મધ્ય ગુજરાતની સરહદ પૂરી થાય અને દક્ષિણ ગુજરાત શરૂ થાય તેનાં સીમાડે નર્મદા જિલ્લામાં આવેલી નાંદોદ (રાજપીપળા) બેઠક અનુસુચિત જનજાતિ માટે અનામત છે અને ચૂંટણીપંચ દ્વારા તેને 148મો ક્રમ મળેલો છે. નાંદોદ શબ્દ મૂળભૂત રીતે નર્મદોદ્ (એટલે કે નર્મદાના આરંભ)માંથી આવેલો મનાય છે. રાજપીપળા નાંદોદ તાલુકા અને નર્મદા જિલ્લાનું મુખ્ય મથક છે. ભાવનગરના ગોહિલવંશનો એક ફાંટો અહીં પહોંચ્યો હતો અને નર્મદાકાંઠે ગાદી સ્થાપી હતી. આજે પણ વાડિયા પેલેસ સહિત ગોહિલવંશી રાજવીઓએ બાંધેલાં કલાત્મક રાજમહેલો માટે રાજપીપળા વિખ્યાત છે. નિસર્ગે છૂટા હાથે ભેટ આપેલું સૌંદર્ય ધરાવતો આ વિસ્તાર ગુજરાતી, હિન્દી ફિલ્મોના શૂટિંગ માટે ભારે લોકપ્રિય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ પછી અહીં પ્રવાસનને ભારે વેગ મળવાની ધારણા છે. બેઠકપુરાણ નાંદોદ
Advertisement
Advertisement
મિજાજઃ
રાજપીપળા એક સમયે નર્મદા નદીની નૈસર્ગિક સરહદને લીધે બાકીના ગુજરાતને જોડતું બારું ગણાતું હતું. ગાઢ જંગલો, સમૃદ્ધ વન્યસંપત્તિ અને ખનીજસંપત્તિ ધરાવતા આ વિસ્તારનો આઝાદી પછી જોઈએ એવો વિકાસ ન થયો હોવાની લાગણી અહીં વ્યાપક છે. રાજકીય દૃષ્ટિકોણ અહીં સતત બદલાતો રહે છે. ગુજરાત રાજ્યની સ્થાપના પછી ત્રીશ વર્ષ સુધી કોંગ્રેસનો ગઢ ગણાતો હતો તેમાં હવે ભાજપે પૂરતી ફાચર મારી દીધી છે. છતાં હજુ ય અહીં કોઈ એક પાર્ટીનો દબદબો હોવાનું કહી શકાય તેમ નથી. રાજપીપળા સહિતનો સમગ્ર નાંદોદ તાલુકો, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકો પણ આ બેઠકમાં સામેલ છે. અહીં આદિવાસીઓના પેટા પ્રકાર બહુ વિશિષ્ટ છે. આદિવાસી સંસ્કૃતિ જેટલી ભાતીગળ છે એટલાં જ પેચીદા અહીંના જ્ઞાતિ, પેટાજ્ઞાતિના સમીકરણો હોય છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | પ્રેમસિંહ વસાવા | કોંગ્રેસ | 1236 |
2002 | હર્ષદભાઈ વસાવા | ભાજપ | 18304 |
2007 | હર્ષદભાઈ વસાવા | ભાજપ | 631 |
2012 | શબ્દશરણ તડવી | ભાજપ | 15727 |
2017 | પ્રેમસિંહ વસાવા | કોંગ્રેસ | 6329 |
કાસ્ટ ફેબ્રિક
અહીં આદિવાસી મતદારોની સંખ્યા આશરે સવા લાખથી વધુ અને દોઢ લાખથી ઓછી હોવાનું મનાય છે. જોકે તેમાં તડવી, વસાવા, ભીલ જેવા પેટાપ્રકારો અને એમની વચ્ચેનું આંતરિક રાજકારણ બહુ પ્રબળ ગણાય છે. દરેક રાજકીય પક્ષે ઉમેદવાર નક્કી કરતાં પહેલાં આ પેચીદા આંતરિક સમીકરણો સમજવા અનિવાર્ય છે. તડવી મતદારો સૌથી વધુ અને પ્રભાવશાળી છે. એ પછીના ક્રમે વસાવા પેટાજાતિ આવે છે. એ ઉપરાંત પાટીદાર અને બ્રાહ્મણ, વાણિયા, ક્ષત્રિય મતદારોની સંયુક્ત સંખ્યા 32,000 જેટલી છે. મુસ્લિમ અને દલિત મતદારો અનુક્રમે 15 અને 18 હજાર જેટલાં છે. જોકે આ બેઠક પર આદિવાસી સિવાય બીજા કોઈ જ્ઞાતિ સમુદાયના ઉમેદવાર જીતે નહિ એ નિશ્ચિત છે. જ્ઞાતિ સમીકરણો ઉપરાંત અહીં છોટુભાઈ વસાવા પરિબળને પણ ધ્યાનમાં લેવું પડે. છોટુભાઈ વસાવાનો ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી) આ વિસ્તારમાં ખાસ્સો પ્રભાવ ધરાવે છે. પાડોશની ડેડિયાપાડા અને ઝગડિયા બેઠક પર છોટુભાઈનો કબજો છે. ગત ચૂંટણીમાં તેમણે પી.ડી.વસાવા સામે ઉમેદવાર રાખવાનું ટાળીને તેમની જીત આસાન બનાવી હતી. અલબત્ત, આ વખતે ય એવું થશે કે કેમ એ કહી શકાય નહિ.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ડભોઈઃ ભાજપ ફરી જાયન્ટ કિલર બનશે કે જાયન્ટ મેદાનમાં જ નહિ આવે?
સમસ્યાઓઃ
વિકાસની મુખ્યધારાથી આ વિસ્તાર વેગળો પડી રહ્યો હોવાની સ્થાનિક સ્તરે કાયમી ફરિયાદ છે. મોટા ઉદ્યોગોની ગેરહાજરી અને પર્યાવરણ સંબંધિત કઠોર નિયમોને લીધે અહીં સરકાર સાથે સ્થાનિક સ્તરે ઘર્ષણ વારંવાર થતું રહે છે. રાજપીપળા અને આસપાસના ગામો વચ્ચે રસ્તાની કે વાહન વ્યવહારની સુવિધા પણ અહીં ધોરણસરની થઈ નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટના પગલે ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરાતાં સ્વયં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ સરકારની કડક આલોચના કરવી પડી હતી. જળ, જમીન અને જંગલ પરના આદિવાસીઓના અધિકાર પર સરકાર તરાપ મારવા ઈચ્છતી હોવાની લાગણી પ્રબળ છે. બેઠકપુરાણ નાંદોદ
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
પ્રેમસિંહ વસાવા આ વિસ્તારના જૂના જોગી છે અને સ્થાનિક સ્તરે તેમની પકડ મજબૂત છે. સાત વખત ચૂંટણી લડીને ચાર વખત ધારાસભ્ય બનવામાં તેઓ સફળ રહ્યા છે. તડવી સમુદાય સાથે પણ તેઓ સંતુલન સાધી જાણે છે. પાટીદારો સાથે પણ 2017માં તેમણે મનમેળ સાધી લીધો હતો. પરંતુ હાલમાં કોંગ્રેસ જીલ્લા પ્રમુખ તરીકે પાટીદારને સ્થાન ન મળતાં આ વખતે પાટીદાર સમાજ તેમની વિરુદ્ધમાં જાય એવી શક્યતા છે. પી.ડી.વસાવા આ વખતે પણ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરશે એ નિશ્ચિત મનાય છે. જિલ્લા અને તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનું વર્ચસ્વ છે એ પ્લસ પોઈન્ટ બની રહેશે. પરંતુ જીત નિશ્ચિત કરવા માટે કોંગ્રેસે છોટુભાઈ વસાવા માટે આ બેઠક પૂરતી સમજુતી કરવી અનિવાર્ય ગણાશે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ભાવનગર (પશ્ચિમ): બે ટર્મથી જીત અપાવતા જીતુભાઈની હેટ્રિક સામે ક્ષત્રિયવટનો પડકાર
હરીફ કોણ છે?
કોંગ્રેસમાંથી પ્રેમસિંહ ઉર્ફે પી.ડી.વસાવા લગભગ બિનહરિફ છે એ સંજોગોમાં ભાજપ તરફથી જૂના જોગી શબ્દશરણ તડવી ફરીથી દાવેદારી કરી રહ્યા છે. શબ્દશરણને હારેલા ઉમેદવાર તરીકે ભાજપ ખારિજ કરે તો તડવી, ભીલ કોમ્બિનેશન ઉપરાંત પાટીદાર સમાજને સાથે રાખી શકે એવા ઉમેદવારની ભાજપને શોધ રહેશે. ગત ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસર હેઠળ સ્થાનિક પાટીદાર મતદારો ભાજપની વિરુદ્ધમાં હતાં, જે આ વખતે ભાજપની સાથે છે એ ભાજપનો પ્લસ પોઈન્ટ છે. બેઠકપુરાણ નાંદોદ
ત્રીજું પરિબળઃ
આદિવાસી આંદોલનના માધ્યમથી આ વિસ્તારમાં આમઆદમી પાર્ટીએ સારો એવો પગપેસારો કરી લીધો છે. છોટુ વસાવા સાથેનું ગઠબંધન તૂટી ગયું છે. હવે આમઆદમી પાર્ટીએ ડો. પ્રફુલ વસાવાને આ બેઠકના ઉમેદવાર જાહેર કરી દીધા છે. અલબત્ત, તેઓ સ્થાનિક ન હોવાના મુદ્દે તેમની સામે આપ પાર્ટીના તાલુકા, જિલ્લા સંગઠને ભારે વિરોધ નોંધાવીને ઉમેદવાર બદલવાની માંગ કરેલી છે. એકંદરે આમઆદમી પાર્ટી અહીં ભાજપ કે કોંગ્રેસની સરસાઈ ઘટાડવા સિવાય પરિણામમાં નોંધપાત્ર બની શકે તેમ હાલ જણાતું નથી.
આ પણ વાંચો: #બેઠકપુરાણ છોટાઉદેપુરઃ કોંગ્રેસી વેવાઈઓના ઝગડામાં ગઢ તોડવા ભાજપ આશાવાદી
Advertisement