દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. વડા પ્રધાન મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનપૂજા બાદ નવનિર્મિત સંસદ ભવનને દેશને સમર્પિત કર્યું હતું. અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (28 મે) ના રોજ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે વહેલી સવારે સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી સાથે લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ હાજર રહ્યા હતા. નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પહેલા પીએમ મોદી અને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ નવા સંસદ ભવનમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Advertisement
Advertisement
કાર્યક્રમની શરૂઆતમાં પૂજારીઓએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પીએમ મોદીને રાજદંડ સોંપ્યો હતો. રાજદંડ લેતા પહેલા પીએમ મોદીએ સેંગોલને નમન કર્યા હતા. આ પછી, લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મળીને તેમણે નવા સંસદભવનમાં સેંગોલની સ્થાપના કરી, સમારોહની શરૂઆત પૂજા સાથે થઈ હતી. આ કાર્યક્રમ લગભગ એક કલાક ચાલ્યો હતો.
પીએમ મોદીએ શ્રમજીવીઓનું સન્માન કર્યું
નવા સંસદભવનનું ઉદઘાટન કર્યા બાદ પીએમ મોદી બિલ્ડિંગનું નિર્માણ કરનારા કામદારોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે આ કામદારોનું સન્માન પણ કર્યું હતું. લોકસભા સ્પીકરની ખુરશીની પાસે સંગોલ મૂકવામાં આવ્યું હતું, ત્યારબાદ પીએમ મોદીએ સેંગોલ સમક્ષ નમન કર્યું હતું.
દિલ્હી અને હરિયાણા બોર્ડર સીલ
કુસ્તીબાજોના સમર્થનમાં નવી સંસદની સામે યોજાનારી મહિલા મહાપંચાયતને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી પોલીસે રાજધાની દિલ્હી અને હરિયાણા વચ્ચેની બોર્ડરને સંપૂર્ણપણે સીલ કરી દીધી છે. દિલ્હીમાં નવા સંસદ ભવન સામે મહિલા ખાપ પંચાયતની જાહેરાત બાદ હરિયાણા પોલીસે તેની સુરક્ષા વધારી દીધી છે અને દિલ્હી-રોહતક નેશનલ હાઈવે પર સ્થિત રોહદ ટોલ પ્લાઝા પર મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરી દીધા છે. ખાપના પ્રતિનિધિઓને દિલ્હી જતા રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે.
Advertisement