2017માં પાટીદાર આંદોલનના પગલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપને ખાસ્સી પછડાટ મળી હતી ત્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના મક્કમ સમર્થનને લીધે ભાજપની સત્તા જળવાઈ રહી હતી. સુરત શહેરને ભાજપનો ગઢ માનવામાં આવે છે. શહેર અને જિલ્લાની કુલ 16 બેઠકો પૈકી ગત ચૂંટણીમાં ભાજપને 14 બેઠકો મળી હતી. તેમાંની એક બેઠક ઉધના હતી. નવા સીમાંકન પછી અસ્તિત્વમાં આવેલી આ બેઠક તેનાં મિશ્ર જ્ઞાતિ સમીકરણો અને સ્થાનિક મુદ્દાઓને લીધે ભાજપ સમર્થક મનાતી રહી છે. મુખ્યત્વે ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીં પરપ્રાંતિયોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે. સુરત તાલુકા ઉપરાંત પાલિકાના પાંચ વોર્ડ સમાવતી આ બેઠક અંતર્ગત કુલ 2,33,618 મતદારો નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
મૂળ સુરતી અને સૌરાષ્ટ્રવાસીઓના વિસ્તારોથી વિપરિત અહીં પરપ્રાંતિયોનું પ્રભુત્વ હોવાથી સ્થાનિક ઉપરાંત રાષ્ટ્રીય મુદ્દાઓ પણ અહીં નોંધપાત્ર બનતાં રહે છે. ભાજપના વરિષ્ઠ નેતા નરોત્તમ પટેલનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક બંને ચૂંટણીઓમાં ભાજપને સમર્પિત રહી છે. નરોત્તમ પટેલ બાદ તેમનાં પુત્ર આ બેઠક પરથી જીત્યાં હતા. ઓછી મતદાર સંખ્યા છતાં ભાજપના ઉમેદવાર અહીં સારું એવું માર્જિન મેળવી શક્યા હતા. વિવિંગ મિલ અહીં મોટી સંખ્યામાં છે, જેનાં પર ગુજરાતીઓનો દબદબો હોવાથી પરપ્રાંતિયો સ્વતંત્ર મિજાજ દર્શાવવાને બદલે ગુજરાતી માલિકોના મિજાજને અનુરૂપ મતદાન કરવા ટેવાયેલા છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
2012 | નરોત્તમ પટેલ | ભાજપ | 32,754 |
2017 | વિવેક પટેલ | ભાજપ | 42,528 |
કાસ્ટ ફેબ્રિક
આશરે 65,000 પરપ્રાંતિયોની સંખ્યા ધરાવતા આ મતવિસ્તારમાં મરાઠી અને બિહાર, ઓરિસ્સાના લોકોનું પ્રમાણ સવિશેષ છે. એ સિવાય 18,000 પાટીદાર અને 12,000 કોળી પટેલ પણ નોંધપાત્ર છે. ચૂંટણીનો મિજાજ ઘડવામાં તેમની મુખ્ય ભૂમિકા રહે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ કરંજ (સુરત શહેર): ભરશિયાળે ભાજપને પરસેવો તો વળશે જ
સમસ્યાઓઃ
ઔદ્યોગિક વિસ્તાર હોવાથી પ્રદુષણ એ સ્થાનિક સ્તરે સૌથી મોટો મુદ્દો મનાય છે. હવા અને પાણીના પ્રદુષણની વારંવારની ફરિયાદો છતાં ઉકેલની દિશામાં ખાસ કંઈ પગલાં લેવાયા નથી. આવાસ યોજનામાં ગેરરીતિની ફરિયાદો વ્યાપક છે. મુખ્ય રેલવે લાઈન પર આવેલું હોવાથી અહીં ક્રોસિંગ પર ટ્રાફિક જામની સમસ્યાનો ઉકેલ પણ લાવી શકાયો નથી.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
ભાજપના ટોચના નેતા નરોત્તમ પટેલના પુત્ર વિવેક પટેલ આ બેઠક પર પિતાના વારસ તરીકે સારા માર્જિનથી જીત્યા હતા. પરંતુ સ્થાનિક સ્તરે નિષ્ક્રિયતાના કારણે આ વખતે તેમને બદલવામાં આવ્યા છે. તેમનાં સ્થાને ભાજપે વિવર્સ એસોસિએશનના સ્થાપક પ્રમુખ અને કડવા પાટીદાર સમાજના અગ્રણી મનુ પટેલને તક આપી છે. મનુ પટેલ અહીં લાંબા સમયથી સક્રિય છે. શહેર ભાજપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ઉમેદવાર બદલીને ભાજપે એન્ટી ઈન્કમબન્સીનો રહ્યોસહ્યો મિજાજ પણ બદલી નાંખ્યો છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ વરાછા (સુરત શહેર): 14 મહિનાના જેલવાસનો ભાજપને 5 વરસ માટે ફટકો પડશે?
હરીફ કોણ છે?
કોંગ્રેસે આ બેઠક પરથી જૂના જોગી ધનસુખ રાજપૂત પર પસંદગી ઉતારી છે. ધનસુખ રાજપુત અગાઉ 2012માં ભાજપના નરોત્તમ પટેલ સામે ચૂંટણી હારી ચૂક્યા છે પરંતુ સ્થાનિક સ્તરે તેમણે સતત લોકસંપર્ક જાળવી રાખ્યો છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ઓલપાડ: જંગી સરસાઈના કેસરિયા ખ્વાબ સામે હવે બેઠક જાળવવાનો પડકાર
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીએ ગણતરીની બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાનું હજુ બાકી રાખ્યું છે તેમાં ઉધના બેઠક પણ સામેલ છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં આમઆદમી પાર્ટીનો પ્રભાવ છે પરંતુ ઉધનામાં એવું કહી શકાય તેમ નથી. અહીં પરપ્રાંતિયોની વસ્તીને લીધે મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધો જંગ લડાય એવી શક્યતા વધુ છે.
Advertisement