કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આપનું ઉદાહણ આપીને ભાજપના કાર્યકરોને સોશિયલ મીડિયા પર સક્રિય થવા તાકિદ કરી એ વીડિયો વાઈરલ થયા પછી આમઆદમી પાર્ટીનો ઉત્સાહ બેવડાય એ સહજ છે. આરંભિક તબક્કામાં સોશિયલ મીડિયાનું મહત્વ હવે અદકેરું બની રહ્યું છે અને તેમાં જનલોકપાલ આંદોલનના સમયથી AAPની થિન્ક ટેન્કને સારી એવી હથોટી છે. પરંતુ ખરી કસોટી હવે થવાની છે, જ્યારે ચૂંટણીની જાહેરાત થશે અને ઉમેદવારો નક્કી થઈ જશે પછી જે જંગ લડાવાનો છે એ શેરીઓમાં અને મતદારોને મતદાન મથક સુધી લાવવા માટેનો હશે. સૌથી મોટો પડકાર આમઆદમી પાર્ટી માટે પોતાના ત્રણ ટોચના નેતાઓને વિધાનસભામાં મોકલવા અંગેનો છે. પ્રદેશપ્રમુખ ગોપાલ ઈટાલિયા, રાષ્ટ્રીય સચિવ ઈસુદાન ગઢવી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુ રાજ્યની કઈ બેઠક પરથી ચૂંટણી લડે એ પ્રશ્ન બહુ જ પેચીદો છે.
Advertisement
Advertisement
ગોપાલ ઈટાલિયાઃ જન્મભૂમિનો જાકારો કર્મભૂમિમાં ક્યાં ફળશે?
પ્રદેશપ્રમુખ ઈટાલિયા ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામના વતની છે. એમનો પરિવાર અહીં વસે છે અને અહીં એમની ખેતી પણ છે. જોકે ગોપાલ ઈટાલિયા લાંબા સમયથી સુરત સ્થાયી થયેલા છે. વતન ઉમરાળાની વિધાનસભા બેઠક નવા સીમાંકન પછી ગઢડા અને વલ્લભીપુર સાથે મર્જ થઈ ચૂકી છે. વળી આ બેઠક અનુસુચિત જાતિ માટે અનામત છે. એટલે ગોપાલ માટે અહીંથી ચૂંટણી લડવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. ગોપાલ ઈટાલિયા માટે જે ત્રણ બેઠક અનુકૂળ મનાય છે એ ત્રણેય બેઠક સુરત શહેરની છે.
વરાછાઃ
અહીં આશરે બે લાખ મતદારો પૈકી દોઢ લાખ જેટલાં પાટીદારો છે જે સૌરાષ્ટ્રના વતની છે. ગોપાલ ઈટાલિયા પોતે પણ અહીં સ્થાનિક મતદાર છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની તીવ્રતા છતાં ભાજપની આ બેઠક પર જીત થઈ હતી, પરંતુ એ પછી યોજાયેલ સુરત મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં નવોદિત આમઆદમી પાર્ટીના કુલ 27 ઉમેદવારો ચૂંટાયા એ પૈકી 20 વરાછા વિધાનસભા બેઠક અંતર્ગત આવે છે. આ બાબત પણ આપના પ્રદેશપ્રમુખને અહીં ઉમેદવારી કરવા પ્રેરી શકે છે. જોકે દિગ્ગજ વ્યવસાયી ધીરુ ગજેરા કોંગ્રેસના ઉમેદવાર તરીકે હાર્યા પછી ભાજપમાં વાપસી કરી ચૂક્યા છે અને આ વખતે ભાજપ વર્તમાન ધારાસભ્ય કુમાર કાનાણીને બદલે તેમને ટીકિટ આપે એવી શક્યતા વર્તાય છે. એ સંજોગોમાં ઈટાલિયા પ્રદેશપ્રમુખ તરીકે અન્ય બેઠકો પર સભાઓ ગજાવવાને બદલે પોતાની બેઠક પર જ બંધાઈ જાય એવું બની શકે.
કરંજઃ
વરાછા ઉપરાંત ઈટાલિયાની બીજા નંબરની પસંદગી આ બેઠક બની શકે છે. 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવેલી આ બેઠક પર પાટીદારોની સંખ્યા લગભગ 60% જેટલી છે. ઈટાલિયા એ બેઠક પરથી ઉમેદવારી નોંધાવે તો વરાછા બેઠક ઉપરાંત વધુ એક બેઠક માટે આપ આશાવાદી બની શકે છે. જોકે અહીં પણ ઈટાલિયા માટે ઉતરતો ઢાળ તો હરગીઝ નથી. ભાજપના દિગ્ગજ જનક બગદાણાવાળા ફરીથી અહીં દાવેદારી કરી શકે છે અને સ્થાનિક સ્તરે તેમની સક્રિયતા જોતાં ઈટાલિયાને અહીં પરસેવો વળી શકે છે.
કતારગામઃ
આશરે 85-90 હજાર પાટીદાર અને 60 હજાર પ્રજાપતિ સમાજની સંખ્યા ધરાવતી આ બેઠક પણ ઈટાલિયાને નસીબ અજમાવવા માટે લલચાવી શકે છે. બોટાદ, ઢસા, ગઢડા પંથકનો પ્રજાપતિ સમાજ એ જ વિસ્તારના ગોપાલ ઈટાલિયાની તરફે મતદાન કરે એવું અનુમાન સ્થાનિક સ્તરે વ્યક્ત થાય છે. જોકે ભાજપ પાટીદાર ઉમેદવાર તરીકે વર્તમાન ધારાસભ્ય નાનુ વનાણીને ઉતારે અને કોંગ્રેસ જો આપના પ્રદેશપ્રમુખની શેહ રાખ્યા વગર મજબૂત પ્રજાપતિ ઉમેદવારને ઉતારે તો ઈટાલિયાને આકરું પડી શકે. એ સંજોગોમાં કોંગ્રેસના સહયોગ વગર ઈટાલિયા અહીં મેદાનમાં નહિ ઉતરે.
આ પણ વાંચો: #ઝીણી નજરે પોલિટિકલ ડ્રેસકોડઃ નેતાઓની નવી પેઢી ઝભ્ભાની મોનોપોલી ફગાવી રહી છે
ઈસુદાનઃ ઉમેદવારીનું મહામંથન સ્હેજે ય આસાન નથી
પત્રકાર, ન્યૂઝ એન્કરમાંથી ટર્ન લઈને સક્રિય રાજનીતિમાં આવેલાં ઈસુદાન ગઢવી માટે જીતી શકાય એવી બેઠક શોધવી એ સમાચારોના ઢગલામાંથી સ્કૂપ શોધવા કરતાં અનેકગણું મુશ્કેલ છે. તેઓ જામનગર જિલ્લાના ખંભાળિયાના વતની છે પરંતુ અહીં આહિર મતદારોનું વર્ચસ્વ છે. કોંગ્રેસના દિગ્ગજ વિક્રમ માડમની આ બેઠક પર ઈસુદાન લડે એ શક્યતા નહિવત્ત ગણાય.
જ્ઞાતિ સમીકરણ મુજબ તેમના માટે કચ્છની માંડવીની બેઠક યોગ્ય મનાતી હતી. એ બેઠક પર ગઢવી સમુદાય 5થી 7% જેટલી સંખ્યા ધરાવે છે. પરંતુ એ બેઠક પર આપે કોંગ્રેસમાંથી આવેલા કૈલાસ ગઢવીની ઉમેદવારી ક્યારની જાહેર કરી દીધી છે.
બાપુનગર કે નિકોલ બેઠક પરથી તેઓ ઉમેદવારી કરી શકે. અહીં તેમણે સીટિંગ એમએલએ હિંમતસિંહ પટેલ ઉપરાંત ભાજપના સંભવિત દાવેદાર અને પૂર્વ પોલીસ અધિકારી તરુણ બારોટ અથવા કોંગ્રેસમાંથી આવેલાં દિનેશ શર્મા સાથે ટક્કર ઝીલવાની થાય. નિકોલ બેઠક પર પાટીદાર, ઠાકોર, મુસ્લિમ અને પરપ્રાંતિય એવી વોટબેન્ક પર ઈસુદાન કેટલો આધાર રાખી શકે છે એ જોવું રહ્યું.
આ ઉપરાંત કચ્છમાં રાપર અને અબડાસા બેઠક પણ તેમના માટે આશાસ્પદ ગણાય છે. આ બંને બેઠકોમાં તેમને ગઢવી ઉપરાંત ક્ષત્રિય સમાજનો ટેકો મળી શકે છે. જ્ઞાતિ સમીકરણની દૃષ્ટિએ ઈસુદાન માટે આ બંને બેઠકો વધુ યોગ્ય મનાય છે.
ઈન્દ્રનીલ રાજ્યગુરુઃ ધનિક બ્રાહ્મણને ઈન્દ્રાસન દોહ્યલું
કોંગ્રેસમાંથી આપમાં આવેલાં ઈન્દ્રનીલના બે પ્લસ પોઈન્ટ છે. એક તો તેઓ ધનિક બ્રાહ્મણ છે અને બીજું કોઈથી ડરે નહિ એવી દબંગ છાપ ધરાવે છે. ‘હું મારી બ્રાહ્મણની ચોટલી છોડીશ તો…’ એવો તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે હુંકાર પણ કરી શકે છે અને ‘હા હું દારૂની પરમિટ ધરાવું છું’ એવો જાહેર એકરાર પણ કરી શકે છે.
અગાઉ રાજકોટ પૂર્વની બેઠક પરથી ચૂંટાયા પછી તેઓ ભાજપનો ગઢ ગણાતી રાજકોટ પશ્ચિમ બેઠક પર રૂપાણી સામે ઉતર્યા હતા અને આશરે 55 હજારે મતે હાર્યા છે. આ બેઠક પર બ્રાહ્મણ મતદારો ખૂબ મોટી સંખ્યામાં છે. પરંતુ આ બેઠક ભાજપનો અડીખમ ગઢ છે એટલે ઈન્દ્રનીલ માટે અહીંથી જીતવાનું સપનું ય સહેલું નથી.
પૂર્વની બેઠક પર તેઓ પાછા જાય તો પણ તેમને હવે ફાવટ મળે એમ નથી કારણ કે જીત્યા ત્યારે તેમની સામે ભાજપમાંથી કશ્યપ શુક્લ ઉમેદવાર હતા. પાટીદાર મતદારોની બહુમતી ધરાવતી એ બેઠક પર હવે ગોવિંદ પટેલ ધારાસભ્ય છે અને એમની ટીકિટ નિશ્ચિત મનાય છે. પાટીદાર ઉમેદવારની હાજરીમાં એ બેઠક જીતવી એ ઈન્દ્રનીલ જ નહિ, અન્ય જ્ઞાતિના કોઈપણ ઉમેદવાર માટે આસમાનમાંથી તારા તોડી લાવવા જેવી દુષ્કર ગણાશે.
આ પણ વાંચો: #ઝીણી નજરે: કોળી સમાજ ગુજરાતની સૌથી મોટી વોટબેન્ક, છતાં મુખ્યમંત્રીપદ કેમ નથી મળતું?
આ સિવાય ઈન્દ્રનીલ માટે ખાતરીપૂર્વકની કોઈ બેઠક નથી. અન્ય જિલ્લાઓમાં એમની એવી કોઈ વ્યાપક ઓળખ પણ નથી. એટલે બીજે બધે જ તેઓ સ્કાયલેબ કે પેરાશૂટ ઉમેદવાર ગણાઈ જવાની ભીતિ રહે છે. સરવાળે કેજરીવાલના ત્રણ એક્કા પૈકી એકાદ એક્કો વિધાનસભામાં જોવા મળે અને બાકીનાને ટીવી ડિબેટમાં સાંભળવાના રહે એવી સંભાવના હાલ જણાય છે.
Advertisement