મુંબઈઃ ચૂંટણી પંચે ભલે ઉદ્ધવ ઠાકરે જૂથ પાસેથી શિવસેનાનું નામ અને ચિહ્ન છીનવી લઈને એકનાથ શિંદે જૂથને આપી દીધા હોય, પરંતુ લડાઈ હજુ ચાલુ જ છે. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે અમે અમારી જાતને શિવસેના કહેતા રહીશું. એટલું જ નહીં નવેસરથી સંગઠનને મજબૂત કરવા માટે સમગ્ર મહારાષ્ટ્રનુંભ્રમણ કરવાની યોજનાની જાહેરાત કરતાં તેમણે કહ્યું કે અમે સમગ્ર રાજ્યમાં રેલીઓ યોજીશું.
Advertisement
Advertisement
ઉદ્ધવ ઠાકરેએ તેમના જૂથના નેતાઓના સ્વાગતમાં રત્નાગિરી ખેડમાં એક રેલીને સંબોધન કર્યું હતું. ઠાકરેએ ચૂંટણી પંચની ટીકા કરતાં કહ્યું કે ચૂંટણી પંચના આદેશ છતાં અમે અમારા જૂથને જ શિવસેના ગણાવતા રહીશું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ચૂંટણી પંચને મોતિયો આવી ગયો છે.પંચે સૌથી પહેલા ગ્રાઉન્ડ રિપોર્ટ જોવાની જરૂર છે. તેમણે કહ્યું કે મારે શું કરવાનું છે તે જનતાનો જનાદેશ નક્કી કરશે. જનતા જે નક્કી કરશે તે જ હું કરીશ.
ભાજપા પર નામ ચોરવાનો આરોપ
નામ ચોરાવવાનો ભાજપા પર આરોપ મૂકતાં ઉદ્ધવે કહ્યું કે તેમણે સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને હવે બાળાસાહેબ ઠાકરેનું નામ ચોરી લીધું છે. સરદાર પટેલે આરએસએસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.આ લોકોએ સરદાર પટેલનું નામ ચોરી લીધું છે. આ રીતે જ તેમણે સુભાષચંદ્ર બોઝ અને પછી બાળાસાહેબ ઠાકરે સાથે તેવું જ કર્યું છે. હું તેમને શિવસેના અથવા બાળાસાહેબ ઠાકરેના નામ પર નહીં મોદીના નામે વોટ માગવાનો પડકાર આપું છું.
ચૂંટણી પંચે શું કહ્યું ?
થોડાં દિવસ પહેલા ચૂંટણી પંચે આદેશ આપ્યો હતો કે શિવસેના અને પાર્ટીનું ચિહ્ન ધનુષ અને બાણ એકનાથ શિંદે જૂથ પાસે રહેશે. ભારતના ચૂંટણી પંચે જોયું કે શિવસેનાનું હાલનું બંધારણ બીનલોકશાહી છે. કોઈ પણ પ્રકારની ચૂંટણી યોજ્યા વિના એક જૂથના લોકોને બીનલોકશાહી રીતે હોદ્દેદારો તરીકે નિમણુંક આપવા માટે તેને વિકૃત કરી દેવાયું છે. આમ પક્ષનું માળખું વિશ્વાસ જાળવવામાં નિષ્ફળ રહે છે. ઉદ્ધવ ઠાકરે જૂથે પંચના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.
Advertisement