એક સમયે અમરેલી જિલ્લો સૌરાષ્ટ્રનો પછાત જિલ્લો ગણાતો હતો એ આજે ખાસ્સો સધ્ધર ગણાતો હોય તો તેનાં કેન્દ્રમાં રાજુલા છે. દક્ષિણ દિશાએ દરિયો, પશ્ચિમે ગીરનું જંગલ અને ઉત્તર દિશાએ ગીરનારની પર્વતમાળા સાથે હજારો વર્ષ જૂનો નાતો ધરાવતા કાળમીંઢ ડુંગરાઓની હારમાળા. નિસર્ગના એવાં દુર્લભ ત્રિભેટે વિકસેલું રાજુલા શહેર દરિયાકાંઠે વિકસેલા ઉદ્યોગોના કારણે ઝડપભેર વિકસી રહ્યું છે. પીપાવાવ પોર્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ જેવાં મોટા ઉદ્યોગોના કારણે અહીં કાંઠા વિસ્તારની સાવ ખારોપાટ બની રહેલી જમીનોના ભાવ ઊંચકાયા તેની સીધી અસર સ્થાનિક વેપારવૃદ્ધિ પર પડી અને રાજુલાની કાયાપલટ થઈ ગઈ. ચૂંટણી પંચ દ્વારા 98 ક્રમ ધરાવતી વિધાનસભાની આ બેઠક અંતર્ગત રાજુલા ઉપરાંત જાફરાબાદ અને ખાંભા તાલુકાનો પણ સમાવેશ થાય છે. અમરેલી લોકસભામાં આવતી આ વિધાનસભા બેઠકમાં કુલ 2,46,825 મતદારો નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
આ બેઠક પર સળંગ ચાર ટર્મથી જીતતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હિરાલાલ સોલંકીને 2017માં હરાવીને કોંગ્રેસના અંબરિષ ડેરે પ્રથમ વખત વિજય મેળવ્યો હતો. આ એક અપવાદને બાદ કરતાં આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. 1960માં ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારથી કોંગ્રેસનો દબદબો રહ્યો હતો પરંતુ રામજન્મભૂમિ આંદોલનના પગલે સમગ્ર રાજ્યની માફક રાજુલા પણ ભગવી લહેરથી લપેટાયેલું રહ્યું છે. બે દાયકા બાદ 2017માં કોંગ્રેસના ઉમેદવાર અંબરિષ ડેરે અહીં ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું હતું. આ વિધાનસભા બેઠકની રસપ્રદ વિશેષતા એવી છે કે અહીં ચૂંટાયેલા ધારાસભ્યો પૈકી કોઈ સ્થાનિક ન હતા. હીરાભાઈ સોલંકીથી માંડીને પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી મધુભાઈ ભુવા કે સૌરાષ્ટ્રના સુભાષબાબુ તરીકે ઓળખાયેલા જસુ મહેતા પૈકી કોઈ રાજુલા શહેરના વતની ન હતા. પહેલી વાર અંબરિષ ડેર સ્વરૂપે રાજુલાએ સ્થાનિક વ્યક્તિને ચૂંટ્યા છે.
રેકોર્ડબુકઃ
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | હિરાલાલ સોલંકી | ભાજપ | 12,089 |
2002 | હિરાલાલ સોલંકી | ભાજપ | 37,062 |
2007 | હિરાલાલ સોલંકી | ભાજપ | 32,330 |
2012 | હિરાલાલ સોલંકી | ભાજપ | 18,710 |
2017 | અંબરિષ ડેર | કોંગ્રેસ | 12,719 |
કાસ્ટ ફેબ્રિકઃ
રાજુલા, જાફરાબાદ, ખાંભા પંથકમાં મુખ્યત્વે પંચોળી આહિર, નાઘેરા આહિર, કોળી અને ખારવા સમુદાયનું પ્રભુત્વ રહ્યું છે. આ ઉપરાંત મુસ્લિમો અને દલિતોની સંખ્યા પણ નોંધપાત્ર છે. કાઠી ક્ષત્રિય સમાજના મત અહીં ગેમ ચેન્જર ગણાય છે. શહેરી વિસ્તારોમાં બ્રાહ્મણ, વણિક અને લોહાણા સમુદાય સંખ્યામાં ઓછો પરંતુ પ્રભાવમાં અસરકારક મનાય છે. વાવેરા, સમુહખેતી જેવા ગામોને બાદ કરતાં આ બેઠક પર પાટીદાર ફેક્ટર નહિવત્ત છે. પૂર્વ ધારાસભ્ય સ્વ. પ્રતાપ વરૂના નિધન પછી કાઠી સમુદાયની યુવા પેઢી લાંબા સમયથી ભાજપના સમર્થક બની ચૂકી છે. પંચોળી આહિર સમાજ વિભાજીત જણાય છે. જોકે ડો. કનુભાઈ કળસરિયાને કોંગ્રેસે મહુવાના ઉમેદવાર બનાવ્યાં તેની અસર આ બેઠક પર પણ પડી શકે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ અમરેલી: શું ભાજપ કોંગ્રેસના પરેશ ધાનાણીના વિજયરથને રોકવામાં સફળ થશે?
સમસ્યાઓઃ
સ્થાનિક સ્તરે પીપાવાવ પોર્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટ, સિન્ટેક્સ જેવી કંપનીઓ આવવા છતાં સ્થાનિક રોજગારીની તકો ઘટી રહી છે. મોટા ઉદ્યોગો આધારિત આનુષંગિત લઘુઉદ્યોગો વિકસી શક્યા નથી. રાજુલા શહેર સફાઈના અભાવ અને નિયમિત વીજકાપ જેવી સમસ્યાઓનો સામનો કરે છે. રાજુલાને અન્ય શહેરો સાથે જોડતાં બિસ્માર રસ્તાઓની ફરિયાદનો ઉકેલ આવ્યો નથી. જાફરાબાદમાં માછીમારોને તૌકતે વાવાઝોડાં વખતે સહાય મળવામાં ભારે વિલંબ થયો હોવાની ફરિયાદ પણ વ્યાપક છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ધારીઃ ભાજપે પક્ષપલટો કરાવીને અણધારી કરી, હવે ધારીમાં કોંગ્રેસ ફરીથી ધાર્યું કરી શકશે?
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
અંબરિષ ડેર આ બેઠક પરથી ચૂંટાયા પછી પાંચ વર્ષ દરમિયાન સતત ચર્ચામાં રહ્યા છે. વિધાનસભામાં તેમની સક્રિયતા પણ નોંધપાત્ર રહી હોવાથી કોંગ્રેસે તેમને કાર્યકારી અધ્યક્ષપદ આપ્યું છે. જોગર્સ પાર્કના મુદ્દે રેલવે સામે કરેલ આંદોલન તેમનો પ્લસ પોઈન્ટ ગણાય છે. સાથોસાથ કોંગ્રેસ હસ્તક રાજુલા નગરપાલિકાના રેઢિયાળ વહીવટને લીધે શહેર વિસ્તારમાં ધારાસભ્ય ડેર પ્રત્યે નારાજગી પણ અવગણી શકાય તેમ નથી. ડેરને તોડવાના ભાજપના પ્રયાસો અવિરત ચાલુ રહ્યા છે જે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી સફળ થયા નથી.
હરીફ કોણ છે?
ભાજપના હીરાલાલ સોલંકી આ બેઠક ચાર વખત જીત્યા હોવાથી તેઓ જ મુખ્ય દાવેદાર મનાય છે. ચૂંટણી હાર્યા પછી પણ તેમણે મતદારો સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો છે. જોકે ભાજપની આંતરિક ખેંચતાણમાં હીરાલાલની મહેનત પાણીમાં જાય અને ટીકિટ કોઈક બીજાને મળે એ સંજોગોમાં કોળી સમાજના યુવા નેતા કરણ બારૈયા, જૂની પેઢીના ભાજપના કર્મઠ નેતા કિશોર રેણુકા, અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી રવુભાઈ ખુમાણ અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પંચોળી આહિર અગ્રણી પીઠાભાઈ નકુમ મુખ્ય દાવેદાર ગણાય છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ પાલીતાણાઃ અપક્ષ અને ડાબેરી ઉમેદવારને પણ જીતાડનાર બેઠકનો અનોખો મિજાજ
ત્રીજું પરિબળઃ
આ બેઠક પર આમઆદમી પાર્ટીનું સંગઠન નહિવત્ત છે. ભરત બળદાણિયા આપના ઉમેદવાર તરીકે અહીં મેદાનમાં છે પરંતુ સ્થાનિક સ્તરે તેમની ખાસ ઓળખ નથી. ગત ચૂંટણી હાર્યા પછી ભાજપ અહીં પૂરી તાકાતથી કમબેક કરવાના પ્રયાસમાં છે તો સામે કોંગ્રેસ પણ બેઠક જાળવી રાખવા કટિબદ્ધ છે એટલે અહીં ત્રિપાંખિયો જંગના અભાવમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ભારે રસાકસી થવાની છે
Advertisement