તુંવર મુજાહિદ, ગુજરાત એક્સક્લૂઝિવ: 26 સપ્ટેમ્બરે કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતની મુલાકાત લેવાના છે. શક્યતા નહિંવત છતાંય એવા પણ તર્ક-વિતર્ક છે કે દિવાળી પહેલા ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022ની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીની જાહેરાત પહેલા બધા જ રાજકીય પક્ષો પોત-પોતાની તૈયારીઓમાં છે. આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને એમઆઈએમની એન્ટ્રી પણ થઈ ચૂકી છે. તેવી પરિસ્થિતિમાં કેટલીક સીટોના સમીકરણ બદલાયા છે.
Advertisement
Advertisement
બદલાયેલા સમીકરણમાં બીજેપી અને મુખ્યતા કોંગ્રેસને મોટી ખોટની સંભાવના ગર્ભવત છે. જોકે અત્યારે અમે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જિજ્ઞેશ મેવાણી હોટ સીટ વડગામ પર ચર્ચા કરવા જઈ રહ્યાં છીએ. વડગામ સીટ પર એઆઇએમઆઇએમ (AIMIM) અને આમ આગમી પાર્ટી પણ ચૂંટણી લડે તેવી શક્યતા છે.
વડગામ વિધાનસભા સીટ પર અસદુદ્દિન ઔવેસી એક વખત પ્રચાર કરી ચૂક્યા છે, બીજી વખત આવવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. ઔવેસી 24 સપ્ટેમ્બરે એક વખત ફરીથી ગુજરાતમાં આવી રહ્યાં છે. તેઓ વડગામ સીટ પર પણ પ્રચાર કરવા જઈ શકે છે. ઉલ્લેખનિય છે કે ગત્ત વખતે જ્યારે ઔવેસીએ છાપીમાં પોતાની રેલી રાખી હતી, ત્યારે મોટા પ્રમાણમાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા.
તે ઉપરાંત વડગામ વિધાનસભા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓએ મગરવાડા ખાતે વિશ્વાસ સંમેલન દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટિલના હસ્તે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટીકિટ પરથી મણિભાઈએ વડગામની સત્તાં હાંસલ કરી હતી.
ઔવેસી અને મણીભાઈ વાઘેલાની એન્ટ્રીથી જીજ્ઞેશ મેવાણીની મુશ્કેલીઓમાં અનેક ગણો વધારો થઈ ગયો છે. વડગામ સીટ પરથી જીજ્ઞેશ મેવાણી પાછળ મુસ્લિમ મતદાતાઓએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. પરંતુ ઔવેસીની એન્ટ્રીથી તેમાં ભંગાણ પડશે તેમાં શંકાને કોઈ જ સ્થાન નથી. તો બીજી તરફ મણીભાઈના આવવાથી દલિત સહિતના મતોના સમીકરણ પણ બદલાઈ જશે.
ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જીજ્ઞેશ મેવાણી પોતાના હરિફ ચક્રવર્તી વિજય કુમાર સામે માત્ર 19,696 મતથી જીત મેળવી હતી. જોકે, આ વખતે બદલાયેલા સમીકરણના કારણે તેમાં અથાગ ફેરફાર થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
આ પણ વાંચો : વિશ્વાસથી વિકાસ યાત્રા દરમિયાન કેબિનેટ મંત્રી પ્રદિપ પરમારે ખાલી ખુરશીઓને આપ્યું ભાષણ
મુસ્લિમ સમાજ જિજ્ઞેશથી નારાજ
સુત્રોના જણાવ્યા અનુસાર, મુસ્લિમ સંસ્થાઓના વિરૂદ્ધ જિજ્ઞેશ મેવાણી દ્વારા કથિત રીતે આપેલા એક વિવાદાસ્પદ નિવેદનના કારણે મુસ્લિમ સમાજ તેનાથી નારાજ ચાલી રહ્યો છે. 2017થી પહેલા મેવાણી દ્વારા દલિત-મુસ્લિમ એકતા મંચની સ્થાપના કરી હતી, જે કારણે મુસ્લિમ સમાજમાં મેવાણીને લઈને સકારાત્મક વિચારસરણી ધરાવતા હતા. પરંતુ ચૂંટણી જીત્યા પછી અન્ય નેતાઓની જેમ મેવાણીએ મુસ્લિમોને હાંસિયા પર ધકેલી દીધા જેના કારણે મુસ્લિમ મતાદાતાઓ મેવાણીને આગામી ચૂંટણીમાં સાથ આપશે કે નહીં તે અંગે મૂંઝવણીની સ્થિતિ બનેલી છે.
નારાજ મુસ્લિમ મતાદાતઓને મનાવવા માટે મેવાણીએ પ્રતિષ્ઠિત મુસ્લિમ ચહેરાઓને પોતાના વિધાનસભા ક્ષેત્રમાં મોકલીને તેમની નારાજગીને દૂર કરવાનું કામ કરી રહ્યાં છે. બીજી તરફ આ વખતે વડગામના મુસ્લિમ સમાજને એમઆઈએમનો સાથ મળી રહ્યો છે, તેવામાં તેઓ કોંગ્રેસ અથવા જિજ્ઞેશ મેવાણી સાથે જશે કે નહીં તે પણ એક પ્રશ્ન છે.
ઉલ્લેખનિય છે કે વડગામની રિઝર્વ સીટ ઉપર એમઆઈએમની ટીકિટ થકી કોઈ દલિત ચહેરો જ સામે આવી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને એમઆઈએમ દ્વારા પોતાનો સ્લોગન પણ આપ્યો છે- જય ભીમ જય મીમ. પાર્ટી દાવો પણ કરી રહી છે કે, અમે માત્ર મુસ્લિમ જ નહીં પરંતુ ગરીબ અને છેવાડાના માનવીનો અવાજ બનીશું. તેમની સમસ્યાઓનો ઉકેલ લાવીશું.
ઔવેસીની પાર્ટી દ્વારા અમદાવાદ શહેરમાં દલિતોને મોટી જવાબદારીઓ આપી છે. તેથી દલિત સમુદાયના લોકો પણ ઔવેસીની પાર્ટી તરફ આકર્ષાઇ શકે છે.
ગત 2017ની ચૂંટણી સમયે આ બેઠક પર વિજેતા થયેલા જીગ્નેશ મેવાણીને 95,447 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ચક્રવર્તી વિજયકુમાર હરખાભાઈને 75,801 મત મળ્યા હતા. બંને ઉમેદવાર વચ્ચે 20 હજાર મતનો તફાવત હતો.
ગત્ત પાંચ વર્ષમાં પરિસ્થિતિ ઘણી બદલાઇ છે. વડગામના મજબૂત દલિત નેતા મણીભાઈ વાઘેલા જેમની સુરક્ષિત સીટ પર જીજ્ઞેશનું પેરાશૂટ લેન્ડિંગ કરાયું હતું, તેઓ હત્તાશ થઈને ભાજપમાં જોડાઇ ગયા છે. હત્તાશા અને નિરાશાની આ કહાની ફક્ત મણીભાઈની નથી.
મણી ભાઈ વાઘેલા જેવા ઘણા અખંડ નિષ્ઠ કાર્યકરોના મનોબળ છેલ્લા પાંચ વર્ષમાં તૂટ્યા છે. જિજ્ઞેશ ચૂંટણી જીત્યા પછી શરૂઆતના ત્રણ વર્ષ કૂન્નૂરથી કઠ્ઠૂવાની રાજનીતિમાં વ્યસ્ત હતા. તેમના માટે દિવસ-રાત ખડા પગે ઉભા રહેનાર સન્નિષ્ટ મુસ્લિમ અને દલિત કાર્યકરોના ફોન પણ ઉપાડવામાં આવતા નહતા. જ્યારે ત્રણ વર્ષ પછી પગ નીચેથી રાજકીય જમીન ખસવાનું ભાન થયું ત્યારે તેઓ ફરીથી પોતાના મતક્ષેત્ર, મતદાતાઓ અને મતના દાતાઓને યાદ કરવાનું શરૂ કર્યું પરંતુ ત્યાર સુધી ઘણા બધા મણિ ભાઈ વાઘેલા બની ગયા હતા.
અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ ફેક્ટર
2017ની વિધાનસભા ચૂટણી વખતે જિજ્ઞેશને અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનો પણ સાથ મળ્યો હતો. તેનો સીધો ફાયદો મતદાન પર થયો. અલ્પેશના કારણે ઠાકોર સમાજ સહિત ઓબીસી મતદાતાઓ જિજ્ઞેશ તરફ વળ્યા હતા. હાર્દિક પટેલના કારણે હિન્દૂ સ્વર્ણોએ જિજ્ઞેશને વોટની સાથે-સાથે નોટ આપીને જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરંતુ હવે 2022માં જિજ્ઞેશ મેવાણી મર્યાદિત દલિત નેતા છે અને અલ્પેશ-હાર્દિક ભાજપના ખોળામાં છે, તેથી ઓબીસી અને છૂટા-છવાયા ખરા પણ સામાન્ય મતબેંક જિજ્ઞેશ પાસેથી ખસકી ગયા છે.
આ પણ વાંચો : રોહિત મહાસંમેલન Vs ભાજપ મોરચો : ભાજપના જ રોહિત સમાજના નેતાઓ મૂકાયા મૂંઝવણમાં!
મીડિયાના લાડકવાયા મેવાણી
મહત્વપૂર્ણ છે કે 2017માં જિજ્ઞેશને પૂર્વ પત્રકાર હોવાના કારણે પત્રકાર સમાજે ખુલ્લું સમર્થન આપવાના પત્ર બહાર પાડ્યા હતા. નાની-નાની બાબતોમાં પત્રકારો અચૂકપણે મેવાણીનો ઉલ્લેખ કરતાં હતા, બચાવ કરતાં હતા. જો કે, પત્રકારોને યાદ હશે તો ચૂંટણી જીત્યા પછી તેમના સમર્થક વરિષ્ઠ પત્રકારો સામે મેવાણીના આઈટી સેલના ચમ્પુઓ હેટ કેમ્પેઇન ચલાવવામાં પણ પાછળ રહ્યાં નથી. જે પત્રકારોએ પોતાના બેનર અને માલિકોથી છૂપાઇને મેવાણીને સમર્થન કરતાં હતા, તેમને જ ચૂંટણી જીત્યા પછી એક-એક બાઈટ માટે ત્રણ-ત્રણ કલાક રાહ જોવી પડી હતી અને ત્રણ-ત્રણ દિવસ સુધી મેસેજ નાંખીને અપોઇમેન્ટની વાટ જોતા હતા. હવે મીડિયા અને મીડિયા કર્મીઓનું કેટલું સહયોગ આ ચૂંટણીમાં મેવાણીને મળશે તે પણ જોવાનું રહેશે?
આમ આદમી પાર્ટી કોણે પહોંચાડશે નુકશાન
વડગામ સીટ ઉપર આમ આદમી પાર્ટી પણ પોતાનો ઉમેદવાર ઉભો કરવા જઈ રહી છે. સ્વભાવિક છે કે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલને લોકો પસંદ કરી રહ્યાં છે. જોકે, એવું ના કહી શકાય કે સત્તામાં આવી જશે, અથવા તો અપક્ષમાં બેસી જશે, પરંતુ તે ચોક્કસ છે કે કેજરીવાલ સીટોના સમીકરણમાં અમોઘ ફેરફાર લાવી શકે છે. વડગામ સીટ પર કોંગ્રેસ-બીજેપી બંને પાર્ટીને આપ નુકશાન કરે તેવા સમીકરણ સર્જાયા છે. ચૌધરી-મુસ્લિમ સમાજના લોકો આમ આદમી પાર્ટીને પસંદ કરી રહ્યાં છે. ઈસુદાન ગઢવી ગામડાઓની પસંદ છે અને યુવા આક્રમક મતદાતાઓમાં ગોપાલ ઈટાલિયા ગાબડૂ પાડી શકે છે.
ફકીર ભાઈ વાઘેલા જેવા પીઢ નેતાને જ્યારે વડગામ વિધાનસભાની સીટ ચકમો આપી ચૂકી છે તો મેવાણીનું ભવિષ્ય શું રહેશે તે આવનાર સમય જ નક્કી કરશે. હવે સૌથી મોટો પ્રશ્ન, જિજ્ઞેશ મેવાણી વડગામથી લડશે(?) કે દાણીલીમડામાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ, વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમારનો ભોગ લેશે?
વડગામ મતોના સમીકરણ
2017ના આંકડા મુજબ વડગામ (SC) બેઠકમાં કુલ 2,39,275 મતદારો છે. જેમાં 1,26,696 પુરુષ ઉમેદવાર અને 1,12,579 મહિલા ઉમેદવાર છે. આ બેઠક પરના જાતીય સમીકરણ પર નજર કરતાં ખ્યાલ આવે કે, વિધાનસભામાં 25.9 મુસ્લિમ, 15.5 દલિત, 9.5 ઠાકોર, 16.4 ચૌધરી, 5.6 ટકા રાજપૂત, 25.9 અન્ય જાતિનું પ્રભુત્વ છે.
Advertisement