પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથનું મોક્ષધામ પાલીતાણા જૈનોનું પવિત્ર તીર્થક્ષેત્ર છે. દુનિયાના પ્રથમ પૂર્ણતઃ શાકાહારી શહેર તરીકે વિખ્યાત પાલીતાણા ગોહિલવંશી ક્ષત્રિયોનું રજવાડું હતું. ક્ષત્રિયો, ગાયકવાડ, જૂનાગઢ નવાબ અને અંગ્રેજ એવા પેચીદા રાજકીય સમીકરણો વચ્ચે પણ જૈનોએ આ તીર્થક્ષેત્રની પવિત્રતા જાળવી રાખી હતી. પ્રાચીન અને પવિત્ર સ્થાનનો મહિમા ધરાવતું પાલીતાણા શંત્રુજય પર્વત પરના કલાત્મક દેરાસરો અને ધર્મશાળાઓના કારણે જૈનેતર યાત્રાળુઓમાં પણ પ્રસિદ્ધ છે. વિધાનસભા બેઠકક્રમાંક 102 ધરાવતું પાલીતાણા જનરલ કેટેગરીની બેઠક છે. પાલીતાણા શહેર, તાલુકા ઉપરાંત સિહોર તાલુકાના કેટલાંક ગામો સમાવતી આ બેઠકમાં કુલ 2,76,896 મતદારો નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
રાજકીય રીતે પાલીતાણાના મતદારો કોઈ સ્પષ્ટ મિજાજ ધરાવતા નથી એવું અત્યાર સુધીના તમામ ચૂંટણી પરિણામોથી પ્રતિત થાય છે. અહીં કોંગ્રેસ અને ભાજપ બંને 5-5વાર જ્યારે અપક્ષ, જનતાદળ પણ અહીંથી જીત્યા છે અને ગુજરાતના રાજકીય ઈતિહાસમાં ફક્ત બે જ વખત સામ્યવાદી પક્ષના ઉમેદવાર જીત્યા છે એમાંની એક બેઠક પાલીતાણાની છે. માર્ક્સવાદી રાજનીતિના પ્રખર અભ્યાસુ અને વોશિંગ્ટન પોસ્ટ જેવા અખબારોમાં કોલમ લખનારા બટુક વોરા 1972માં સામ્યવાદી ઉમેદવાર તરીકે અહીંથી માત્ર 373 મતથી જીત્યા હતા.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | કુરજીભાઈ ગોટી | ભાજપ | 13,255 |
2002 | મનસુખ માંડવિયા | ભાજપ | 2,416 |
2007 | મહેન્દ્રસિંહ સરવૈયા | ભાજપ | 19,394 |
2012 | પ્રવિણ રાઠોડ | કોંગ્રેસ | 14,325 |
2017 | ભીખાભાઈ બારૈયા | ભાજપ | 14,189 |
કાસ્ટ ફેબ્રિક
આ બેઠક પર કોળી સમાજ સંખ્યાત્મક પ્રભુત્વ ધરાવે છે. આશરે 60 હજાર કોળી મતદારો છતાં અત્યાર સુધી કોળી ઉમેદવાર જ અહીં જીતે એવું સમીકરણ ન હતું. 40 હજાર પાટીદાર, 20 ક્ષત્રિયો અને 17 હજાર દલિતો પણ અહીં નિર્ણાયક ગણાય છે અને દરેક સમાજના ઉમેદવાર અહીં ચૂંટણી જીતી ચૂક્યા છે. કોળી ઉમેદવાર સામે બે જ્ઞાતિના સમીકરણો સંતુલિત કરી શકાય તો અહીં જીતવાની શક્યતા ગણાય છે.
સમસ્યાઓઃ
યાત્રાળુ સ્થાન હોવા છતાં અહીં પ્રવાસનને વેગ મળે એવી સુવિધાઓનો અભાવ છે. આસપાસના સ્થળોને સાંકળતી યાત્રા સર્કિટના આયોજનને ગ્રાન્ટ ફાળવાયા છતાં હજુ તેમાં કંઈ કામ આગળ વધ્યું નથી. માંસ, મચ્છી, ઈંડા ખાવા, ખરીદવા, વેચવાનો પ્રતિબંધ હોવાથી અન્ય વેપાર વિકસાવવાના વચનો પૂરા થયા નથી. મોટા ઉદ્યોગોની ગેરહાજરીને લીધે ઉચ્ચ શિક્ષિતો માટે સ્થાનિક સ્તરે રોજગારીની તકો મર્યાદિત છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ બોટાદઃ અઢી દાયકામાં પાંચ વખત જીતેલા સૌરભ પટેલ હવે અહીં આયાતી ઉમેદવાર ગણાય છે
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
ભાજપના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા નિરુપદ્રવી હોવાની સમાંતરે નિષ્ક્રિય હોવાની છાપ પણ સ્થાનિક સ્તરે ધરાવે છે. તેમને ટીકિટ મળે એ શક્યતા ઓછી છે. તેની સામે ક્ષત્રિય સમાજમાંથી ટીકિટની માંગણી ધ્યાને લેવામાં આવે તો ભાજપના પ્રાંત ઉપાધ્યક્ષ અને આ બેઠક પર એકવાર ધારાસભ્ય રહી ચૂકેલા મહેન્દ્રસિંહ સરવૈયા પણ મુખ્ય દાવેદાર ગણી શકાય. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનો આ વિસ્તાર હોવાથી ભાજપના ઉમેદવારની પસંદગીમાં તેમની ભૂમિકા પણ નિર્ણાયક મનાય છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ભાવનગર (પશ્ચિમ): બે ટર્મથી જીત અપાવતા જીતુભાઈની હેટ્રિક સામે ક્ષત્રિયવટનો પડકાર
હરીફ કોણ છે?
2012માં આ બેઠક પરથી જીતેલા પ્રવિણ રાઠોડે સતત જનસંપર્ક જાળવી રાખ્યો હોવાથી કોંગ્રેસના મુખ્ય દાવેદાર માનવામાં આવે છે. એ ઉપરાંત કૃપાલસિંહ ગોહિલ સહિત અન્ય દાવેદારો પણ મેદાનમાં છે.
આ પણ વાંચો: # બેઠકપુરાણ રાજકોટ (પશ્ચિમ): વજુભાઈ, વિજયભાઈ કે કોઈ પણ… ઉમેદવાર નહિ, અહીં કમળ જીતે છે
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીએ હજુ અહીં ઉમેદવાર જાહેર કર્યા નથી પરંતુ મોટાભાગે એ રાજુ સોલંકીની માંધાતા સેના સાથે સંકળાયેલ હશે તેવું મનાય છે. એ સંજોગોમાં ભાજપના મતો કપાય એવી શક્યતા મનાઈ રહી છે. એકંદરે આ બેઠક જાળવી રાખવાનું ભાજપ માટે સાવ આસાન નહિ હોય.
Advertisement