‘કચ્છડો બારે માસ’ એ કહેવત કમ સે કમ ભાજપ માટે તો સાચી પડતી રહી છે. ભૂકંપ પછી ગુજરાતની ગાદીએથી કેશુભાઈને હટાવીને નરેન્દ્ર મોદીને બેસાડવામાં નિમિત્ત બનેલા કચ્છ જિલ્લાની ભૂકંપ પછી કાયાપલટ થઈ તેનું સઘળું શ્રેય નરેન્દ્ર મોદીને અપાતું રહ્યું છે અને બદલામાં કચ્છના મતદારો પણ પ્રત્યેક ચૂંટણીમાં ભાજપ પર ઓળઘોળ થતાં રહ્યાં છે. ૨૦૧૭માં અબડાસા અને રાપરને બાદ કરતાં કચ્છ જિલ્લાની ૬ વિધાનસભા બેઠકો પૈકી ભુજ, માંડવી, ગાંધીધામ અને અંજાર એ ચાર બેઠક પર ભાજપને સફળતા મળી હતી. અબડાસાના કોંગ્રેસના ધારાસભ્યને પક્ષપલટો કરાવીને ભાજપે વધુ એક બેઠક ગૂંજે ભરી હતી. પરંતુ બારે માસ રીઝતો કચ્છડો આ ચૂંટણીમાં ભાજપને ફિફ્ટી-ફિફ્ટી રમાડે એવી પૂરી શક્યતા છે.
Advertisement
Advertisement
અબડાસાઃ ગુજરાત વિધાનસભાની બેઠક વ્યવસ્થામાં પ્રથમ ક્રમ ધરાવતી આ બેઠક પર મુસ્લિમ મતદારોનું મોટું પ્રમાણ હોવાથી ભાજપે અહીં અનેકવિધ દાવપેચ રમવા પડે છે. વર્તમાન ધારાસભ્ય અને આ ચૂંટણીના ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ જાડેજા કોંગ્રેસની ટીકિટ પર ચૂંટાઈને પછી પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા છે. પેટાચૂંટણીમાં અપક્ષ મુસ્લિમ ઉમેદવાર 24000 જેટલાં મત લઈ ગયા હોવાથી કોંગ્રેસને ફટકો પડ્યો હતો. આ વખતે કોંગ્રેસે પૂરતી તકેદારી રાખી છે. જાડેજા સામે અહીં સ્થાનિક મુસ્લિમ અગ્રણી મામદ જતને ઉતાર્યા છે. જાડેજાને ભાજપનું સ્થાનિક સંગઠન હૃદયપૂર્વક સ્વીકારતું નથી અને જનતામાં તેમની દબંગ છબી પણ તેમને નડી રહી જણાય છે. આ બેઠક માટે કોંગ્રેસ આશાવાદી રહી શકે છે.
માંડવીઃ રળિયામણો સાગરતટ ધરાવતી આ બેઠક પર ભાજપે કચ્છના દિગ્ગજ નેતા, પૂર્વ સાંસદ અનંત દવેના ભત્રીજા અનિરુદ્ધ દવેને પસંદ કર્યા છે. સ્થાનિક સ્તરે નોંધપાત્ર હાજરી ધરાવતા અનિરુદ્ધ દવે સામે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ જાડેજા અને આપના કૈલાસ ગઢવીની ટક્કર છે. અહીં ક્ષત્રિય મતદારો નોંધપાત્ર છે પરંતુ આપના ઉમેદવાર ગઢવી પણ તેમાં ભાગ પડાવી શકે છે. સામે ભાજપના ઉમેદવારની સ્વચ્છ છબી તેમને મદદરૂપ થાય છે. ભાજપ આ બેઠક માટે નિશ્ચિંત હોય તો ખોટું નથી.
ભુજ: આ બેઠક પરથી ચૂંટાયેલાં ડો.નીમાબહેન વિધાનસભાના અધ્યક્ષ હતાં અને વયમર્યાદાના નામે આ વખતે તેમને ટીકિટ આપવામાં આવી નથી. ડો.નીમાબહેન ગાંધીધામ રહેતાં હોવાથી અહીં આયાતી ગણાતાં હતાં પરંતુ તેમનો સ્થાનિક પ્રભાવ કોઈ નકારી ન શકે. આ ચૂંટણીમાં તેમની નિષ્ક્રિયતા ઊડીને આંખે વળગે એવી છે. અહીં ભાજપના કેશવલાલ પટેલ અને આપના ઉમેદવાર રાજેશ પાન્ડોરિયા કડવા પાટીદાર છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અરજણ ભુડિયા લેઉવા પટેલ છે. સંખ્યાની દૃષ્ટિએ અહીં ૨૪ ગામ લેઉવા પટેલ સમાજનું વર્ચસ્વ છે. અહીં કોંગ્રેસનું જોર ખાસ્સું જોવા મળે છે. બન્ની વિસ્તારના મુસ્લિમો સાધારણ રીતે ભાજપના સમર્થક મનાય છે પરંતુ આ વખતે ત્યાં પણ ભાજપવિરોધી લહેર જોવા મળે છે. કચ્છની આ શિરમોર ગણાતી બેઠક ભાજપે ગુમાવવી પડે એવી સ્થાનિક ચર્ચા સાવ બેવજૂદ નહિ ગણાય.
અંજારઃ કચ્છના રૂડાં શહેર તરીકે જાણીતાં અંજારમાં ભાજપે વિવાદાસ્પદ વાસણ આહિરને કાપીને ત્રિકમ છાંગાને પસંદ કર્યા છે. સામે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ડાંગર પણ આહિર છે જ્યારે આપના ઉમેદવાર અરજણ રબારી છે. અહીં આહિર મતોનું પ્રભુત્વ છે. વાસણ આહિર પોતાની ટીકિટ કપાયા પછી પણ ત્રિકમ છાંગાને નાનોભાઈ ગણાવીને જીતાડવાની અપીલ કરી રહ્યાં છે. ભાજપ આ બેઠક જાળવી શકે છે.
આ પણ વાંચો: #ઝીણી નજરે રાજકોટ સહિત આ 5 જિલ્લામાં ભાજપનો રથ મોખરે, ઈસુદાન, પબુભા માટે મુશ્કેલી
ગાંધીધામઃ ગુજરાત ભાજપને મળતાં ફંડનો લગભગ પચીશ ટકા હિસ્સો ગાંધીધામ-કંડલાથી મળતો હોવાનું કહેવાય છે. આ વિસ્તારમાં ભાજપના જૂના જોગી રમેશ મહેશ્વરીની મજબૂત પકડ છે. તેમનાં ભાણી માલતી મહેશ્વરી બીજી ટર્મ માટે અહીં ભાજપના ઉમેદવાર છે. તેમને જીતાડવા મામા પૂરી મહેનત કરી રહ્યા છે. આપના ઉમેદવાર બી.ટી.મહેશ્વરી પણ મહેશ્વરી સમાજના મતમાં ભાગલા પડાવી શકે છે પરંતુ એથી કોંગ્રેસના ઉમેદવાર ભરત સોલંકીને ખાસ ફાયદો થઈ શકે તેમ જણાતું નથી. તિજોરી જેવી આ બેઠક માટે ભાજપે ભીતિ રાખવાની જરૂર લાગતી નથી.
રાપરઃ સૌરાષ્ટ્રમાં જે સ્થાન ગોંડલનું છે એ કચ્છમાં રાપર બેઠકનું ગણી શકાય. અહીં ભાજપે ગત ચૂંટણીમાં માંડવીથી ચૂંટાયેલાં વિરેન્દ્રસિંહ જાડેજાને ઉતાર્યા છે જે સ્થાનિક સ્તરે બાહુબલીની છબી ધરાવે છે. વિરેન્દ્રસિંહ જાડેજા કચ્છ ક્ષત્રિય સમાજના પ્રમુખ હોવાથી કચ્છની તમામ બેઠકો પર અસર પાડી શકે છે. તેમની સામે મજબૂત મની પાવર ધરાવતા બચુ અરેઠિયા મેદાનમાં છે. ગત ચૂંટણીમાં બચુભાઈના પત્ની સંતોક અરેઠિયા અહીંથી જીત્યા હતા. અહીં મસલ પાવર વિ. મની પાવરની લડાઈમાં બંને પક્ષ પૂરી તાકાત અજમાવી રહ્યા છે. આ બેઠક અંગે કોઈ અનુમાન થઈ શકે તેમ નથી.
Advertisement