રજવાડાં નાબુદ થયે ભલે સાડા સાત દાયકા થયા હોય, પરંતુ રાજવી પરિવારનો દબદબો અને પ્રજામાનસમાં તેમનો પ્રભાવ આજે ય અકબંધ છે. કેટલાંક રાજવીઓ આઝાદી પછી સક્રિય રાજનીતિમાં ઝંપલાવીને લોકસમર્થન વડે વિધાનસભા, લોકસભામાં પણ પહોંચ્યાં છે. તેમાં રાજકોટના મનોહરસિંહ જાડેજાથી માંડીને વડોદરાના શુભાંગિની ગાયકવાડ સહિતના નામો લઈ શકાય. હવે તેમાં ભાવનગર સ્ટેટના પ્રિન્સ જયવીરરાજસિંહ ગોહિલનું નામ પણ સામેલ થાય તો નવાઈ નહિ.
Advertisement
Advertisement
બોડી બિલ્ડર યુવરાજ યુવાનોમાં ફેવરિટ
દેશની એકતા કાજે સર્વપ્રથમ પોતાનું રાજ્ય અર્પણ કરી દેનાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રત્યેનો લોકઆદર નૈસર્ગિક હોય એ સહજ છે. કૃષ્ણકુમારસિંહજીના બીજા નંબરના પુત્ર શિવભદ્રસિંહજી તળાજા બેઠક પરથી બે ટર્મ માટે ધારાસભ્ય બન્યા હતા. એ સિવાય ભાવનગરનો રાજવી પરિવાર સક્રિય રાજનીતિથી દૂર રહે છે. વર્તમાન મહારાજા વિજયરાજસિંહ પણ જાહેરજીવનથી મોટાભાગે અલિપ્ત રહેવા ટેવાયેલા છે. જોકે તેમના પુત્ર જયવીરરાજસિંહ ભાવનગર જ નહિ, રાજ્યભરના યુવાઓમાં ભારે લોકચાહના ધરાવે છે. બોડી બિલ્ડિંગનો શોખ ધરાવતા જયવીરરાજ કદાવર બાંધો અને સ્નાયુબદ્ધ શરીર ધરાવતા હોવાથી સોશિયલ મીડિયામાં તેમના ફેન-ફોલોઅર્સ ભારે મોટી સંખ્યામાં છે. મજબૂત બાવડા બનાવવા માટે વજનદાર મગદળ સલૂકાઈથી ફેરવતા જયવીરરાજના વીડિયો યુટ્યૂબ અને અન્ય પ્લેટફોર્મ પર લાખોની સંખ્યામાં જોવાતાં હોય છે. મિતભાષી અને સરળ પ્રકૃતિના યુવરાજ ભાવનગર જ નહિ, સમગ્ર સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજમાં ભારે આદરભર્યું સ્થાન ધરાવે છે. કૂળદેવી ખોડિયાર માતાના દર્શને જાય ત્યારે પણ સરેરાશ લોકોની સાથે શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ઊભા રહેતાં હોવાથી જનસમાજમાં સહુ કોઈ તેમને માન આપે છે.
ગોહિલવાડ ક્ષત્રિય સમાજનો કચવાટ
જિલ્લામાં લગભગ અઢી લાખ જેટલી જનસંખ્યા ધરાવતા ક્ષત્રિય સમાજનો રાજનીતિમાં મોભો રહ્યો છે. એક તબક્કો એવો હતો કે ગોહિલવાડ તરીકે ઓળખાતા ભાવનગર જિલ્લામાં વિધાનસભાની દસમાંથી અડધોઅડધ બેઠકો પર ક્ષત્રિય ઉમેદવારો જીતતા હતા. ભાવનગરની લોકસભા બેઠક પર પણ રાજેન્દ્રસિંહ રાણા જેવા ક્ષત્રિયે સળંગ પાંચ ટર્મ પ્રતિનિધિત્વ કર્યું છે. હવે સ્થિતિ એવી છે કે જિલ્લાની રાજનીતિમાંથી ક્ષત્રિયોને પોતાનો સાવ એકડો નીકળી ગયો હોય તેવી લાગણી અનુભવાય છે. લોકસભાની બેઠકમાં ક્ષત્રિયોને ટીકિટ મળતી નથી. વિધાનસભામાં કોંગ્રેસ ક્ષત્રિય ઉમેદવારોને ટિકિટ આપે છે, પણ કોંગ્રેસના ઉમેદવાર જીતતા નથી અને ભાજપ ક્ષત્રિયો સાથે ઓરમાયું વર્તન રાખતો હોવાની છાપ છે. ભાજપ ક્ષત્રિય નેતાઓને સંગઠનમાં મોભાનું સ્થાન આપે છે પણ વિધાનસભાની ટીકિટની ફાળવણીમાં ક્ષત્રિયોને યોગ્ય પ્રતિનિધિત્વ મળતું ન હોવાની લાગણી પંદરેક દિવસ પહેલાં ગોહિલવાડ ક્ષત્રિય સમાજની બેઠકમાં વ્યક્ત કરવામાં આવી હતી. આ વખતે દરેક રાજકીય પક્ષે ક્ષત્રિયોને ત્રણ-ત્રણ ટીકિટ ફાળવવી જોઈએ એવી માગણી છે. આ બેઠકમાં દરેક રાજકીય પક્ષોના નેતાઓ પણ હાજર હતા.
આ પણ વાંચો: #ઝીણી નજરે: કોળી સમાજ ગુજરાતની સૌથી મોટી વોટબેન્ક, છતાં મુખ્યમંત્રીપદ કેમ નથી મળતું?
કારડિયા રાજપૂત સમાજ પણ નારાજ
ભાવનગર જિલ્લામાં નોંધપાત્ર વસ્તી ધરાવતો કારડિયા રાજપૂત સમાજ પણ ભાજપ પ્રત્યે હાલ નારાજ છે. કેટલાંક વર્ષ પહેલાં હાલના કેબિનેટ મંત્રી અને તત્કાલીન પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણી સામે બુધેલ ગામના દાનસિંહ મોરીએ બાંયો ચડાવી હતી. એ વખતે સમસ્ત કારડિયા સમાજે દાનસિંહનું સમર્થન કર્યું હતું. માંડ તેમાં સમાધાન થયા પછી હાલમાં ફરીથી ભાજપ અને કારડિયા સમાજ વચ્ચે કડવાશ ઊભી થઈ છે. તેમાં નિમિત્ત બન્યાં છે જિલ્લા ભાજપપ્રમુખ મુકેશ લંગાળિયા. પક્ષના એક કાર્યક્રમ દરમિયાન તેમણે ‘ભાજપ મોટો કે કારડિયા સમાજ?’ એવો વિવાદાસ્પદ પ્રશ્ન કર્યો હતો. આ ઓડિયો ક્લિપ વાયરલ થતાં કારડિયા સમાજે ભારે ઉગ્રતાપૂર્વક નારાજગી અને આક્રોશ વ્યક્ત કર્યા હતા તેમજ લંગાળિયાના રાજીનામાની માંગ કરી હતી. હાલ જિલ્લા પ્રમુખે માફી માંગીને અને રાજીનામું આપીને મામલો થાળે પાડવાની કોશિષ કરી છે, પરંતુ ભાજપ હાઈકમાન્ડે રાજીનામું સ્વીકાર્યું નથી. હવે ટિકિટની ફાળવણીમાં ક્ષત્રિય સમાજની અવગણના થશે તો આ વિવાદ ફરીથી તૂલ પકડી શકે છે.
આપ પછી હવે ભાજપ નિલમબાગના શરણે
રાજ્યની માફક ભાવનગર જિલ્લામાં પગ જમાવવા મથતી નવોદિત આમઆદમી પાર્ટી કરિશ્માઈ ચહેરા તરીકે પ્રિન્સ જયવીરરાજને આકર્ષિત કરવા મથે છે. એવું કહેવાય છે કે બે અઠવાડિયા પહેલાં કેજરીવાલના ભાવનગર પ્રવાસ વખતે આમઆદમી પાર્ટીના એક ટોચના નેતાએ ભાવનગરના રાજવીઓના સત્તાવાર નિવાસસ્થાન નિલમબાગ પેલેસમાં ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. આ બેઠકના સમાચાર વહેતા થયા પછી ભાજપને ય પેટમાં ફાળ પડે તે સ્વાભાવિક છે. જયવીરરાજસિંહ જો આપના ઉમેદવાર બને તો સમગ્ર જિલ્લાનું દૃષ્ય બદલાઈ જાય અને પછી એકે ય ફેક્ટર અહીં ભાજપને સરસાઈ ન અપાવી શકે. આથી કેજરીવાલના પ્રવાસ પછી તરત ભાવનગર પહોંચેલા સી.આર.પાટિલે પણ નિલમબાગ પેલેસ જઈને જયવીરરાજ સાથે બેઠક કરી હતી. કહેવા માટે આ બેઠક શુભેચ્છા મુલાકાત હોવાનું જાહેર કરાયું હતું પરંતુ અંદરખાને પ્રિન્સને આમઆદમી પાર્ટી તરફ ન ઢળવા અને સક્રિય રાજનીતિમાં ઉતરવું જ હોય તો ભાજપના ઉમેદવાર બનવા કહેણ અપાયું હોવાનું કહેવાય છે. એ પછી ભેદી રીતે જયવીરરાજસિંહની સક્રિયતામાં ઘટાડો પણ થયો છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ તાલાળા (ગીર): ભાજપના વાવાઝોડાંમાં કોંગ્રેસના પડી ગયેલા આંબા ફરી ઊભા થશે ખરાં?
ક્ષત્રિયોને સાચવે તો વાઘાણીને ક્યાં સાચવે?
ભાવનગર પશ્ચિમની બેઠક પર ક્ષત્રિય સમાજના મતદારોની સંખ્યા લગભગ 40 હજાર જેટલી છે. હાલ આ બેઠક પરથી જીતુ વાઘાણી ચૂંટાતા આવે છે. ભાજપ જો અહીં ક્ષત્રિય સમાજના ઉમેદવારને તક આપે તો વાઘાણીએ બેઠક બદલવી પડે. તેમના માટે ગારિયાધારની પાટીદાર પ્રભાવિત બેઠક યોગ્ય મનાય છે. આ બેઠકના વર્તમાન ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી સળંગ સાત ટર્મ જીત્યા પછી હવે વયના કારણે નિવૃત્ત થવાના છે. જોકે વાઘાણી કોઈપણ હિસાબે ભાવનગર પશ્ચિમની બેઠક છોડવા તૈયાર નથી. એ સંજોગોમાં હવે વાઘાણીને રાજી રાખવા કે ક્ષત્રિય સમાજને એ સવાલ ભાજપની થિન્ક ટેન્ક માટે માથાનો દુઃખાવો બનવાનો છે. જયવીરરાજ ભાવનગરને બદલે પાલિતાણા માટે રાજી થાય તો જ ભાજપને હાશકારો થાય. અન્યથા 2017માં જેમ અમરેલી અને ગીર સોમનાથ ભાજપ માટે સરદર્દ બન્યા હતા તેમ આ વખતે ભાવનગર જિલ્લો પડકારજનક બને એવી પૂરી શક્યતા છે.
Advertisement