઈલ હોવાથી આ બેઠક માટે ભાજપમાંથી ત્રીશથી વધુ દાવેદારો હતાં. પરંતુ ભાજપે વર્તમાન ધારાસભ્યની ટીકિટ કાપીને નવા ચહેરા તરીકે ડો. હર્ષદ પટેલને ઉતાર્યા છે. સ્થાનિક ઉમેદવાર અને અમિત શાહના વિશ્વાસુ તરીકે હર્ષદ પટેલ સંગઠનનો સહકાર મેળવી શકે તેમ છે.
હરીફ કોણ છે?
કોંગ્રેસે અહીં ક્ષત્રિય ઉમેદવાર દિનેશ મહીડાને તક આપી છે. ભાજપના પાટીદાર કાર્ડ સામે કોંગ્રેસે ક્ષત્રિય, ઠાકોર, દલિત અને ઓબીસી વોટબેન્કનું સમીકરણ સાધવાનો પ્રયાસ કર્યો છે. દિનેશ મહિડા સ્થાનિક સ્તરે સક્રિય અને આક્રમક નેતા મનાય છે. પરંતુ દરેક કોંગ્રેસી ઉમેદવારની માફક તેમણે પણ પક્ષના સંગઠનને બદલે પોતાના અંગત કાર્યકરો પર જ નિર્ભર રહેવું પડે તેવી સ્થિતિ જણાય છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ એલિસબ્રિજ: એક એકથી ચડિયાતા ઉમેદવારોના જંગમાં છેવટે પક્ષનું ચિહ્ન નિર્ણાયક
ત્રીજું પરિબળઃ
આમ આદમી પાર્ટી તરફથી અહીં જશવંત ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે. બનાસકાંઠા ઠાકોર સમાજના વિવિધ સંગઠનોમાં સેવા પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાથી તેઓ સાવ અજાણ્યા ન કહી શકાય પરંતુ પોતાના સમાજ સિવાયના મત મેળવી શકે કે કેમ એ બહુ મોટો પ્રશ્નાર્થ છે. આ વિસ્તારમાં આપના ગેરંટી વચનોની પણ ખાસ અસર જોવા મળતી નથી. એ સંજોગોમાં આપના ઉમેદવાર મોટાભાગે કોંગ્રેસના મત તોડવામાં નિર્ણાયક બને એવી શક્યતા સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહી છે
Advertisement