દેશની એકતા કાજે ભાવનગરનું રાજ્ય અર્પણ કરી દેનારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ભાવનગરની આ બેઠકને ચૂંટણી પંચે 105મો ક્રમ આપ્યો છે. ભાવનગર લોકસભાની આ બેઠક અગાઉ ભાવનગર (દક્ષિણ) તરીકે ઓળખાતી હતી પરંતુ નવાં સીમાંકન પછી ઘણાં નેતાઓની દશા ફરી ગઈ એમ આ બેઠકની દિશા ફરી ગઈ છે અને હવે એ બેઠક ભાવનગર (પશ્ચિમ) તરીકે ઓળખાય છે. કાળિયાબીડ જેવા ભાવનગરના સમૃદ્ધ રહેણાંક વિસ્તાર સહિતના મહાનગરપાલિકાના કેટલાંક વોર્ડ ઉપરાંત નારી અને વરતેજ ગામ પણ આ બેઠકમાં સમાવાયેલા છે. અહીં કુલ 2,61,220 મતદારો નોંધાયેલાં છે. શિક્ષણ અને કલાના ધામ તરીકે જાણીતું ભાવનગર ગુજરાત રાજ્યના વિભાજન વખતે રાજકોટ સાથે હરીફાઈમાં હતું પરંતુ તમામ યોગ્યતાઓ છતાં નિર્બળ નેતૃત્વને લીધે ઘણું પાછળ પડી ગયું હોવાનો સ્થાનિકોમાં કચવાટ રહે છે.
Advertisement
Advertisement
મિજાજઃ
આક્રમક છતાં વ્હાલપથી છલોછલ ભાવનગરવાસીઓ બોલવામાં જેટલાં ગામઠી છે એટલાં જ ભાવથી ચડિયાતા ગણાય છે. ભાજપના ઉદય પછી વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત એકાત્મકતા યાત્રા, અયોધ્યા આંદોલન પછી સમગ્ર રાજ્યની સાથે ભાવનગર અને આ મતવિસ્તાર પણ કેસરિયા રંગે રંગાયેલા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં રા.સ્વ.સંઘની કામગીરી પણ નોંધપાત્ર છે જેનો સીધો ફાયદો ભાજપને મળતો રહ્યો છે. શહેર અને જિલ્લામાં ક્ષત્રિય સમુદાયની નોંધપાત્ર સંખ્યા અને પ્રભાવ રહ્યો છે. લોકસભાની બેઠક પર રાજેન્દ્રસિંહ રાણા સળંગ પાંચ ટર્મ ચૂંટાયા હતા. એક તબક્કે જિલ્લાની કુલ દસ વિધાનસભા બેઠકો પૈકી અડધાથી વધુ બેઠકો પર ક્ષત્રિયોનો દબદબો હતો ત્યાં હવે એકપણ ક્ષત્રિય ધારાસભ્ય કે સાંસદ નથી. એ બાબત બદલાયેલા જ્ઞાતિ સમીકરણો સુચવે છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | સુનિલ ઓઝા | ભાજપ | 9858 |
2002 | સુનિલ ઓઝા | ભાજપ | 10034 |
2007 | શક્તિસિંહ ગોહિલ | કોંગ્રેસ | 7134 |
2012 | જીતુભાઈ વાઘાણી | ભાજપ | 53893 |
2017 | જીતુભાઈ વાઘાણી | ભાજપ | 27185 |
(પ્રથમ ત્રણ પરિણામો ભાવનગર (દક્ષિણ) તરીકે ઓળખાતી બેઠકના છે)
કાસ્ટ ફેબ્રિક
આ બેઠક પર ક્ષત્રિય, પાટીદાર અને કોળી સમાજ મુખ્ય મનાય છે. એંશીના દાયકામાં ક્ષત્રિય અને પાટીદાર સમુદાય વચ્ચે વૈમનસ્ય પ્રવર્તતું હતું તેની ગાઢ અસર આ બેઠક પર પણ જોવા મળતી હતી. હવે સદનસીબે બંને સમુદાય વચ્ચેના સંબંધો ઘણાં જ સુધર્યા છે. ક્ષત્રિયો અને પાટીદારો એકબીજાના લાયક ઉમેદવારોને ટેકો આપતાં રહે છે. કોળી સમાજ નોંધપાત્ર હોવા છતાં જિલ્લાની અન્ય બેઠકો તેમને ફાળવાય તેનાં આધારે આ બેઠક પર કોળી સમાજનું મતદાન થતું રહે છે. છેલ્લી બે ટર્મથી આ બેઠક પરથી પાટીદાર ઉમેદવાર તરીકે દિગ્ગજ નેતા જીતુ વાઘાણી ચૂંટાયા છે. આથી ગોહિલવાડ ક્ષત્રિય સમાજ આ વખતે ભાજપ ક્ષત્રિય ઉમેદવારને તક આપે એવી લાગણી પોતાના સંમેલનોમાં વ્યક્ત કરી ચૂક્યો છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ નડિયાદઃ ભાજપના ગઢમાં પાંચ ટર્મની દેસાઈગીરી કોંગ્રેસ આ વખતે તોડશે?
સમસ્યાઓઃ
શહેરી વિસ્તારની લગભગ તમામ સમસ્યાઓ અહીં પણ જોવા મળે છે. આડેધડ શહેરીકરણને લીધે ગીચતા વધતી જાય છે અને ભાવનગરની ઓળખસમું સુંદર નગરઆયોજન અહીં નવા વિકસિત થયેલાં વિસ્તારોમાં જોવા મળતું નથી. વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ જેમની તેમ છે. નારી પાસે નવો ફ્લાયઓવર બનાવવાની લાંબા સમયની માંગણી હજુ પેન્ડિંગ છે. ભાવનગર અને અમદાવાદ વચ્ચે ગાઢ સંપર્ક હોવા છતાં આ રસ્તો ફોર લેન બનાવવાની કામગીરી કદી પૂરી થતી જ નથી.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
ભુપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ દરજ્જો ધરાવતા શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી આ મતવિસ્તારના પ્રતિનિધિ છે. સ્થાનિક સ્તરે ગાઢ જનસંપર્ક ધરાવતા જીતુભાઈ ડાઉન ટૂ અર્થ ઈમેજ ધરાવે છે અને જાહેર માર્ગો પર સરેરાશ ભાવેણાવાસીના ખભે હાથ મૂકીને ચા પીતાં પણ જોવા મળે છે. યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ, પક્ષના પ્રદેશપ્રમુખ અને હવે કેબિનેટ મિનિસ્ટર જેવી જવાબદારીઓ સંભાળી ચૂક્યા હોવા છતાં વારંવાર લપસી જતી જીભના કારણે વિવાદોમાં પણ રહે છે. સ્થાનિક સ્તરે ક્ષત્રિય ઉમેદવારની માંગણીને ધ્યાનમાં રાખીને જીતુભાઈને ગારિયાધારની પાટીદાર પ્રભાવક બેઠક પર મોકલવામાં આવે એવી ચર્ચા વ્યાપક છે. જોકે જીતુભાઈની ખુદની પસંદગીને હાઈકમાન્ડ ધ્યાનમાં લે તો ભાવનગર (પશ્ચિમ) બેઠક પર તેમની ઉમેદવારી નિશ્ચિત છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ધારીઃ ભાજપે પક્ષપલટો કરાવીને અણધારી કરી, હવે ધારીમાં કોંગ્રેસ ફરીથી ધાર્યું કરી શકશે?
હરીફ કોણ છે?
જીતુભાઈને ગારિયાધાર મોકલવામાં આવે તો આ બેઠક પર ક્ષત્રિય ઉમેદવાર કોણ હોઈ શકે એ સ્થાનિક સ્તરે વ્યાપક ચર્ચાનો વિષય છે. જિલ્લાના દિગ્ગજ નેતા મહેન્દ્રસિંહ સરવૈયાનું નામ મોખરે જણાય છે પરંતુ તેઓ પાલિતાણાના હોવાથી અન્ય જ્ઞાતિના મતદારોમાં આયાતીની છાપ ઉપસે તેમ બને. મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પ્રપૌત્ર જયવીરરાજસિંહજીનું નામ પણ એક તબક્કે ચર્ચામાં આવ્યું હતું. એ ઉપરાંત સ્થાનિક ક્ષત્રિય તેમજ તદ્દન નવો, સ્વચ્છ અને યુવાન ચહેરો આગળ કરીને ભાજપ સરપ્રાઈઝ કાર્ડ ખેલે તો યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ હરેન્દ્રસિંહ ગોહિલ પણ રેસમાં મોખરે ગણાય. કોંગ્રેસ તરફથી મુખ્યત્વે વરતેજના કે.કે.ગોહિલનું નામ આગળ છે.
ત્રીજું પરિબળઃ
શિક્ષણમંત્રીની બેઠક હોવાથી આમઆદમી પાર્ટી પણ અહીં આક્રમક રહે છે. વિદ્યાર્થી નેતા અને પેપર લીક મુદ્દે સરકારને ભીડવતા રહેતા યુવરાજસિંહ જાડેજા છેલ્લાં કેટલાંક મહિનાઓથી અહીં સક્રિય છે. જો આપ વતી યુવરાજસિંહ મેદાનમાં ઉતરે અને જીતુભાઈને ગારિયાધાર મોકલવામાં આવે તો અહીં ત્રણેય ક્ષત્રિય ઉમેદવારો વચ્ચે જંગ લડાય તેવી શક્યતા છે. જો જીતુભાઈ અહીં જ ઉમેદવારી કરે તો યુવરાજસિંહની હાજરી ક્ષત્રિય મતોનું વિભાજન કરીને તેમની જીત વધુ આસાન બનાવી શકે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ તાલાળા (ગીર): ભાજપના વાવાઝોડાંમાં કોંગ્રેસના પડી ગયેલા આંબા ફરી ઊભા થશે ખરાં?
Advertisement